એપશહેર

સુરતમાં કોરોનાના 179 અને અમદાવાદમાં 157 નવા કેસ નોંધાયા

અમદાવાદ અને સુરત ઉપરાંત રાજકોટ, જામનગર અને સુરત જિલ્લામાં પણ 100થી વધુ કેસ નોંધાયા

I am Gujarat 21 Sep 2020, 7:59 pm
અમદાવાદ અને સુરતમાં કોરોના વાયરસની પરિસ્થિતિમાં સુધારો થવાના બદલે કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં કેસની સંખ્યા 180ની આસપાસ પહોંચી ગઈ છે તો અમદાવાદમાં પણ 150થી વધુ દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે. આ ઉપરાંત રાજકોટ અને જામનગર શહેર તથા સુરત જિલ્લામાં પણ દૈનિક કેસ 100થી વધારે નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 179 નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં 157 કેસ સામે આવ્યા છે. આમ સતત વધી રહેલા કેસના કારણે તંત્રની ચિંતાઓ પણ વધી ગઈ છે.
I am Gujarat coronavirus in gujarat 179 new covid 19 cases register in surat and 157 in ahmedabad
સુરતમાં કોરોનાના 179 અને અમદાવાદમાં 157 નવા કેસ નોંધાયા


અમદાવાદમાં 103 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

અમદાવાદમાં કોરોના વાયરસના કેસની સંખ્યા હવે 150થી વધુ નોંધાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોનાના 179 કેસ સામે આવ્યા છે અને 103 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ જિલ્લામાં પણ કોરોનાની પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. અમદાવાદ જિલ્લામાં 20 નવા કેસ આવ્યા છે અને 17 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે જ્યારે અમદાવાદ જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.

સુરતની પરિસ્થિતિ વધારે વકરી રહી છે

સુરત શહેર અને સુરત જિલ્લામાં કોરોના વાયરસની પરિસ્થિતિ વકરી રહી છે. બંનેમાં કેસની સંખ્યા સતત વધી રહી છે. સુરત શહેરમાં 179 નવા કેસ નોંધાયા છે અને 187 દર્દીઓ સાજા થયા છે. જ્યારે સુરત જિલ્લામાં પણ દૈનિક 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. સુરત જિલ્લામાં 111 નવા કેસ નોંધાયા છે અને 107 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરતમાં કોરોનાથી બે અને સુરત જિલ્લામાં ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

રાજકોટ અને જામનગરમાં પણ 100થી વધુ કેસ નોંધાયા

અમદાવાદ અને સુરત બાદ અન્ય બે શહેરો રાજકોટ અને જામનગરમાં પણ દૈનિક 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 101 કેસ નોંધાયા છે જ્યારે 124 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ જિલ્લામાં 42 કેસ નોંધાયા છે અને 42 દર્દીઓ સાજા થયા છે. જામનગર શહેરમાં પણ 100 કેસ નોંધાયા છે અને 111 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જામનગર જિલ્લામાં 23 કેસ નોંધાયા છે અને 22 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ શહેરમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

વડોદરા શહેરમાં 95 નવા કેસ નોંધાયા

વડોદરામાં પણ કેસની સંખ્યામાં કોઈ ઘટાડો નોંધાઈ રહ્યો નથી. વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 95 નવા કેસ સામે આવ્યા છે અને 62 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. વડોદરા જિલ્લામાં 42 કેસ નોંધાયા છે અને 47 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના કારણે વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં બે-બે મૃત્યુ નોંધાયા છે.

Read Next Story