અમદાવાદ: રાજ્યમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર પ્રહાર કરવાનો એકેય મોકો છોડવાના મૂડમાં નથી. આજે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ભાજપનું રિપોર્ટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કોર્પોરેશનમાં સત્તા પર રહેલા ભાજપ પર 22 મહિનામાં 14 કૌભાંડો કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલા આ રિપોર્ટ કાર્ડમાં ભાજપ પર આરોપ લગાવાયો છે કે, પક્ષના સત્તાધીશોએ શહેરમાં છેલ્લા 22 મહિનામાં પાંચ હજાર કરોડ રુપિયાનું કૌભાંડ આચર્યું છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, ઝોન ટ્રાન્સફર કાંડ અને મકરબા ટીપીના રિસ્ટ્રક્ચરિંગમાં જ 600 કરોડ રુપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, વાડજના રામાપીરના ટેકરામાં આવેલા ઝૂંપટવટ્ટી વિસ્તારના રિડેવલપમેન્ટમાં પણ ભ્રષ્ટાચાર કરાયો છે, જેનો ઉલ્લેખ CAG રિપોર્ટમાં પણ છે. કોંગ્રેસના દાવા અનુસાર, અમદાવાદમાં ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, સાબરમતી રિવરફ્રંટનું ઓડિટ જાહેર ન કરીને પણ ભ્રષ્ટાચાર પર પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિરોધ પક્ષ દ્વારા રસ્તાના રિપેરિંગમાં બોગસ બિલો બનાવવાના, હલકી કક્ષાના રસ્તાઓ બનાવવા બદલ જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે પગલાં ન લેવાનો, એલજી હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવવા આવેલા દર્દીઓને અંધાપો આવવાના મામલે પણ પસ્તાળ પાડવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, વીએસ હોસ્પિટલના બોગસ બિલ કૌભાંડમાં પણ મોટો ભ્રષ્ટાચાર થયો છે, જેની તપાસ પણ નથી કરાઈ.