એપશહેર

બનાસ ડેરીનો સૌપ્રથમ બાયો CNG પંપ શરૂ, ખેડૂતોને આ રીતે થઈ રહ્યો છે ફાયદો

ગોબર ગેસમાંથી બનતા CNGનો સૌપ્રથમ પંપ બનાસ ડેરી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ થકી લોકોને સસ્તા ભાવે CNG અપાઈ રહ્યો છે સાથે જ ખેડૂતોને પણ લાભ થઈ રહ્યો છે.

TNN 2 Sep 2020, 10:44 am
મેઘદૂત શેરોન, અમદાવાદ: ગત અઠવાડિયે પાલનપુર સ્થિત બનાસ ડેરીએ દેશનો સૌથી પહેલો બાયો-CNG પંપ શરૂ કર્યો છે. છાણમાંથી ગેસ ઉત્પાદિત કરવાનો પ્લાન્ટ શરૂ કર્યા બાદ તેનું કોમર્શિયલ વેચાણ પણ શરૂ કરાયું છે. બનાસ ડેરી ગોબર ગેસમાંથી બનાવાયેલા CNGને 50 રૂપિયે કિલો વેચે છે, જેની કિંમત પ્રવર્તમાન માર્કેટ રેટ કરતા નીચી છે.
I am Gujarat banas dairy pump
બનાસ ડેરીનો બાયો સીએનજી પંપ


બનાસ ડેરીના સિનિયર જનરલ મેનેજર વિરેન દોશીએ કહ્યું, 12 ગામોમાં આવેલા 250 ખેતરોમાંથી ડેરીને દૈનિક 40 ટન છાણ મળે છે. ખેડૂતોને પ્રતિ કિલો છાણે એક રૂપિયો આપવામાં આવે છે. દૂધની જેમ જ દર 15 દિવસે ખેડૂતોના ખાતામાં આ છાણના રૂપિયા પણ જમા થાય છે.

દોશીએ આગળ જણાવ્યું, "અમે રોજ 200 ક્યૂબિક મીટર કાચા બાયોગેસનું ઉત્પાદન કરીએ છીએ. તેના શુદ્ધિકરણ બાદ તેમાંથી 800 કિલો બાયો-સીએનજી રોજ ઉત્પાદિત થાય છે. પંપ બનાવવા માટેના જમીન ખર્ચ ઉપરાંત ડેરીએ 8 કરોડ રૂપિયા શુદ્ધિકરણ પ્લાન્ટ અને રિટેલ ડિસ્પેન્સિંગ સ્ટેશન પાછળ રોક્યા છે. અમને આશા છે કે, CNG, જૈવિક ખાતર અને પેસ્ટીસાઈડના વેચાણ થકી લગભગ 4 વર્ષમાં આ ખર્ચની ભરપાઈ થઈ જશે."

બાયો સીએનજી પંપ



બાયો-ગેસના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન બાય પ્રોડક્ટ તરીકે લિક્વિડ અને સોલિડ ફર્ટિલાઈઝર તેમજ પેસ્ટીસાઈડ મળે છે. જે ખેડૂતોને વેચવામાં આવે છે. તેઓ મોંઘા DAP અને યુરિયા ખાતરની અવેજીમાં આ ઓર્ગેનિક ખાતર વાપરી શકે છે. બનાસકાંઠા જિલ્લાના રામપુરા ગામના બળદેવ જાટે કહ્યું, "ડેરી અમારા ગામના 90 લોકો પાસેથી છાણ એકત્ર કરે છે. અહીંના ગ્રામજનો પાસે મોટી સંખ્યામાં ઢોર છે અને દર પંદર દિવસે છાણના બદલે 7000-8000 રૂપિયા ખાતામાં જમા થાય છે. આ બાયો-ગેસ પ્લાન્ટ અમારા માટે આશીર્વાદ રૂપ છે."

અન્ય એક લાભાર્થી ઉધાજી ચૌધરીએ કહ્યું, "છાણ વેચીને તેઓ 15000 રૂપિયા કમાય છે. આ વધારાની આવક થતાં હું વધુ એક પાકનું વાવેતર કરી શકું છું." દરમિયાન ગૌ રક્ષક દળ દેશભરમાં આ પ્રોજેક્ટનો ફેલાવો કરવાનું ધ્યેય રાખે છે. ગુજરાતના ગૌ રક્ષક દળના પ્રમુખ મયૂર ઠક્કરે કહ્યું, "દેશભરમાં રહેલા અમારા સાથીદારોને અમે આ પ્રોજેક્ટની માહિતી મોકલી છે. આની મદદથી ગૌસંવર્ધનમાં મદદ મળશે."

રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન વલ્લભ કથિરિયાએ કહ્યું, "ગાયના છાણનો ઉપયોગ કરીને ઈકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવાના મોડલનું અનુકરણ દેશભરમાં કરાશે. કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર, પેટ્રોલિયમ અને અન્ય કેંદ્રીય મંત્રાલયોને અમે લેખિત અરજી કરીને આ પ્રોજેક્ટનું દેશભરમાં અનુકરણ કરવાની રજૂઆત કરીશું. આ પ્રકારની સ્કીમોને રાજ્યો અને કેંદ્રની સરકાર સબ્સિડી આપે છે. સહકારી મંડળીઓ, આંત્રપ્રિન્યોર અને કોર્પોરેટ સેક્ટરના લોકો પણ આનાથી નફો કમાઈ શકે છે."

Read Next Story