એપશહેર

આખરે હાર્દિકનો જેલવાસ ખતમ, હાઈકોર્ટે આપ્યા શરતી જામીન

I am Gujarat 11 Jul 2016, 5:07 pm
નવગુજરાતસમય.કોમ
I am Gujarat court to announce decision on hardiks bail application today
આખરે હાર્દિકનો જેલવાસ ખતમ, હાઈકોર્ટે આપ્યા શરતી જામીન


પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને રાજદ્રોહના આરોપમાં જામીન મળી ગયા બાદ હવે વિસનગરના એમએલએની ઓફિસમમાં તોડફોડ કરવાના કેસમાં પણ હાઈકોર્ટે જામીન આપી દીધા છે. હાઈકોર્ટે હાર્દિકને મહેસાણામાં ત્રણ મહિના સુધી ન પ્રવેશવાની શરત પર આ કેસમાં જામીન આપ્યા છે. મહત્વનું છે કે, હાઈકોર્ટ હાર્દિકને તેની સામે સુરત અને અમદાવાદમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં શરતી જામીન આપી ચૂકી છે, આજે તેને વીસનગરના કેસમાં પણ જામીન મળી જતાં હવે તેની જેલમુક્તિ નિશ્ચિત બની છે. હાર્દિકના સાથી દિનેશ બાંભણિયાના જણાવ્યા અનુસાર, પટેલ દિલ્હી કે પછી ગુજરાતની પાડોશના કોઈ રાજ્યમાં રહે તેવી શક્યતા છે.

હાર્દિકને જામીન મળતાં જ તેના ટેકેદારોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. મહત્વનું છે કે, હાર્દિક પટેલ 19 ઓક્ટોબર 2015થી જેલમાં છે. હાર્દિકે જામીન મેળવવા માટે છેક સુપ્રીમ સુધી લડત આપી હતી પરંતુ તેનો જેલવાસ સતત લંબાતો ગયો હતો. જોકે, હવે તેની સામે નોંધાયેલા મુખ્ય કેસોમાં જામીન મળી જતાં હાર્દિક એક-બે દિવસની કાયદાકીય વિધિ બાદ જેલમાંથી બહાર આવી જશે. હાલ તે સુરતની લાજપોર જેલમાં બંધ છે. જોકે, હાર્દિકને અપાયેલા જામીનની શરતો અનુસાર તેને છ મહિના સુધી ગુજરાતની બહાર રહેવું પડશે. જોકે, જેલમાંથી મુક્ત થયા બાદ ઘરેથી પોતાનો સામાન લેવા જવા માટે કોર્ટ તેને બે દિવસ સુધીનો સમય આપતા તે બે દિવસ પોતાના પરિવાર સાથે રહી શકશે. જોકે, કોર્ટે તેને ઊંઝા કુળદેવી ઉમિયા માતાના દર્શન કરવાની મંજૂરી નહોતી આપી.

આ પણ વાંચો: જેલમાંથી બહાર આવી હાર્દિક રાજસ્થાન જશે!

ગત વર્ષે વિસનગરમાં પાટીદારો દ્વારા અનામતની માગ સાથે કાઢવામાં આવેલી રેલીએ હિંસક સ્વરુપ ધારણ કર્યું હતું અને ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરીને આગ ચાંપી દેવામાં આવી હતી. આ અંગે હાર્દિક પટેલ સહિત 11 જેટલા પાટીદારો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી માટે હાર્દિકને અત્યારસુધી અનેકવાર કોર્ટમાં હાજર પણ કરાયો છે. તેણે લોઅર કોર્ટમાં જામીન માટે અરજી પણ કરી હતી, પરંતુ તે ફગાવી દેવાતા હાર્દિકે જામીન માટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

આ પણ વાંચો: રાજદ્રોહના કેસમાં હાર્દિકને આ ગ્રાઉન્ડ પર મળ્યા જામીન

હાર્દિકને જામીન મળતા પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાર્દિકના ઘરની બહાર પણ ફટાકડા ફોડીને હાર્દિકને જામીન મળ્યાની ઉજવણી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, હાર્દિકનો 20મી જુલાઈએ જન્મદિન છે. તેના પરિવારજનોએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે હાર્દિક ઘરે આવી જન્મદિન ઉજવે, પરંતુ તેને જે શરતે જામીન અપાયા છે તેને જોતા હાર્દિકને ગુજરાતની બહાર રહેવું પડશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો