એપશહેર

સુરતમાં કોરોનાના 248 અને અમદાવાદમાં 177 નવા કેસ નોંધાયા

રાજકોટ અને જામનગર શહેરમાં કોરોના વાયરસના દૈનિક કેસ છેલ્લા ઘણા સમયથી 100થી નીચે નોંધાઈ રહ્યા છે

I am Gujarat 13 Oct 2020, 8:00 pm
અમદાવાદ અને સુરતમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોના વાયરસના 248 નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં 177 નવા કેસ સામે આવ્યા છે. જોકે, અમદાવાદ અને સુરત શહેરના કેસોમાં હવે વધારે અંતર રહ્યું નથી. બંને શહેરોમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા 170ની આસપાસ થઈ ગઈ છે. સુરત જિલ્લા તથા રાજકોટ અને જામનગર શહેરમાં પણ કોરોનાની પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. અહીં છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક કેસની સંખ્યા 100થી ઘણી નીચે નોંધાઈ રહી છે.
I am Gujarat covid 19 in gujarat 248 new cases register in surat and 177 in ahmedabad
સુરતમાં કોરોનાના 248 અને અમદાવાદમાં 177 નવા કેસ નોંધાયા


અમદાવાદ શહેરમાં 163 નવા કેસ સામે આવ્યા

એક સમયે અમદાવાદમાં દૈનિક કેસની સંખ્યા 150થી નીચે જતી રહી હતી. પરંતુ હવે કેસની સંખ્યામાં કોઈ ઘટાડો થઈ રહ્યો નથી. હાલમાં દૈનિક કેસની સંખ્યા 170ની આસપાસ નોંધાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 163 નવા કેસ નોંધાયા છે. જ્યારે 176 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કેસમાં નજીવો ઘટાડો થયો છે અને 14 નવા કેસ સામે આવ્યા છે. જેની સામે 24 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં કોવિડ-19ના કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા છે.

સુરત શહેરમાં કોવિડ-19ના 169 કેસ નોંધાયા

સુરત શહેરમાં પણ કેસમાં એક સમયે ઘટાડો નોંધાયો હતો પરંતુ છેલ્લા ઘણા દિવસોથી કેસ વધ્યા છે અને હવે તેમાં કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 169 કેસ નોંધાયા છે જ્યારે 181 દર્દીઓ સાજા થયા છે. સુરત જિલ્લામાં 79 કેસ નોંધાયા છે અને 106 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. સુરત શહેરમાં કોરોનાના કારણે ત્રણ દર્દીઓના મૃત્યુ થયા છે જ્યારે સુરત જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.

રાજકોટ અને જામનગર શહેરમાં 70થી વધુ કેસ

રાજકોટ અને જામનગરમાં થોડી રાહત છે અને છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસની સંખ્યા ઘટીને 100થી નીચે જતી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં કોરોનાના 73 કેસ નોંધાયા છે અને 104 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 36 કેસ નોંધાયા છે અને 43 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જામનગર શહેરમાં 77 કેસ નોંધાયા છે અને 40 દર્દીઓ સાજા થયા છે. જામનગર જિલ્લામાં 23 કેસ સામે આવ્યા છે અને 17 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જોકે, રાજકોટ કે જામનગરમાં કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી.

વડોદરામાં 84 નવા કેસ સામે આવ્યા

વડોદરા શહેરમાં પણ કેસની સંખ્યા યથાવત રહી છે તેમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી. વડોદરામાં કોરોનાના 84 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 154 દર્દીઓ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં 40 નવા કેસ સામે આવ્યા છે અને 19 દર્દીઓ સાજા થયા છે. વડોદરા શહેરમાં કોવિડ-19થી ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે જ્યારે વડોદરા જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો