એપશહેર

'વાયુ' ગુજરાત તરફ પાછું ફરી રહ્યું છે, અમદાવાદ સહિત રાજ્યમાં ઠેર-ઠેર વરસાદ

Tejas Jinger | I am Gujarat 16 Jun 2019, 1:41 pm
અમદાવાદઃ વાયુ વાવાઝોડું ફરી ગુજરાતની નજીક આવી રહ્યું છે અને તેની અસર વર્તાવાની શરુ થઈ ગઈ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે પણ વરસાદ થયો છે. શહેરના બોપલ, જીવરાજ પાર્ક, ઈસ્કોન, થલતેજ વગેરે જગ્યાએ વરસાદ થયો છે. પૂર્વ, પશ્ચિમ અને મધ્ય અમદાવાદમાં વાતાવરણ બદલાયું છે અને આકાશમાં વાદળો ઘેરાયા છે. જેના કારણે અંધારું છવાઈ ગયું છે. અમદાવાદમાં આશ્રમ રોડ સહિત વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. બે દિવસથી થઈ રહેલા વરસાદના કારણે વાતાવરણ પણ ઠંડું થઈ ગયું, અને બફારાના કારણે પરેશાના થઈ રહેલા લોકોને રાહત મળી છે. અમદાવાદ સહિત ગાંધીનગરમાં પણ વરસાદી છાંટા થયા છે. વરસાદ અને ભારત પાકિસ્તાનની મેચ બન્નેના કારણે રસ્તાઓ સૂમસામ લાગી રહ્યા છે. હવામાન ખાતાએ પણ વાવાઝોડાની અસર વર્તાશે તેમ પોતાની આગાહીમાં જણાવ્યું હતું. વાયુ વાવાઝોડું પહેલા દીવ તરફ આવી રહ્યું હતું અને તે પછી તે વેરાવળ અને પછી પોરબંદર તરફ ફંટાયું હતું. આ પછી વાવાઝોડું ગુજરાતથી દૂર દક્ષિણ પશ્ચિમ તરફ જતું રહ્યું. જોકે, ફરીથી વાવાઝોડાએ યુટર્ન લીધો અને તે કચ્છ તરફ આવી રહ્યું છે. કચ્છ તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે ત્યારે તેની અસર ગુજરાતના આકાશની સાથે દરિયા કિનારે પણ તેની ભારે અસર વર્તાઈ રહી છે.
રાજ્યમાં થઈ રહેલા વરસાદના કારણે અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજ્યના તાપમાનમાં 10 થી 8 ડિગ્રીનો ફરક નોંધાયો છે. વાતાવરણમાં ઠંડક અને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે, આવો જ વરસાદના આગામી સમયમાં થાય તો ખેતીને સહેજ પણ નુકસાન નહીં થાય તેવું જગતનો તાત માની રહ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો