એપશહેર

રાજ્યમાં 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન, શિક્ષણ બોર્ડે કરી જાહેરાત

શિક્ષણ બોર્ડે આ વર્ષે દિવાળી વેકેશનની પેટર્ન બદલી છે. આ વખતે દિવાળીના તહેવારોના પંદરેક દિવસ પહેલાથી વેકેશન શરૂ થશે અને દિવાળીના તહેવારો પૂરા થયાના ચારેક દિવસ પછી વેકેશન પૂરું થશે.

TNN 21 Oct 2020, 9:08 am
અમદાવાદ: કોરોના મહામારીમાં દિવાળી સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો. એવામાં હવે દિવાળી વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે. મંગળવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધીનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની તમામ સ્કૂલોના શિક્ષકો માટે વેકેશન જાહેર કરાયું છે. કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ છે ત્યારે ઓનલાઈન ક્લાસિસ સહિતની શૈક્ષણિક પ્રવૃત્તિઓ આ એકવીસ દિવસના વેકેશનમાં બંધ રહેશે, તેમ શિક્ષણ બોર્ડે જણાવ્યું છે.
I am Gujarat schools vacation
પ્રતિકાત્મક તસવીર


ગુજરાતમાં છેલ્લા 6 મહિના કરતાં વધુ સમયથી શાળાઓ અને કોલેજો બંધ છે. ઘણી શૈક્ષણિક સંસ્થાઓ ઓનલાઈન ક્લાસ અને પરીક્ષાઓ યોજી રહી છે. ત્યારે દિવાળી વેકેશન પછી સ્કૂલો ખોલવી કે નહીં તે અંગે ગુજરાત સરકારે હજી નિર્ણય કર્યો નથી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે, સ્કૂલો ખોલવા અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવાશે. એ પહેલા વાલીઓ, વિદ્યાર્થીઓ, સ્કૂલોના ટ્રસ્ટીઓ, શિક્ષણો અને શિક્ષણવિદો સહિતના લાગતાવળગતા લોકો સાથે ચર્ચા કરવામાં આવશે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કહેવા અનુસાર, સ્કૂલ ખોલવા બાબતે આરોગ્ય વિભાગનો અભિપ્રાય સૌથી મહત્વપૂર્ણ રહેશે. સ્કૂલો ફરી શરૂ કરવાના નિર્ણય પર પહોંચતા પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સમગ્ર મંત્રી મંડળ સાથે ચર્ચા કર્યા પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે, તેમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું.

'અનલોક 5'ની ગાઈડલાઈન્સમાં કેન્દ્ર સરકારે મર્યાદિત સંખ્યામાં સ્કૂલો 15 ઓક્ટોબરથી ફરી શરૂ કરવાની પરવાનગી આપી હતી. જો કે, સ્કૂલો ખોલવી કે નહીં તેનો અંતિમ નિર્ણય રાજ્યોની સરકારો પર છોડ્યો હતો. ત્યારે ગુજરાત સરકારે 15 ઓક્ટોબરથી શાળાઓ ન શરૂ કરવાનું નક્કી કર્યું હતું. છેલ્લા થોડા મહિનામાં રાજ્ય સરકારે વાલી મંડળ, શાળા સંચાલકોના પ્રતિનિધિઓ, શિક્ષણ જગતના તજજ્ઞો સહિતના વિવિધ લાગતાવળગતા લોકો સાથે બેઠકો કરી હતી. જેમાંથી અમુકનું માનવું હતું કે, વિદ્યાર્થીઓને આંતરા દિવસે સ્કૂલે બોલાવવા જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો