એપશહેર

ધો. 1થી8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે તેવો ખોટો મેસેજ ફરતો કરનારાને નોટિસ

અફવા ફેલાવનારને સાત દિવસમાં ખુલાસો કરવાનો આદેશ અપાયો છે, નહીં કરે તો કાનૂની પગલાં લેવાશે.

I am Gujarat 31 Jan 2021, 8:39 am
ધોરણ 1થી8ના બાળકોને પ્રાથમિક શિક્ષણ નિયામક તેમજ સરકાર દ્વારા માસ પ્રમોશન આપવામાં આવશે તેવા ખોટા સમાચાર સોશિયલ મીડિયામાં ફેલાવીને વાલીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનારાને પ્રાથમિક શિક્ષણ નિયામકે નોટિસ ફટકારી છે. એક વ્યક્તિ દ્વારા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી જેનો પ્રત્યુત્તર આપતો પત્ર પ્રાથમિક શિક્ષણ નિયામકે લખ્યો હતો. પત્રમાં માસ પ્રમોશન અપાશે તેવો કોઈ ઉલ્લેખ ના હોવા છતાં મનસ્વી અર્થઘટન કરીને વાલીઓને ગેરમાર્ગે દોરવા બદલ તે શખ્સને નોટિસ આપવામાં આવી છે અને સાત દિવસમાં ખુલાસો કરવાનું કહેવાયું છે.
I am Gujarat students mask
પ્રતિકાત્મક તસવીર


પ્રાપ્ત માહિતી અનુસાર, બોપલમાં રહેતા આશિષ કણઝરિયાએ સરકાર અને રાજ્યપાલ સમક્ષ ધોરણ 1થી8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જેના પ્રત્યુત્તરમાં શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 1થી8માં માસ પ્રમોશન આપવા અંગે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબની કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે તેમ જણાવાયું હતું. જો કે, આ પત્ર મળ્યા બાદ તેનું ખોટું અર્થઘટન કરી આશિષે સોશિયલ મીડિયામાં વાલીઓની જીત થઈ છે અને બાળકોને માસ પ્રમોશન અપાશે તેમ ફરતું કર્યું હતું.

આ ઘટના અંગે પ્રાથિમક શિક્ષણ નિયામક કચેરીનું ધ્યાન જતાં તેમણે આશિષ કણઝરિયાને નોટિસ ફટકારી છે. જેમાં ઉલ્લેખ છે કે વિભાગ દ્વારા પાઠવાયેલા પત્રનો મનઘડંત અર્થ કાઢવામાં આવ્યો છે. પત્રમાં માસ પ્રમોશન અપાશે તેવો કોઈ ઉલ્લેખ ન હોવા છતાં સોશિયલ મીડિયામાં પ્રાથમિક શિક્ષણ નિયામક અને સરકાર દ્વારા માસ પ્રમોશન અપાશે તેવા મેસેજ ફરતા કર્યા હતા. તેમણે ખોટી રીતે અર્થઘટન કરીને રાજ્યના વિદ્યાર્થીઓ અને વાલીઓને ગેરમાર્ગે દોરીને સરકારની નીતિ વિરુદ્ધનું કામ કર્યું છે.

આ અંગે તેમને વિભાગ દ્વારા નોટિસ ફટકારીને સાત દિવસમાં ખુલાસો કરવાનો આદેશ અપાયો છે. જો સાત દિવસમાં કોઈ ખુલાસો નહીં મળે તો તેઓ રજૂઆત કરવા માગતા નથી તેમ માનીને તેમની સામે કાનૂની પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આશિષ સામે આ પ્રથમ કાર્યવાહી નથી. તાજેતરમાં જ સત્યમેવ જયતે સ્કૂલની ફીને લઈને ફી કમિટી સમક્ષ તેમણે અરજી કરી હતી. બાદમાં તેમણે પોતાની અરજી પરત લેવા માટે ફી કમિટીમાં જાણ કરતાં ફી કમિટી દ્વારા તેની સામે તપાસના આદેશ આપ્યા હતા.

Read Next Story