એપશહેર

ગોતા મર્ડર કેસઃ આરોપી વહુને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાઈ

ગોતામાં ચારિત્ર્ય પર શંકા કરનારી સાસુની વહુએ હત્યા કરી હતી. આરોપીને કોર્ટે ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી છે.

TNN 31 Oct 2020, 7:50 am
અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં મંગળવારે રાત્રે 29 વર્ષની નિકિતા અગ્રવાલ નામની મહિલાએ પોતાની સાસુ રેખા અગ્રવાલની માથામાં સળિયાના ઘા મારીને હત્યા કરી હતી. આરોપી વહુને હવે લોકલ કોર્ટે ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી છે.
I am Gujarat gota murder case


કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડીમાં એટલા માટે મોકલી કારણ કે હત્યા કર્યા બાદના અઢી કલાક સુધી તેણે શું કર્યું તે પોલીસ અધિકારીઓ જાણવા ઈચ્છતા હતા. પોલીસે પાંચ દિવસની કસ્ટોડિયલ પૂછપરછની માંગ કરી હતી.

સોલા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, નિકિતાએ મંગળવારે રાત્રે 8.30 કલાકે તેની સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ લગભગ અઢી કલાક સુધી તેના પતિને ઘરથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. 'અમારે તે જાણવાની જરૂર છે કે, શરીરને આગ લગાડતા પહેલા તેણે કેટલીક અન્ય બાબતોનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો કે કેમ', તેમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.

બીજી તરફ, ઘટનાક્રમ સૂચવે છે કે નિકિતાએ તેની સાસુ રેખા અગ્રવાલની હત્ચા કર્યા બાદ એક કલાક સુધી ફોન પર તેના પતિ દીપક સાથે વાત કરી હતી. આ દરમિયાન તે એક જ વાતનું પુનરાવર્તન કરતી રહી હતી કે, રેખાએ તેને માર માર્યો હતો.

સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો, ગોતાના રોયલ હોમ્સના ડી બ્લોકમાં માતા-પિતા સાથે રહેતો દિપક માર્બલ અને ગ્રેનાઈડનો ધંધો કરે છે. તેના લગ્ન નિકિતા સાથે આ વર્ષના જાન્યુઆરી મહિનામાં થયા હતા. લગ્ન બાદથી જ સાસુ-વહુ વચ્ચે ઘરકામને લઈને ઝઘડા થતા રહેતા હતા. મંગળવારે રાતે 8 કલાકે દિપક દુકાનેથી ઘાટલોડિયા ચાણક્યપુરી બ્રિજ નીચે આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યારે જ નિકિતાએ સાસુ રેખાની હત્યા કરી દીધી હતી. પાડોશીઓએ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દિપકના પિતાને જાણ કરતાં તેમણે દિપકને ફોન કરીને સાસુ-વહુ વચ્ચે ઝઘડો થયો હોવાનું કહ્યું હતું. દિપક ઘરે પહોંચ્યો ત્યારે દરવાજો બંધ હતો. જે બાદ તે સીડીની મદદથી ઘરની બાલ્કનીમાંથી અંદર ગયો હતો. આ વખતે તેને હત્યાની ખબર પડી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નિકિતાને ચાર અઠવાડિયાનો ગર્ભ છે. આ અંગે ઘટનાના ચાર દિવસ પહેલા જ જાણ થઈ હતી. સાસુ રેખાને નિકિતાનું તેના સસરા સાથે અફેર હોવાની શંકા હતી. અને તેને લઈને તે અવારનવાર ઝઘડા કરતી હતી. નિકિતા પ્રેગનેન્ટ હોવાની જાણ થતાં તે બાળક પણ નિકિતાના સસરાનું હોવાની તેની સાસુને શંકા હતી.

અગ્રવાલ પરિવારમાં અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. સાસુ-વહુની ચીસાચીસથી પાડોશીઓ પણ તંગ આવી ગયા હતા. નિકિતાના લગ્નને દસ મહિના થયા હતા. જોકે, સાસુ-વહુ વચ્ચે પહેલાથી જ બનતું નહોતું. નિકિતાનો તો ત્યાં સુધી આક્ષેપ છે કે સાસુ તેના પર અવારનવાર હાથ પણ ઉપાડતા હતા.

સાસુની હત્યા કરનારી નિકિતા હાલ પ્રેગનેન્ટ છે. તેણે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી લેતા હવે તેને સજા થશે તે પણ નક્કી છે. તેવામાં તેના બાળકનો જન્મ જેલમાં જ થાય તેવી પણ શક્યતા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો