એપશહેર

ગુજરાત કોંગ્રેસે કરી જાહેરાત: મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં આજે રાજ્યમાં સાંકેતિક બંધ

ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે એટલે કે 10મી સપ્ટેમ્બર શનિવારના રોજ બંધનું એલાન કર્યું છે. વધતી જતી મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આંશિક બંધની જાહેરાત કરવામાં આવી છે. વેપારીઓ તેમજ અન્ય લોકોને અપીલ કરવામાં આવી છે કે સવારના 8થી બપોરના 12 સુધી પોતાની દુકાનોને બંધ રાખીને વિરોધમાં ભાગ લેવામાં આવે.

Edited byZakiya Vaniya | TNN 10 Sep 2022, 9:10 am
ગાંધીનગર- દેશમાં વધતી જતી મોંઘવારી અને બેરોજગારીની સમસ્યાઓના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીના ગુજરાત યુનિટ તરફથી શનિવારના રોજ એટલે કે 10 સપ્ટેમ્બરના દિવસે રાજ્યભરમાં બંધનું એલાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય બંધના અભિયાનના ભાગ રુપે ગુજરાતમાં પણ આ જાહેરાત કરવામાં આવી છે. વિવિધ મુદ્દાઓના વિરોધમાં લોકોને આ બંધ પાળવાની અપીલ કરવામાં આવી છે.
I am Gujarat bandh
પ્રતિકાત્મક તસવીર


વિધાનસભા ચૂંટણી ટાણે જ વિજય રુપાણીની ગુજરાતમાંથી એક્ઝિટ!, અનેક ચર્ચાએ જોર પકડ્યું
ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસે મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે બંધની જાહેરાત કરી છે. આ વિરોધમાં ભાગ લેવા માટે કોંગ્રેસ દ્વારા વેપારીઓ તેમજ અન્ય લોકોને પણ અપીલ કરી છે કે, સવારના આઠ વાગ્યાથી લઈને બપોરના બાર વાગ્યા સુધી સુધી પોતાની દુકાનોના શટર પાડી દેવામાં આવે. પાર્ટીના રાજ્ય અધ્યક્ષ જગદીશ ઠાકોરે લોકોને અપીલ કરી છે. તેમનો આરોપ છે કે, લગભગ 4,36,663 શિક્ષીત યુવાનો બેરોજગાર છે. રાજ્યની રોજગાર વિનિમય નોંધણીમાં લગભગ 4,58,976 યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અને ગુજરાતમાં 4.50 લાખ સરકારી નોકરીઓ ખાલી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર ગુજરાત બંધના ભાગરુપે ભરૂચના દહેજમાં રસ્તાની વચ્ચે ટાયર સળગાવવામાં આવ્યા હતા અને વાહનવ્યવહાર ખોરવાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ સિવાય અમદાવાદમાં પણ કોલેજો બંધ કરાવવામાં આવી હતી. NSUIના કાર્યકર્તાઓ દ્વારા શૈક્ષણિક કાર્યવાહી રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી રહી છે. સુરતની વાત કરવામાં આવે તો અહીં પણ કોંગ્રેસ નેતાઓ વિવિધ વિસ્તારોમાં જઈને ગુલાબના ફૂલ આપીને બંધમાં સામેલ થવાની અપીલ કરી રહ્યા છે.


તેમણે પોતાની અપીલમાં જણાવ્યું કે, સેંકડો ગ્રામ પંચાયત એવી છે જે ગ્રામ સેવક અધિકારીઓ વિના ચાલી રહી છે, સેંકડો સરકારી લાઈબ્રેરી એવી છે જેમાં લાઈબ્રેરિયન નથી અને 27000થી વધારે શિક્ષકોના પદ ખાલી છે. મોંઘવારી વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, તેલના ભાવ વધીને 3000 રુપિયા થઈ ગયા છે. એલપીજી સિલિન્ડરનો ભાવ હવે 1060 રુપિયા છે, પેટ્રોલ 95 રુપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે, સીએનજીનો ભાવ 84 રુપિયા થઈ ગયો છે. આ ભાવવધારાને કારણે સામાન્ય નાગરિકોનું જનજીવન ખોરવાઈ ગયું છે. તેમણે વીડિયો શેર કરીને કહ્યું કે, આ એક સાંકેતિક બંધ છે, જેનો અર્થ છે કે સ્વૈચ્છિક બંધ છે. કોઈને આના માટે દબાણ કરવામાં નહીં આવે. તેમણે ગૃહિણીઓને પણ વિવિધ ખર્ચા જણાવીને કહ્યું કે, જો તમને લાગતું હોય કે આવક કરતા ખર્ચો વધી ગયો છે તો તેના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. જો તમે સહમત હોવ તો બંધમાં જોડાવ.

જગદિશ ઠાકોરે તમામ જિલ્લા અને શહેરમાં સ્થિત કોંગ્રેસ કમિટી તેમજ કાર્યકર્તાઓને આદેશ આપ્યો છે કે બંધ દરમિયાન કોઈ પણ પ્રકારની ઈમર્જન્સી સેવાઓ ના ખોરવાય તે સુનિશ્ચિત કરવામાં આવે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી અત્યારે ભારત જોડો યાત્રા પર નીકળ્યા છે. તે દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કરી રહ્યા છે. ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના આ પ્રયત્નો અસરકારક સાબિત થશે કે નહીં તે જોવાની વાત છે.

Read Next Story