કપિલ દવે, ગાંધીનગર: દુનિયાને ભરડામાં લેનારા કોરોના વાયરસે હવે ગુજરાત કોંગ્રેસને ચિંતામાં મૂકી છે. અમદાવાદ કોંગ્રેસના ઘણા નેતાઓ અને તેમના પરિવારોનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવતાં પાર્ટીમાં ચિંતાના વાદળ ઘેરાયા છે. પક્ષના કોવિડ-19 પોઝિટિવ સભ્યોના સંપર્કમાં આવેલા અમુક વરિષ્ઠ નેતાઓ, ધારાસભ્યોને હોમ ક્વૉરન્ટીન કરાયા છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોજમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને તેમના પરિવારના કેટલાક સદસ્યો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. આ સિવાય સિનિયર નેતા અને AMCમાં નેતા વિપક્ષ બદરુદ્દીન શેખ અને તેમના પરિવારના સભ્યોનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત શહેર કોંગ્રેસના અન્ય નેતાઓ જેવા કે, નરેશ ચૌરસિયા, હિતેશ પંચાલ, પિયૂષ પઢિયારનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.અમદાવાદ કોંગ્રેસના અન્ય બે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ છે છતાં અગમચેતીના ભાગરૂપે તેમને ક્વૉરન્ટીન કરાયા છે. આ બંને નેતાઓ ઈમરાન ખેડાવાલા સાથે સીએમ રૂપાણીની મુલાકાતે ગયા હતા. કોવિડ-19ના પોઝિટિવ આવેલા નેતાઓમાંથી અમુક નિયમિતપણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય કાર્યાલયમાં જતા હતા અને કોંગ્રેસ કાર્યકરોના સંપર્કમાં આવ્યા હતા. પાર્ટીના નેતાઓનું સોશિયલ મીડિયા અકાઉન્ટ સંભાળતા એક કાર્યકરનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરિણામે ગુજરાત કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં પાર્ટીની ગતિવિધિઓને કો-ઓર્ડિનેટ કરવા નિમાયેલા નેતાઓમાં ચિંતાનો માહોલ છે.કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું, “અમારા ધારાસભ્યો અને અન્ય નેતાઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે દુઃખદ વાત છે. આ સંકટના સમયમાં ભાજપના નેતાઓ લોકોની વચ્ચે જતા નથી ત્યારે અમારા નેતાઓ મુશ્કેલીમાં પણ પ્રજાની પડખે રહ્યા છે.” ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું, “પાર્ટીના ઘણા નેતાઓનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા અમારા માટે ચિંતાની વાત છે. અમે અમારા પક્ષના નેતાઓ અને કાર્યકરોને પૂરતી કાળજી રાખવાનું સૂચન કર્યું છે. જો કે, લોકડાઉન દરમિયાન અમે અમારી ફરજ ચૂકીશું નહીં. અમે ગરીબો અને જરૂરિયાતમંદોનું ધ્યાન રાખીશું.” લૉકડાઉનઃ બીમાર પિતાને હોસ્પિટલ પહોંચાડવા દીકરો તેમને તેડીને 1 કિમી સુધી દોડ્યો