એપશહેર

ઉનાની ઘટનાનો રાજ્યસભામાં પડઘો પડતાં સરકારની ઊંઘ ઊડી, CID ક્રાઇમ તપાસ કરશે

I am Gujarat 19 Jul 2016, 5:22 am
નવગુજરાત સમય > ગાંધીનગર
I am Gujarat gujarat govt gave investigation to cid crime for una dalit attack
ઉનાની ઘટનાનો રાજ્યસભામાં પડઘો પડતાં સરકારની ઊંઘ ઊડી, CID ક્રાઇમ તપાસ કરશે


એક સપ્તાહ પૂર્વે ઉનામાં મૃતક પશુઓના ચામડા ઉતારવાની કામગીરી કરનાર પાંચ દલિત યુવાનો પર આઠ જેટલા વ્યક્તિઓએ કરેલા અત્યાચારના ઘેરા પડઘા પડ્યા છે. ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના સુપ્રીમો માયાવતીએ રાજ્યસભામાં આ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરીને તેમના સભ્યો સાથે ધાંધલ મચાવી હતી. આને પગલે ગુજરાતમાં આનંદીબહેન પટેલને સમગ્ર ઘટના અંગે પોતાની પ્રતીક્રિયા વ્યક્ત કરવી પડી હતી અને સમગ્ર મામલાની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપી સાંઠ દિવસમાં જ ચાર્જશીટ કરવાની જાહેરાત કરવી પડી હતી. એટલું જ નહીં આ કેસમાં કસુરવારોને યોગ્ય સજા થાય એવા હેતુથી ડેઝીગ્નેટેડ કોર્ટ મારફતે કેસ ચલાવવાની તજવીજ હાથ ધરવી પડી છે.

ગયા સપ્તાહે ઉના નજીક સમઢિયાળા ગામે માં દલિત યુવાનોને કેટલાક યુવાનો બેરહેમીથી માર મારી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનામાં સંડોવાયેલા આઠ યુવાનોને પોલીસે બીજા જ દિવસે ઝડપી લીધા હતા. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ ઘટનામાં કસૂરવાર સામાન્ય પોલીસ કર્મચારી સામે પગલાં લેઇ સંતોષ માન્યો હતો. બીજી તરફ આ ઘટનાથી દલિત સમાજ રોષે ભરાયો હતો અને આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કર્યા હતા. આમ છતાં સરકાર કે તંત્રની ઊંઘ ઊડતી જણાઇ ન હતી. છેવટે આજે રાજ્યસભામાં બીએસપીએ મુદ્દો ઉપસ્થિત કરી ધમાલ કરતાં મુખ્યમંત્રીને આકરાં પગલાં લેવાની જાહેરાત કરવાની ફરજ પડી હતી.

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ઘટનાને દુ:ખદ અને કમનસીબ ગણાવી હતી અને જણાવ્યું કે, સરકાર પીડિતો સાથે જ છે અને એમને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપવાની જાહેરાત કરી હતી. આની સાથે તેમણે જાહેર કર્યું હતું કે, આઠ વ્યક્તિઓની ધરપકડ કરાઇ છે. એક ઇન્સ્પેક્ટર, બે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તથા એક હેડ કોન્સ્ટેબલને અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરાયા છે. આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગુનાની તપાસ એસસી, એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા હાલ કરાઇ રહી છે અને હવે તપાસ નિષ્પક્ષ અને ક્ષતિરહિત થાય એ માટે સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવી છે. એટલું જ નહીં સારવારગ્રસ્ત યુવાનોનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે તેવી પણ જાહેરાત કરી છે. આ ઘટનામાં ઉના પોલીસ મથકમાં વશરામભાઇ બાલુભાઇ સરવૈયાની ફરિયાદ નોંધીને છ વ્યક્તિઓ સામે એટ્રોસિટી સહિતની કલમો સાથે ગુનો દાખલ કરાયો છે. જિલ્લા કલેક્ટરે સારવારગ્રસ્ત યુવાનોની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ઉનાની ઘટના અંગે સંપૂર્ણ ટ્રાયલ માટે વડી અદાલતના પરામર્શમાં રહીને વિશેષ ડેઝીગ્નેટેડ કોર્ટ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. ભોગ બનનાર યુવાનોને એક એક લાખનું વળતર જિલ્લા તંત્રએ ચુકવ્યું છે. તેમણે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર નીમી સાઠ દિવસમાં ગુનાનું ચાર્જશીટ દાખલ કરવા પણ આદેશ કર્યા હતા.

આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, ઉના નજીક સમઢિયાળા ખાતે બનેલી ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે એટ્રોસિટી ઉપરાંત ખૂનની કોશિશ (આઇપીસી 307), ધાડ અને લૂંટ (આઇપીસી 395), આઇપીસી 323 અને 324 જેવી ગંભીર કલમો લગાવાઇ છે. તમામ આઠ આરોપીઓની ધરપકડ કરી લેવાઇ છે. એટલું જ નહીં ચાર પોલીસ અધિકારી, કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો