એપશહેર

યમનોત્રીમાં યાત્રીઓ સાથે ઉઘાડી લૂંટ, ગુજરાતીઓએ જણાવ્યા કડવા અનુભવો

ચાર ધામ યાત્રા દરમિયાન ગુજરાતી યાત્રીઓને ઘણા કડવા અનુભવોમાંથી પસાર થવું પડ્યું હતું. તેમણે જણાવ્યું કે, યાત્રીઓ સાથે ચાર ધામમાં ઉઘાડી લૂંટ થઈ રહી હોવા છતાં ત્યાંનું તંત્ર મૂક પ્રેક્ષક બનીને જોતી રહી હતી. ગુજરાતી યાત્રીઓ મુજબ, યાત્રીઓ પાસેથી લગભગ બધી વસ્તુઓના ઘણા વધારે રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે અને આ ઉઘાડી લૂંટ સામે ત્યાંની સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

Edited byવિપુલ પટેલ | I am Gujarat 10 Jun 2022, 8:00 pm
અમદાવાદ: આ વખતની ચારધામ યાત્રા દરમિયાન ઘણા યાત્રીઓના મોત થયા છે. જેના કારણે તે ઘણી ચર્ચામાં રહી છે. જોકે, ચારધામની યાત્રા દરમિયાન યાત્રીઓ સાથે ઉઘાડી લૂંટ થયાની ફરિયાદો પણ ઉઠી છે. ગુજરાતથી ચારધામની યાત્રાએ જઈને આવેલા યાત્રીઓએ તેમના કડવા અનુભવો જણાવ્યા હતા. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ જતા હોય છે અને જેમાં ગુજરાતનીઓ સંખ્યા ઘણી વધારે હોય છે. ઉત્તરાખંડની સરકાર યાત્રીઓની સગવડ, સેવા અને સુરક્ષા માટે પૂરતી તકેદારી રાખે છે, પરંતુ કેટલાક લેભાગુ તત્વો યાત્રીઓને રીતસર લૂંટી રહ્યા છે અને ઉત્તરાખંડની સરકારનો આ ખૂલ્લેઆમ ચાલતી લૂંટ પર કોઈ અંકુશ હોય તેવું દેખાતું નથી.
I am Gujarat Yamunotri Dham
યમુનોત્રી ધામમાં દરેક વસ્તુઓના ડબલ કરતા વધુ ભાવ લઈ યાત્રીઓ સાથે ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાની ઉઠી ફરિયાદો.


ગુજરાતથી ચારધામની યાત્રાએ ગયેલા યાત્રીઓએ તેમના કડવા અનુભવો અંગે વાત કરતા જણાવ્યું કે, યમનોત્રીમાં 6 કિમીની લાંબી યાત્રા કરનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમણે જણાવ્યું કે, યાત્રીઓ માટે યમનોત્રીની યાત્રા ઘણી જોખમી બની રહી છે. તેમણે કહ્યું કે, પાલખીવાળા એટલી ઝડપે તમારી બાજુમાંથી પાલખી લઈને પસાર થાય છે કે જો તમે ધ્યાન ન રાખો તો સીધા ખીણમાં જ પડો. એટલું જ નહીં, ગંગોત્રી મંદિરે પહોંચ્યા પછી પણ ઘણા કડવા અનુભવો થયા છે.
Secrets of Badrinath Dham Idol: મૂર્તિને સ્પર્શ કરવાનો અધિકાર ફક્ત આમને છે, સામાન્ય પૂજારીઓને પણ નહીં
આ યાત્રીઓએ જણાવ્યું કે, ગંગોત્રી મંદિરની બહાર પગરખાં મૂકવા હોય તો 30 રૂપિયા ચૂકવવા પડે છે અને તેની કોઈ રિસિપ્ટ પણ આપવામાં આવતી નથી. એટલું જ નહીં, જો કોઈ વિરોધ ઉઠાવે તો તેને અપમાનિત પણ કરવામાં આવે છે. મંદિર મેનેજમેન્ટ દ્વારા પણ આ ઉઘાડી લૂંટને રોકવા કોઈ પગલાં ભરાતા નથી. યાત્રીઓએ જણાવ્યું કે, જો કોઈ આ લૂંટ સામે અવાજ ઉઠાવે તો મંદિરની બહાર દુકાનો નાખીને બેઠેલા બધા ભેગા થઈ જાય છે અને અપમાનિત કરી ધમકાવે છે.

યમનોત્રી મંદિરમાં પણ આવી જ લૂંટ ચાલે છે. યાત્રીઓના જણાવ્યા મુજબ, મંદિરમાં પાણીની એક બોટલના 50 રૂપિયા લેવામાં આવે છે. પાન-મસાલા, ગુટખાના એક પકેટના 50 રૂપિયા પડાવી લેવાય છે. આ ખુલ્લેઆમ થતી લૂંટ પર ત્યાંની સરકાર, પોલીસ કે મંદિરના મેનેજમેન્ટનો કોઈ કન્ટ્રોલ રહ્યો નથી.
રજીસ્ટ્રેશન વિના ચારધામ યાત્રાએ જવાય? ત્યાં ફસાઈ પડેલા ગુજરાતીઓને એવો કડવો અનુભવ થયો કે...
યમનોત્રીમાં થતી આ ઉઘાડી લૂંટના કારણે ઘણી વખત ઝઘડા અને મારામારીના બનાવો બને છે, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા આ લેભાગુ તત્વો સામે કોી પગલાં ભરવામાં આવતા નથી. યાત્રીઓનું કહેવું છે કે, જે યાત્રીઓ પર આ લોકોનું ઘર ચાલે છે, એ યાત્રીઓને જ આ લોકો લૂંટ ચલાવી રહ્યા છે અને તંત્ર મૂક પ્રેક્ષક બનીને તમાશો જોયા કરે છે. યાત્રીઓની માગણી છે કે, ઉત્તરાખંડની સરકારે યાત્રીઓ સાથે થતી આ ઉઘાડી લૂંટને રોકવા માટે તાત્કાલીક નક્કર પગલાં ભરવા જોઈએ.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story