એપશહેર

કોરોનાની અસર: જૂનિયર ધારાસભ્યોને સત્ર દરમિયાન પબ્લિક ગેલેરીમાં બેસાડવામાં આવશે

કોરોના મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં યોજાનારા આગામી ચોમાસુ સત્રમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને ધ્યાનમાં રાખીનેે બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરાયા છે.

TNN 5 Aug 2020, 8:40 am
કપિલ દવે, ગાંધીનગર: કોરોના વાયરસ મહામારીની અસર દરેક પ્રકારના કામકાજ પર થઈ છે અને આમાંથી ગુજરાત વિધાનસભા પણ બાકાત નથી. આગામી મહિને ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાશે જેમાં ભાગ લેનારા અમુક ધારાસભ્યોને પબ્લિક ગેલેરીમાં બેસાડવામાં આવશે. 1960માં બોમ્બેથી રાજ્ય છૂટું પડ્યું ત્યાર બાદથી પહેલીવાર આ પ્રકારની વ્યવસ્થા જોવા મળશે.
I am Gujarat vidhansabha


સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ એક બેન્ચ પર નહીં બેસે. બંનેને બેસવા માટે જુદી-જુદી બેન્ચ આપવામાં આવશે. 182 ધારાસભ્યોવાળી ગુજરાત વિધાનસભામાં 185 વ્યક્તિઓ બેસી શકે તેવી ક્ષમતા છે. પરંતુ જો તમામ ધારાસભ્યોને ગૃહમાં એકસાથે બેસાડવામાં આવશે તો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન ગણાશે. ઉપરાંત જ્યારે વિધાનસભાની કાર્યવાહી ચાલતી હોય ત્યારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓનો સ્ટાફ તેમજ ગૃહનો સ્ટાફ પણ ત્યાં બેસે છે. મતલબ કે, જ્યારે સત્ર ચાલતું હોય ત્યારે વિધાનસભા ગૃહમાં આશરે 250 લોકો હાજર હોય છે પરંતુ કોરોના કાળમાં આ યોગ્ય નથી. પરિણામે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર માટે નવી બેઠક વ્યવસ્થા ઘડવામાં આવી છે.

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, તેમણે જૂનિયર ધારાસભ્યોને પબ્લિક વ્યૂઈંગ ગેલેરીમાં બેસાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, "જૂનિયર ધારાસભ્યોને જ્યારે પણ બોલવું હશે ત્યારે તેમને માઈક આપવામાં આવશે. ગૃહમાં બે બેન્ચ વચ્ચે નક્કી અંતર જાળવવા માટે અમુક બેન્ચો હટાવી લેવાશે. ચોમાસુ સત્રમાં અડધા કે તેનાથી પણ ઓછી સંખ્યામાં ધારાસભ્યોને ગૃહમાં બેસાડવામાં આવશે. સપોર્ટ સ્ટાફની હાજરી પર પણ કાપ મૂકવામાં આવશે. માત્ર જરૂર પૂરતા પટાવાળા અને અંગત સ્ટાફને ગૃહમાં હાજર રહેવા દેવાશે."

નવી વ્યવસ્થા મુજબ, ચોમાસુ સત્રના સમયગાળા દરમિયાન કોઈપણ મુલાકાતીઓને વિધાનસભામાં પ્રવેશ આપવામાં નહીં આવે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, "ધારાસભ્યો સહિતના તમામ સત્તાધારીઓને ગૃહમાં પ્રવેશ આપતાં પહેલા કોવિડ-19ને લગતું સ્ક્રીનિંગ કરવામાં આવશે. તમામ મુલાકાતીઓએ માસ્ક પહેરવા ફરજિયાત છે, જે નહીં પહેરે તેને દંડ ફટકારવામાં આવશે. અમે સેનિટાઈઝર, મેડિકલ સ્ક્રીનિંગ સહિતની જરૂરિયાતની વસ્તુઓની વ્યવસ્થા ગોઠવીશું."

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ મહિનામાં ભાજપના પાંચ અને કોંગ્રેસના ચાર ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. જૂન મહિનામાં વિધનાસભા પરિસરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી કોરોનાની ચપેટમાં આવ્યા હતા. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો