એપશહેર

ગુજરાત સરકાર સામે કડક ચુકાદા આપનારા જજનું રાજીનામું

Mitesh Purohit | I am Gujarat 27 Sep 2017, 9:51 am
અમદાવાદઃ કર્ણાટક હાઇકોર્ટના જજ અને ગુજરાત હાઈકોર્ટમાં પોતાના કાર્યકાળ દ્વારા અનેક બોલ્ડ ચૂકાદા આપનાર જસ્ટિસ જયંત પટેલના રાજીનામાના કારણે ફરી એકવાર દેશમાં જજોની નિયુક્તી કરતી કોલેજીયમ સીસ્ટમ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને પણ આ મામલે ઝંપલાવતા સુપ્રીમ કોર્ટમાં કોલેજીયમના નિર્ણય વિરૂદ્ધ પીટીશન દાખલ કરી દીધી છે. દેશની હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં જજોની નિયુક્તિ અને ટ્રાન્સફર સુપ્રીમ કોર્ટના સિનિયર મોસ્ટ જજીસ દ્વારા બનેલ કોલેજીયમ કરે છે. જસ્ટિસ જયંત પટેલનું તાજેતરમાં અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા તેમણે રાજીનામું આપ્યું હતું. આ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, ‘છેલ્લા 15 વર્ષથી હું ગુજરાતમાં કાર્ય કરું છું મારા કામથી દરેક લોકો વાકેફ છે. પરંતુ હવે જ્યારે મારી સર્વિસમાં થોડો સમય જ બાકી રહ્યો છે ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફરથી ત્યાં જવાનો કોઇ મતલબ રહેતો નથી.’ ગુજરાતમાં તેમણે પોતાની કામગીરી દરમિયાન ઇશરત જહાં કેસ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરજીયાત મતદાન, તેમજ પાટીદાર આંદોલન બાદ રાજકીય મંછા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મોડી કરવાના સરકારના નિર્ણય જેવા મુદ્દે મહત્વપૂર્ણ ચૂકાદા આપ્યા હતા. જસ્ટિસ જયંત પટેલ કર્ણાટક હાઇકોર્ટમાં બીજા નંબરના સિનિયર મોસ્ટ જજ છે. હાલ કર્ણાટકના ચીફ જસ્ટિસ એસ. કે. મુખર્જી 9 ઓક્ટોબરના રોજ નિવૃત્ત થવાના છે ત્યારે જસ્ટિસ પટેલ એક્ટિંગ ચીફ જસ્ટિસ અથવા ચીફ જસ્ટિસ બનવા જોઈએ. પરંતુ જો તેઓને અલ્હાબાદ હાઇકોર્ટ ટ્રાન્સફર કરવામાં આવે તો સિનિયોરિટી પ્રમાણે તેમનો નંબર 3 થઈ જાય છે. જ્યારે ઓગસ્ટ 2015થી ફેબ્રુઆરી-2017 સુધી તેઓ ગુજરાત હાઇકોર્ટમાં એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત હતા. ગત વર્ષે ફેબ્રુઆરીમાં તેમની કર્ણાટક હાઈકોર્ટમાં નિયુક્તી કરવામાં આવી હતી. હવે આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ એડેવોકેટ એસોસિએશને એક દિવસીય હડતાળ પાડી વિરોધ દર્શવ્યો છે તેમજ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાનું નક્કિ કર્યું છે. જેમાં ‘જસ્ટિસ જયંત પટેલના ટ્રાન્સફરની પ્રક્રિયાને પડકારાઈ છે તેમજ ક્યા કારણે કોલેજીયમે આ નિર્ણય લીધો તેની સમગ્ર કારણ જાહેર કરવા અપીલ કરવામાં આવી છે.’ બીજી તરફ કર્ણાટક સ્ટેટ બાર કાઉન્સીલ તેમજ એડવોકેટ એસોસિએશન ઓફ બેંગલુરુએ પણ જસ્ટિસ જયંત પટેલના ટ્રાન્સફરનો વિરોધ કર્યો છે. બાર કાઉન્સિલના મેમ્બર અનિલ કેલાએ ક્યું કે ‘ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની અપીલના આધારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે બેઠક મળનાર છે જેમાં આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.’ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના અસિમ પંડ્યાએ કહ્યું કે, ‘જો જજીસને તેમના ચૂકાદ માટે જવાબદાર ઠેરવીને તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવાની પરંપરા ચાલશે તો નાગરિકોના મૂળભૂત્ત હક્કો ફક્ત કાગળ પર જ સુરક્ષીત રહી જશે.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો