એપશહેર

આજીવન સાદગીને વરેલા રહ્યા કેશુભાઈ, સીએમ બન્યા તો પણ જાહોજલાલીથી દૂર રહ્યા

I am Gujarat 29 Oct 2020, 5:58 pm
92 વર્ષની જૈફ વયે સ્વર્ગે સિધાવેલા ગુજરાતમાં જ્યારે ભાજપ અને જનસંઘ પાપા પગલી ભરી રહ્યા હતા ત્યારથી કેશુભાઈ તેની સાથે જોડાયેલા હતા. સંઘના કાર્યકર્તા તરીકે જાહેરજીવનની શરુઆત કરનારા કેશુભાઈ પ્રચાર માટે ગામેગામ ફરતા હતા.
I am Gujarat keshubhai patel passes away at the age of 92 here are his rare pics
આજીવન સાદગીને વરેલા રહ્યા કેશુભાઈ, સીએમ બન્યા તો પણ જાહોજલાલીથી દૂર રહ્યા



આજે તો નેતાઓ લક્ઝુરિયસ કાર તો ઠીક, ચાર્ટર્ડ વિમાનો અને હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે, ત્યારે કેશુભાઈ અત્યંત સાદગીમાં અને સંસાધનોની કામી વચ્ચે રહીને પણ ખંતથી પોતાનું કામ કરતા હતા.


ગામડાંમાં ઓટલા પરિષદ કરવાની હોય કે પછી કોઈ જગ્યાએ સ્ટેજને બદલે ગાદલા પર બેસીને જાહેરસભામાં ભાગ લેવાનો હોય, કેશુભાઈએ જનસંપર્ક કરવામાં ક્યારેય નાનમ નહોતી રાખી.


લાલકૃષ્ણ અડવાણીએ જ્યારે સોમનાથથી અયોધ્યા સુધી પોતાની રથયાત્રા શરુ કરી ત્યારે કેશુભાઈ તેમાં પણ સામેલ થયા હતા.


આજકાલના નેતાઓ સત્તા માટે પક્ષપલ્ટો કરવામાં જરાય વિચારતા નથી, ત્યારે કેશુભાઈએ સત્તા ઘણી દૂર હોવા છતાંય ખંતથી પહેલા જનસંઘ અને ત્યારબાદ ભાજપના પાયા મજબૂત કરવામાં પોતાના જીવનના પાંચ દાયકા ખર્ચી નાખ્યા.


કેશુભાઈએ જાહેરજીવનની શરુઆત કરી ત્યારે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશભરમાં કોંગ્રેસની લોકપ્રિયતા ચરમસીમાએ હતી. તેવા સમયે કોંગ્રેસને ટક્કર આપી શકાય તેવો પક્ષ ઉભો કરવાની કલ્પના પણ મુશ્કેલ લાગતી હતી. તેવા પડકારો વચ્ચે પણ કેશુભાઈએ મહેનતમાં કોઈ કચાશ નહોતી છોડી.


લાંબા ઈંતેજાર અને કપરી મહેનત કર્યા બાદ આખરે 1995માં ભાજપને માટે ગુજરાતમાં સરકાર બનાવવાનો રસ્તો સાફ થયો હતો. તે વખતે કેશુભાઈ પટેલને સીએમ બનાવાયા હતા. જોકે, તેમના જ જૂના સાથીદાર શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈ સામે બળવો કરતા કેશુભાઈને વિદાય થવું પડ્યું હતું.


જોકે, શંકરસિંહની સરકાર પણ લાંબુ નહોતી ચાલી શકી. 1998માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં શંકરસિંહના પક્ષ રાજપાના સૂપડા સાફ થઈ ગયા, અને ભાજપને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થઈ. આખરે કેશુભાઈ 1998માં ફરી સીએમ બન્યા.


બીજીવાર સીએમ બનેલા કેશુભાઈ સામે આ વખતે દેખીતી રીતે કોઈ રાજકીય પડકાર નહોતો. જોકે, 2001માં આવેલા ભૂકંપે તેમના માટે મુશ્કેલી સર્જી. કેશુભાઈ ગુજરાતની સ્થિતિને સંભાળી શકે તેમ નથી તેવી હાઈકમાન્ડને ફરિયાદો મળતા આખરે કેશુભાઈને ટર્મ પૂરી કર્યા વિના જ ઓક્ટોબરમાં રાજીનામું આપવું પડ્યું.


2001માં ખુરશી છોડ્યા બાદ કેશુભાઈ ક્યારેય સરકારનો હિસ્સો ના બની શક્યા. આખરે 2012માં તેમણે ભાજપ સામે બળવો કર્યો, અને વિધાનસભા ચૂંટણીમાં જીપીપીના બેનર સાથે ઝંપલાવ્યું. જોકે, 83 વર્ષની વયે તેમણે શરુ કરેલી નવી ઈનિંગ્સ પણ લાંબી ના ચાલી, અને બે વર્ષમાં જ જીપીપીનું ભાજપમાં વિલિનિકરણ થઈ ગયું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો