એપશહેર

કોરોના સંક્રમિત બાળકો પરિવારના અન્ય સભ્યોને ચેપ લગાડી શકે?

સ્ટડીમાં જાણવા મળ્યું કે નાના બાળકો કરતાં 12થી18ના વયજૂથના બાળકો વધુ સંક્રમિત થાય છે.

Authored byBrendan Dabhi | Edited byશિવાની જોષી | Ahmedabad Mirror 21 Dec 2020, 4:18 pm
મહામારીના વર્ષની સૌથી વધુ અસર કોઈના પર થઈ હોય તો તે બાળકો છે કારણકે તેમની સ્કૂલો બંધ થઈ ગઈ અને ઓનલાઈન ક્લાસમાં ભણવાનું શરૂ કરવું પડ્યું. બાળકો આખો દિવસ ઘરમાં કંટાળી ના જાય માટે પેરેન્ટ્સ પણ સાવચેતીના તમામ પગલાં ભરીને તેમને બહાર રમવા મોકલે છે. જો કે, તેમના મનમાં સતત ચિંતા તો રહે જ છે કે, બાળકોને ઈન્ફેક્શન ઘરમાં લઈને આવે. રખે ને એવું થયું તો અન્ય બીમારી ધરાવતાં ઘરના વડીલોની ચિંતા સતત કોરી ખાય છે.
I am Gujarat kids corona
પ્રતિકાત્મક તસવીર


જો તમને પણ આવી ચિંતા થતી હોય તો થોડા રાહતના સમાચાર છે. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર (IIPHG) દ્વારા કરવામાં આવેલા સ્ટડીમાં બહાર આવ્યું છે કે, 0થી 18ની વયમર્યાદામાં આવતા બાળકો દ્વારા કોરોના વાયરસનો ચેપ લાગવાની શક્યતા 1.7 ટકા છે. વાયરલ લોડ અને ઈન્ફેક્શન ફેલાવાની ક્ષમતા ઓછી આ માટે કારણભૂત છે. રિસર્ચના પ્રારંભે જ જાણવા મળ્યું કે, કોરોના વાયરસ બાળકોને ખાસ અસર કરતો નથી, ગુજરાતના બાળકો માટે આ વાત સાચી નીવડી રહી છે. ગુજરાતમાં પૂરો થયેલો IIPHGનો આ સ્ટડી વિશ્વના પહેલવહેલા સ્ટડી પૈકીનો એક છે જે બાળકોમાં કોવિડને લઈને થતાં પ્રશ્નોના જવાબ આપે છે.

IIPHGના રિસર્ચરો દ્વારા તૈયાર કરાયેલા ટૂંકા રિપોર્ટને ઓક્સફર્ડ જર્નલ ઓફ પબ્લિક હેલ્થની સ્વીકૃતિ મળી છે. આ રિસર્ચ પ્રમાણે, ઘરે રહેતા અને ખાસ કરીને મોટા સંયુક્ત પરિવારમાં રહેતા બાળકોમાં કોવિડ-19નો સેકંડરી અટેક રેટ (SAR) માત્ર 1.7% છે.

ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય અને IIPHGના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવલંકરે કહ્યું, "કોવિડ-19 પોઝિટિવ બાળકો દ્વારા પરિવારમાં કોરોના ફેલાવાનું જોખમ ઓછું છે, ખાસ કરીને નાના પરિવારોમાં તો ઓછું જ છે. શૈક્ષણિક સંસ્થાઓ ફરી શરૂ કરવાથી માંડીને અનેક બાબતો માટે આ વાત સૂચિતાર્થ છે. બાળકો કોરોના સંક્રમિત થઈ શકે છે પરંતુ તેઓ ચેપ ઘરના અન્ય વ્યક્તિઓને નથી લગાડી શકતા. જો કે, આ મામલે હજી ઊંડા અભ્યાસની જરૂર છે."

આ રિસર્ચ પેપરના લીડ ઓથર ડૉ. કોમલ શાહે અમારા સહયોગી મિરરને જણાવ્યું, "અમારો આ સ્ટડી વિશ્વમાં થયેલો બીજો સ્ટડી છે. અગાઉ આ વિષય પર સાઉથ કોરિયાથી સ્ટડી પ્રકાશિત થયો હતો. સ્ટડીને રિવિઝન વિના જ બે દિવસમાં સ્વીકૃતી મળી ગઈ હતી. અમે આશા રાખીએ છીએ કે, આ સ્ટડી બાળકોમાં કોરોના વાયરસ અને વસ્તી પર એકંદરે અસર અંગેના ભવિષ્યમાં થનારા રિસર્ચમાં મદદરૂપ સાબિત થઈ શકે." આ સ્ટડી IIPHGના ડાયરેક્ટર દિલીપ માવલંકર અને ડૉ. યોગિની કાંદ્રેએ પણ લખ્યો છે.

સાઉથ કોરિયાના સ્ટડીમાં બહાર આવ્યું હતું કે, બાળકો દ્વારા થતો સેકંડરી અટેક રેટ 0.5% છે. આ સ્ટડીમાં 107 દર્દીઓનો સમાવેશ થયો હતો. SARS-CoV2થી સંક્રમિત થયેલા 242 બાળકોનો ડેટા રિસર્ચરોએ લીધો હતો. પરંતુ 242માંથી તેઓ માત્ર 72 ઈન્ડેક્સ પિડિયાટ્રિક દર્દીઓ અને 287 હાઉસહોલ્ડ કોન્ટેક્ટ સાથે આગળ વધી શક્યા કારણકે કેટલાક બાળકો પોતે સેકંડરી કેસ હતા, પેરેન્ટ્સે સ્ટડીમાં સામેલ થવાની મંજૂરી ના આપી અને અમુક પરિવારોનો સંપર્ક ના થઈ શક્યો. આ 72 બાળકોમાંથી માત્ર પાંચ પરિવારમાં સેકંડરી ઈન્ફેક્શન લાગ્યું હતું. મતલબ કે, બાળકો દ્વારા ફેલાવાયેલા સંક્રમણનો દર 1.7 ટકા હતો. કો-મોર્બિડિટીના કારણે કોરોના સંક્રમિત એક બાળકનું અવસાન પણ થયું. આ બાળક દ્વારા 80 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિને ચેપ લાગ્યો હતો તેઓ પણ કોરોના સામે હારી ગયા. સ્ટડીમાં બહાર આવ્યું કે, 12થી 18 વર્ષની વયના બાળકો નાની ઉંમરના બાળકો કરતાં વધુ પ્રમાણમાં સંક્રમિત થયા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો