એપશહેર

નિઃસંતાન દંપતીઓને લોકડાઉન ફળ્યું, સ્ટ્રેસ ઓછો થતાં કુદરતી રીતે ગર્ભધારણ કરી શક્યા

લોકડાઉન દરમિયાન તણાવ ઘટતાં ઘણાં નિઃસંતાન દંપતીઓ કુદરતી ગર્ભધારણમાં સફળ રહ્યા હતા.

Authored byRadha Sharma | Edited byશિવાની જોષી | TNN 24 Jan 2021, 10:01 am
અમદાવાદ: લોકડાઉન દરમિયાન 38 વર્ષીય હેતલ ગજ્જર અને 36 વર્ષીય પ્રતીક ગજ્જરના જીવનમાં ચમત્કાર થયો. સાત વર્ષ સુધી સતત પ્રયાસ પછી કપલે આશા છોડી દીધી હતી. વિવિધ IVF સાયકલ પણ નિષ્ફળ રહી હતી. માર્ચના અંતે લોકડાઉન જાહેર થયું તે પહેલા તેઓ માતાપિતા બનવા માટે કોઈ ડોનરના એગ લેવા પણ તૈયાર હતા. જો કે, હોસ્પિટલો બંધ થતાં તેમણે માતાપિતા બનવાનો પ્લાન 2021 કે 2022 સુધી મુલતવી રાખ્યો હતો.
I am Gujarat hetal pratik gajjar
હેતલ અને પ્રતીક ગજ્જર (તસવીર સૌજન્ય- TOI)


સપ્ટેમ્બર 2020માં ફરીથી IVF ટ્રીટમેન્ટ શરૂ કરતાં પહેલા જ હેતલને જાણ થઈ કે તે ગર્ભવતી છે. 'ડૉક્ટરે જણાવ્યું કે આ કુદરતી ગર્ભધારણ છે', તેમ પ્રતીકે કહ્યું. નરોડામાં ROનો બિઝનેસ કરતાં પ્રતીકે કહ્યું, "દેખીતી રીતે જ તમામ સારવાર નિષ્ફળ રહી હતી ત્યારે લોકડાઉનના કારણે તણાવ મુક્ત અને મંદ થયેલી જીવનની ગતિ અસર કરી ગઈ. આ એવો સમય હતો જ્યારે અમે એકબીજા સાથે અઢળક સમય વિતાવ્યો હતો. કોવિડ પહેલાની અમારી જિંદગી ખૂબ વ્યસ્ત હતી. હું લગભગ દિવસના 14 કલાક કામ કરતો હતો."

ગજ્જર દંપતીનો આ કિસ્સો પહેલો નથી. રાજ્યભરના ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ્સનું કહેવું છે કે, મહામારી પહેલા IVF ટ્રીટમેન્ટ કરાવી રહેલા નિઃસંતાન દંપતીઓમાં 'કુદરતી ગર્ભધારણ'નું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડૉ. ફાલ્ગુની બાવીશીએ કહ્યું, "અમારા નિરીક્ષણ હેઠળ IVF ટ્રીટમેન્ટ લઈ રહેલા ત્રણ દંપતીઓને લોકડાઉન દરમિયાન કુદરતી ગર્ભધારણ થયું હતું."

હેતલ ગજ્જરે કહ્યું, "વર્ક ફ્રોમ હોમના કારણે અમે યોગ્ય આહાર લઈ શક્યા અને કસરત કરી. સાથે જ એકબીજા જોડે ક્વોલિટી સમય વિતાવ્યો હતો. લોકડાઉને સાબિત કરી આપ્યું કે, તણાવ અનએક્સપ્લેઈન્ડ ઈન્ફર્ટિલિટીનું (વંધ્યતા)નું મહત્વનું કારણ છે."

કરમસદના સ્વાતિ અને ધ્રુવ પ્રજાપતિ ત્યાં પણ હવે ગમે ત્યારે 'મિરેકલ બેબી'નો જન્મ થઈ શકે છે. સ્વાતિએ કહ્યું તેની ઉંમર 27 વર્ષની છે પરંતુ તેના અંડાશયની ઉંમર 37 છે, જેના કારણે સારી ગુણવત્તાના ઈંડા તૈયાર થતા નહોતા. "લોકડાઉન પહેલા મેં સારવાર શરૂ કરાવી હતી પરંતુ કોવિડ-19 ફાટી નીકળતા દવાઓ બંધ કરવી પડી હતી. સદભાગ્યે લોકડાઉન દરમિયાન મેં કુદરતી રીતે જ ગર્ભધારણ કર્યો", તેમ સ્વાતિએ ઉમેર્યું.

ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડૉ. નયના પટેલે કહ્યું, "લોકડાઉન દરમિયાન મારા હાથ નીચે સારવાર લઈ રહેલા ચાર નિઃસંતાન દંપતીએ કુદરતી ગર્ભધારણ કર્યો છે. તણાવના કારણે એપિનેફ્રાઈન અને કોર્ટિસોલ ઉત્પન્ન થાય છે જેના કારણે વિવિધ અંગોની કાર્યપ્રણાલી પર અસર પડે છે. મહિલાઓના માસિક ચક્ર અને હોર્મોન્સ પર સ્ટ્રેસની અસરો વિશે યોગ્ય દસ્તાવેજીકરણ થયેલું છે."

ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર રમણ પટેલે કહ્યું કે, લોકડાઉન દરમિયાન ઘણાં નિઃસંતાન દંપતીને ફાયદો થયો છે, જે સૂચવે છે કે યુવાન યુગલોએ જીવનમાંથી સ્ટ્રેસ ઓછો કરવા પર ધ્યાન આપવું જોઈએ.
લેખક વિશે
Radha Sharma
Radha Sharma is assistant editor at The Times of India, Ahmedabad, and covers issues related to health and social development. Her interest lies in doing socially relevant campaigns and human interest stories. She likes to read fiction and listen to music.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો