એપશહેર

કોરોનાનો ટેસ્ટ ફરજિયાત: ગુજરાતથી મુંબઈ જનારા લોકોએ શોધી નાખ્યો નવો જુગાડ

I am Gujarat 4 Dec 2020, 4:58 pm
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસ વધતા મહારાષ્ટ્રએ ગુજરાતથી આવતા તમામ લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. જોકે, લોકોએ તેના માટે પણ જુગાડ શોધી લીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કોઈ વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય તો હવે તેના રિપોર્ટ સાથે કમ્પ્યુટરમાં છેડછાડ કરીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
I am Gujarat maharashtra makes rtpcr test mandatory for gujaratis but there is a loop hole
કોરોનાનો ટેસ્ટ ફરજિયાત: ગુજરાતથી મુંબઈ જનારા લોકોએ શોધી નાખ્યો નવો જુગાડ


ટ્રેન તેમજ બાય એરથી ગુજરાતથી મુંબઈ આવતા લોકોના રિપોર્ટ સ્ટેશન કે એરપોર્ટ પર જ ચેક કરવામાં આવી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો, એરપોર્ટ પર ઉતરતા મોટાભાગના લોકો મોબાઈલમાં જ પોતાના રિપોર્ટ બતાવતા હોય છે. હવે તો આઈડી કાર્ડ તેમજ બોર્ડિંગ પાસ પણ મોબાઈલમાં જ આવતા હોવાથી લોકો રિપોર્ટ પણ તેમાં જ રાખે છે.

એરપોર્ટ પર જ્યારે આ રિપોર્ટ ચેક કરાય ત્યારે લોકો ફોનમાં રહેલી કોપી બતાવી દે છે, જેમાં કોઈના જૂના રિપોર્ટમાં તારીખ અને નામ બદલી નાખવામાં આવેલા હોય છે. બીજી તરફ, લોકોનો ધસારો પણ વધુ રહેતો હોવાથી એરપોર્ટ પર તૈનાત સ્ટાફ ડિટેઈલમાં રિપોર્ટ ચેક કરવાને બદલે માત્ર નામ અને રિપોર્ટ નેગેટિવ છે કે કેમ તે ચેક કરીને પેસેન્જરને રવાના કરી દેતો હોય છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ખાનગી લેબમાં ટેસ્ટિંગ કરાવનારાની સંખ્યા પણ મોટી છે. તેવામાં મોટાભાગના કિસ્સામાં લેબવાળા પેશન્ટના રિપોર્ટની પીડીએફ કોપી તેને વ્હોટ્સએપ પર મોકલી દેતા હોય છે. જો જરુર ના હોય તો પ્રિન્ટ કરેલો રિપોર્ટ કોઈ લેવા પણ નથી જતું. તેવામાં ફોટોશોપ કે બીજા કોઈ સોફ્ટવેરની મદદથી તેમાં ચેડા કરવા પણ ખૂબ જ સરળ છે.

હાલ ગુજરાતમાં RT-PCR ટેસ્ટની કિંમત 800 રુપિયા છે, અગાઉ તો આ ચાર્જ 1500 રુપિયા જેટલો હતો. જો મુંબઈ કે મહારાષ્ટ્રમાં બીજી કોઈ જગ્યાએ જવાનું હોય તો આ ટેસ્ટ જ માન્ય ગણાય છે. સરકારી દવાખાના તેમજ સેન્ટર્સમાં ફ્રીમાં થતા એન્ટિજેન ટેસ્ટ માન્ય નથી ગણાતા. પરંતુ RT-PCR ટેસ્ટ કરાવવા પૈસા ખર્ચવા કરતા લોકો પીડીએફ દ્વારા જ ગોઠવણ કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

મુંબઈ જતી ફ્લાઈટો અને ટ્રેનો પણ ખાલી

અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો રુટ દેશના સૌથી વ્યસ્ત રુટોમાંનો એક ગણાય છે. જોકે, કોરોનાને કારણે આ રુટ પર એર તેમજ રેલ ટ્રાફિક સાવ ઘટી ગયો છે. તેમાંય મહારાષ્ટ્ર દ્વારા ગુજરાતથી આવનારા લોકોના ટેસ્ટ ફરજિયાત બનાવાતા ઘણા લોકોએ પોતાના પ્રવાસ મુલત્વી રાખ્યા છે.

એર ટ્રાફિકની વાત કરીએ તો, અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઈટ્સમાં માંડ 40 ટકા જેટલા જ પેસેન્જર હોય છે. ટ્રેનો પણ ખાલી જ દોડી રહી છે. ઉલ્લેખનીય છે કે, પેસેન્જરો ના મળવાથી તેજસ એક્સપ્રેસને તો કેન્સલ કરી દેવાનો રેલવેએ ક્યારનોય નિર્ણય લઈ લીધો છે. આ સિવાય કર્ણાવતી, ડબલ ડેકર સહિતની ટ્રેનો પણ ખાલી જ ચાલી રહી છે.

સામાન્ય રીતે અમદાવાદથી સવારે રવાના થતી ટ્રેનોમાં રિઝર્વેશન કરાવવું હોય તો ઘણું એડવાન્સમાં કરાવી દેવું પડે છે, તેના બદલે હાલ તો શનિવારની ટિકિટ શુક્રવારે પણ આરામથી મળી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

Read Next Story