એપશહેર

મેઘાણીનગરમાં 31stની રાત્રે 1.78 કરોડના સોનાની લૂંટ, કલાકોમાં જ મુદ્દામાલ સાથે લૂંટારા ઝડપાયા

TNN 2 Jan 2021, 8:53 am
અમદાવાદઃ શહેરમાં નવા વર્ષની શરૂઆત હાલના સમયની સૌથી મોટી લૂંટ સાથે થઈ હતી. 4000 પોલીસ બંદોબસ્તમાં હોવા છતાં પણ1.78 કરોડના સોનાના દાગીનાના 27 પેકેજની લૂંટની ઘટના બની હતી. પરંતુ સીનિયર પોલીસ અધિકારીઓએ શુક્રવારે મોડી રાત્રે બનેલી આ ઘટનાને ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખી હતી અને લૂંટનો મોટો ભાગ રિકવર કરી લીધો છે.
I am Gujarat police


ઘટનાની વિગતો મુજબ, મેઘાણીનગર એરફોર્સ હેડક્વોર્ટર નજીકથી ત્રણ અજાણ્યા શખ્સોએ પરોઢિયે 3.25 મિનિટે સોનાના પેકેટ્સ ભરેલા બે કુરિયરની લૂંટ ચલાવી હતી. શહેરભરમાં દારૂ પીને અથવા કર્ફ્યૂનું ઉલ્લંઘન કરીને નવા વર્ષની ઉજવણી કરતા લોકોને અટકાવવા પોલીસ ડિપ્લોય કરાઈ હતી. પરંતુ લૂંટારૂઓ નાકાબંધીમાંથી પણ સરળ રીતે પસાર થવામાં સફળ રહ્યા હતા.

પોલીસના સૂત્રોએ કહ્યું કે, સરદારનગરનો પીડિત વિદ્યાધર શર્મા અને જગદીશ ચૌધરી લૂંટારૂઓ સામે પોતાના બેગ બચાવવા જતા ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. શર્મા આ કેસમાં ફરિયાદી છે. મેઘાણીનગરના પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, શર્માને હાથ પર લાકડી મારવામાં આવી હતી, જ્યારે જગદીશને માથા પર. બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

શર્મા દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ, તે બે કુરિયર કંપની જય માતાજી લોજિસ્ટિક્સ અને જય માતાજી એર ધરાવે છે અને એકમાં સુરેશ શર્મા તેનો ભાગીદાર છે. બંને કુરિયર કંપનીઓની ઓફિસ રાજકોટમાં સ્થિત છે પરંતુ તેઓ અમદાવાદથી પાર્સલ કલેક્ટ કરે છે.

મેઘાણીનગર પોલીસના ઈન્સ્પેક્ટર જે.એલ ચૌહાણે જણાવ્યું કે, દેશના જુદા જુદા ભાગોમાંથી કંપનીઓ હવાઈ માર્ગે પાર્સલમાં સોનું મોકલે છે. ફરિયાદ મુજબ, 30, ડિસેમ્બર 2020માં શર્માના પાર્ટનર સુરેશ ચૌધરીએ તેને ફોન કરીને જણાવ્યું કે તે રાજકોટથી ફરિયાદી અને જદગીશના પિતરાઈ ભાઈ શ્યામસુંદર શર્મા દ્વારા સોનાના પાર્સલ મોકલાવે છે.

મેઘાણીનગર પોલીસે કહ્યું, 31મી ડિસેમ્બરની રાત્રે શ્યામસુંદરે શર્માને ફોન કરીને જણાવ્યું કે તે સરદાર એરપોર્ટ નજીક સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે તેમની રાહ જોઈ રહ્યો છે. શર્મા ત્યાંથી શ્યામસુંદરને જગદીશના ઘરે બાઈક પર લઈને ગયો. આ બાદ શર્મા અને જગદીશ કન્સાઈનમેન્ટ માટે એર કાર્ગો કોમ્પલેક્ષમાં જવા માટે નીકળ્યા. આ દરમિયાન ત્રણ લોકોએ તેમને અટકાવ્યા અને તેમના પર હુમલો કરી દીધો.

સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કુરિયર કંપનીએ સોનાના દાગીના ભરેલી બેગમાં GPS સિસ્ટમ ફિક્સ કરી હતી. લૂંટની ઘટના શુક્રવારે પરોઢિયે 3.25 વાગ્યે બની હતી અને 4.10 વાગ્યે બેગનું લોકેશન ગાંધીનગરમાં બતાવતું હતું. આથી અમે તે રૂટના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું અને એક શંકાસ્પદ કાર ગાંધીનગર તરફ જતા જોઈ. અમને તેનો નંબર મળ્યો અને તેના દ્વારા અમે કારના માલિક સુધી પહોંચી ગયા. આરોપી આ પહેલા અન્ય કુરિયર કંપનીમાં કામ કરી ચૂક્યો હતો, આથી તે જાણતો હતો કે પાર્સલ કેવી રીતે મોકલવામાં આવે છે. તે પૂછપરછ દરમિયાન ભાંગી પડ્યો અને સ્વીકારી લીધું કે તેણે જ રાતો રાત પૈસાદાર બનવા માટે કુરિયર કંપનીના માણસોને લૂંટ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો