એપશહેર

ગાંધીનગર સચિવાલયમાં 30થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ, એકનું મૃત્યુ

કોરોનાએ ગાંધીનગર સચિવાલયમાં પણ પગપેસારો કરી દીધો છે. 30થી વધુ કર્મચારીઓને કોરોના થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જ્યારે કૃષિ વિભાગના એક કર્મચારીનું મોત થતાં ફફડાટ ફેલાયો છે.

Agencies 4 Aug 2020, 4:49 pm
ગાંધીનગર: ગુજરાતના પાટનગરમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. ગાંધીનગરમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગર નવા અને જૂના સચિવાલયમાં સરકારી કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાની માહિતી મળી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ સચિવાલય તથા સ્વર્ણિમ સંકુલમાં 30થી વધુ સરકારી કર્મચારીઓને કોરોના વાયરસ થયો છે,જ્યારે એક કર્મચારીનું મોત નીપજ્યું છે.
I am Gujarat 14
ગાંધીનગર સ્વર્ણિમ સંકુુલની ફાઈલ તસવીર


કૃષિ વિભાગના કર્મચારીના મોતથી ફફડાટ ફેલાયો
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોનાએ ગાંધીનગર સચિવાલયમાં પણ પગપેસારો કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ નવા અને જૂના સચિવાલયમાં 30થી વધુ કર્મચારીઓનો કોરોના થતા અન્ય કર્મચારીઓને કોરોના થવાનો ડર સતાવી રહ્યો છે. જ્યારે કૃષિ વિભાગના એક કર્મચારીનું મોત થતા અન્યમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જેના પગલે સરકારી ઓફિસોમાં સેનિટાઈઝિંગ અને થર્મલ સ્ક્રિનિંગની ફેસિલિટી ઉભી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 25 કેસ નોંધાયા
આંકડા મુજબ ગાંધીનગરમાં અત્યારસુધી કોરોનાના 1500થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમજ 25 દર્દીઓના મોત થયા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ ગાંધીનગર કોર્પોરેશન અને જિલ્લાના મળી કુલ 25 કેસ નોંધાયા હતા. જ્યારે 15 દર્દીઓ રિકવર થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જણાવી દઈએ કે, ગાંધીનગર નોર્થના ધારાસભ્ય સી.જે ચાવડાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ હાલ તેઓ અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Read Next Story