એપશહેર

કોરોના: ગુજરાતમાં નવા 19 કેસ નોંધાયા, સાજા થવાનો દર 98.76%

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 9, સુરત અને વડોદરામાં 3-3, કચ્છમાં 2, ભાવનગરમાં 1, ગીર સોમનાથમાં 1 કેસ નોંધાયો છે.

I am Gujarat 6 Sep 2021, 9:54 pm
અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 19 કેસ નોંધાયા છે અને સામે 13 દર્દી સાજા થયા છે. રાજ્યમાં આજે 4 વાગ્યા સુધીમાં કુલ 6,01,254 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા નોંધાયો છે.
I am Gujarat e3
પ્રતીકાત્મક તસવીર


રાજ્યમાં આજે કોરોના વાયરસના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસો 152 છે જેમાં 7 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 145 સ્ટેબલ છે. ગુજરાતમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 815275 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10082 નોંધાયો છે.

બીજી બાજુ ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાના કેસોની વિગતો પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 9, સુરત અને વડોદરામાં 3-3, કચ્છમાં 2, ભાવનગરમાં 1, ગીર સોમનાથમાં 1 કેસ નોંધાયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં પાછલા 24 કલાકમાં કોરોનાના વધુ 38,948 કેસ નોંધાયા છે અને 219 દર્દીઓના મોત થઈ ગયા છે. આ તરફ કેરળમાં 24 કલાકમાં 26,701 કેસ નોંધાયા છે, જેની સામે 74 દર્દીઓના મૃત્યુ થયા છે. એટલે કે જો દેશના કુલ કેસમાંથી કેરળનો આંકડો બાદ કરીએ તો 12,247 થાય છે. દેશમાં કોરોનાના નવા કેસ સામે સાજા થયેલા દર્દીઓ વધતા એક્ટિવ કેસની સંખ્યા નીચી આવી છે.

દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો ઘટીને 4,04,874 પર પહોંચ્યો છે, જે ગઈકાલે 4,10,048 પર હતો. કેરળમાં આવેલા ઉછાળા બાદ એક્ટિવ કેસના આંકડામાં ઝડપથી ઉછાળો આવ્યો છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3,30,27,621 થઈ ગઈ છે, કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 3.21 કરોડને પાર કરીને 3,21,81,995 થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાનાથી થયેલા મોતનો આંકડો વધીને 4,40,752 પર પહોંચ્યો છે. ભારતમાં 16 જાન્યુઆરીએ રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે, જેમાં આજે સવારે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કુલ ડોઝની સંખ્યા 68,75,41,762 થઈ ગઈ છે.

ત્રીજી લહેર ક્યારે આવશે અને તેનું સ્વરુપ કેવું હશે તેની ચર્ચા વચ્ચે મુંબઈમાં કોરોનાના કેસ 52 દિવસની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયા છે. એક તરફ, મહારાષ્ટ્રમાં કેસ ઘટ્યા છે, પરંતુ મુંબઈમાં આંકડા વધી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં કુલ 4,057 નવા કેસ નોંધાયા હતા જ્યારે 67 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં અત્યારસુધી 64.86 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે કોરોનાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા 1,37,774 પર પહોંચી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો