એપશહેર

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ વચ્ચે લોકડાઉન અંગે નીતિન પટેલે ફરી કરી સ્પષ્ટતા

ગુજરાતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવશે કે નહીં તે અંગે સરકારે કરી સ્પષ્ટતા

I am Gujarat 19 Apr 2021, 10:45 pm
ગુજરાતમાં બેકાબૂ બનેલા કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જોકે, કોરોના વિસ્ફોટ વચ્ચે સરકાર લોકડાઉન જાહેર કરવાના મૂડમાં નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલમાં લોકડાઉન લગાવવામાં આવશે નહીં. ઘણા લોકો, વેપારી સંગઠનો અને બજારો સ્વયંભૂ લોકડાઉન કરીને કોરોનાની ચેન તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, વેપાર, ધંધા, ઉદ્યોગ, ખેડૂતોની કામગીરી, પશુપાલકોની કામગીરી તથા અન્ય નાના-મોટા વેપાર ચાલું રહે તથા લોકોને વધારે ચેપ ન ફેલાય તેવો પ્રયાસ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે, તેમ તેમણે જણાવ્યું હતું.
I am Gujarat lockdown ahmedabad


લોકડાઉન અંગે તેમણે કહ્યું હતું કે, લોકડાઉન અંગે જુદા-જુદા અભિપ્રાયો આવે છે. નિષ્ણાતોમાં પણ આ અંગે મતભેદ છે. ઘણા કહે છે કે માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને વારંવાર હાથ ધોવો તેનાથી પણ સુરક્ષા મળે છે. લોકડાઉનથી ચેન તોડવામાં સફળતા મળે છે પરંતુ લોકડાઉનથી હજારો લોકોની રોજગારી પર માઠી અસર પડે છે. લોકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. ઘણા દેશો અને શહેરોમાં સતત લોકડાઉ કર્યું હોવા છતાં મોટા પ્રમાણમાં દર્દીઓ આવ્યા હતા.

ગુજરાતમાં અગાઉ લોકડાઉન દ્વારા કોરોનાની ચેન તોડી શક્યા હતા પરંતુ બીજી લહેરમાં ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તમે અડધો દિવસ દુકાનો બંધ રાખો અને અડધો દિવસ દુકાનો અને બજારોમાં ભીડ જામે છે તેનો કોઈ મતલબ નથી. રાત્રી દરમિયાન લોકો ખાણીપીણી કે પાનના ગલ્લાઓ તથા અન્ય જગ્યાઓ કોઈ કામ વગર ટોળે વળતા હોય છે. તેથી સંક્રમણ થવાનો ભય વધારે રહેતો હોય છે તેથી આપણે રાત્રી કર્ફ્યૂ કર્યો છે. તે ઉપયોગી દેખાય છે. કોઈ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો લોકડાઉન અંગે સ્પષ્ટ અભિપ્રાય આપી શક્યા નથી.

ઓક્સિજનના અભાવ અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત પૂરતી વાત કરું તો રાજ્યમાં ઓક્સિજનનું ઉત્પાદન થાય છે તેનો મોટો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવાર માટે અનામત કરી દીધો છે. અન્ય ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મોટા ભાગનો જથ્થો ફક્ત હોસ્પિટલોના ઉપયોગ માટે લેવામાં આવ્યો છે. તેના પર નજર રાખવા માટે કલેક્ટર અને અન્ય અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ઓક્સિજન સિલિન્ડર ભરાવાથી લઈને જરૂરીયાત સ્થળે પહોંચાડવા માટે તમામ વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેને લઈ જવા માટે પાઈલોટિંગ કરવામાં આવે છે.

રેમડેસિવિર ઈન્જેક્શન અંગે તેમણે કહ્યું હતું કે, સરકારી અને કોવિડ હોસ્પિટલોમાં આ ઈન્જેક્શન પૂરા પાડવા માટે સરકારે વ્યવસ્થા કરી છે. ઉત્પાદકો મેડિકલ ડિસ્ટ્રીબ્યુટર્સ કે ફાર્માસિસ્ટ આ ઈન્જેક્શન પૂરા પાડી રહી છે. સરકાર પણ મોટા પ્રમાણમાં ઈન્જેક્શન આપી રહી છે. દરરોજ 20 હજાર જેટલા ઈન્જેક્શન પૂરા પાડી રહી છે. જે રીતે જથ્થો પ્રાપ્ત થાય છે તે પ્રમાણે જિલ્લા અને મહાનગરોને મોકલવામાં આવી રહ્યા છે. સરકારી હોસ્પિટલોમાં મફતમાં ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો