એપશહેર

MGNREGA Scam: ઓસ્ટ્રેલિયા રહેતા ખેડાના NRIએ કાગળ પર ગામમાં તળાવ ખોદ્યું!

2012થી ઓસ્ટ્રેલિયામાં રહેતા અર્પિત અને તેના પરિવારજનોના નામે 96 હજાર રુપિયા ચૂકવી પણ દેવાયા, મલાઈ કોણે ખાધી તે એક મોટો સવાલ

I am Gujarat 30 Jul 2021, 11:58 am

હાઈલાઈટ્સ:

  • ગામના સરપંચે ગોલમાલનો સ્વીકાર કરતા કહ્યું, ભૂલથી તેમના નામ ઉમેરાઈ ગયા હશે
  • ખેડા જિલ્લાના અલિન્દ્રા ગામમાં ખોદાયેલા તળાવમાં NRI અને તેના પરિવારે કાગળ પર કામ કર્યું!
  • આવી બીજા પણ કાંડ થયા હોવાની શંકાએ ડીડીઓએ વધુ તપાસ કરવા માટે આદેશ કર્યો

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat alindra lake
મનરેગા યોજના હેઠળ ખોદવામાં આવેલા તળાવની તસવીર
અમદાવાદ: રાજ્યમાં મનરેગા કૌભાંડમાં વધુ એક પ્રકરણનો ખુલાસો થયો છે. આ વખતે ઓસ્ટ્રેલિયામાં રહેતા ખેડાના એક NRIને મનરેગા યોજના હેઠળ કામ કરવા બદલ રુપિયા ચૂકવવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, આ NRI ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા પોતાના વતન અલિન્દ્રા ગામમાં છેક 2012થી કાગળ પર તળાવ ખોદી રહ્યા છે.
અર્પિત પટેલ (ઉં. 30 વર્ષ) સિડનીમાં એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે. તેમની સાથે તેમના પરિવારજનોમાં પિતા દિનેશભાઈ પટેલ (ઉં. 59 વર્ષ), માતા જયશ્રીબેન પટેલ (ઉં. 56 વર્ષ), અર્પિતના મોટાભાઈ કિંજલ પટેલ (ઉં. 33 વર્ષ) મનરેગાના મજૂર તરીકે નોંધાયેલા છે. અર્પિત પટેલ 2012માં ઓસ્ટ્રેલિયા ગયા હતા. જોકે, મનરેગાના દસ્તાવેજો અનુસાર, 2012માં મજૂર તરીકે નોંધાયેલા પટેલ પરિવારે 184 દિવસ કામ કર્યું છે અને તેમને મહેનતાણાં તરીકે 96,000 રુપિયા ચૂકવવામાં આવ્યા છે.

અલિન્દ્રા ગામના સરપંચ રજનીકાંત પટેલે મનરેગામાં ગોલમાલ ચાલતી હોવાનો સ્વીકાર કર્યો હતો, પરંતુ બાબતને ભૂલમાં ખપાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડીડીઓએ આ કેસમાં તપાસનો આદેશ આપતા ચાર વર્ષ પહેલા આ ગેરરીતિ ધ્યાને આવી હતી. તેમણે કહ્યું હતું કે, અર્પિત ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો પરંતુ તેનું નામ મનરેગાના મજૂર તરીકે બોલતું હતું. તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે તેના પરિવારજનો પણ મનરેગાના મજૂર તરીકે નોંધાયેલા છે.

ખેડાના ડીડીઓ એમ.કે. દવેએ આવા વધુ મામલા હોઈ શકે છે તે શંકાએ તપાસનો આદેશ આપ્યો છે. તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તપાસને એકાદ સપ્તાહમાં પૂરી કરી દેવામાં આવશે અને ત્યારબાદ આરોપી સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ મામલે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ અર્પિતના ભાઈ કિંજલ પટેલનો સંપર્ક કરવા માટે અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમાં સફળતા નહોતી મળી. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઓગષ્ટ અને સપ્ટેમ્બર 2020માં મનરેગાના મોટા કૌભાંડ બહાર આવ્યા હતા. જેમાં મૃતકો, ડૉક્ટર, સરકારી કર્મચારીઓ, પોલીસકર્મીઓ અને સ્કૂલે જતા બાળકોને પણ મનરેગામાં નોંધાયેલા મજૂર બતાવીને તેમના નામે મહેનતાણું ચૂકવી દેવામાં આવ્યું હતું.

Read Next Story