એપશહેર

પદ્મવિભૂષણ મધુસૂદન ઢાંકીનું નિધનઃ આજે શ્રદ્ધાંજલી સભા

I am Gujarat 31 Jul 2016, 12:59 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat padmavibhushan madhusudan dhanki passed away
પદ્મવિભૂષણ મધુસૂદન ઢાંકીનું નિધનઃ આજે શ્રદ્ધાંજલી સભા


જાણીતા ઇતિહાસકાર, સ્થાપત્યવિદ્ એવા પદ્મવિભૂષણ ૮૯ વર્ષીય મધુસૂદન અમિલાલ ઢાંકીનું શનિવારે અમદાવાદ ખાતે તેઓનાં નિવાસસ્થાને અવસાન થયું છે. ભૂસ્તરશાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવીને પુરાતત્ત્વવિદ્યા અને સ્થાપત્યકળામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું કાર્ય કરનારા મધુસૂદન ઢાંકીને પદ્મવિભૂષણ ઉપરાંત કુમાર ચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર, રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે.

તેમને હિન્દુ, જૈન મંદિરોની સ્થાપત્ય શૈલીના હાલતા-ચાલતા એન્સાઇક્લોપીડિયા તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેઓની શ્રદ્ધાંજલી-પ્રાર્થના સભા રવિવારે સવારે ૯.૩૦થી ૧૦.૩૦ દરમિયાન એમ.સી.શાહ હાઉસ, ૧-બી અવન્તિકા સોસાયટી, નારણપુરા ક્રોસિંગ પાસે યોજાશે.

ગુજરાતનાં પોરબંદર ખાતે તા.૩૧ જુલાઇ, ૧૯૨૭ના રોજ જન્મેલા મધુસૂદન ઢાંકીનાં જીવન અંગે વિસ્તારપૂર્વક વાત કરતાં એલ.ડી.ઇન્ડોલોજીના ડાયરેક્ટર જિતેન્દ્ર શાહે જણાવ્યું કે, ભારતીય મંદિર સ્થાપત્ય, યુરોપના દેવળ સ્થાપત્યનો તુલનાત્મક અભ્યાસ કરનાર વિશ્વના એકમાત્ર શિલ્પશાસ્ત્રજ્ઞાતા હતા. ગુજરાતી ભાષામાં સાયન્સ-ફિક્શન જેવી કથાઓનાં પણ પ્રથમ લેખક કહેવામાં પણ અતિશયોક્તિ નહીં ગણાય.

‘એન્સાઇક્લોપીડિયા ઓફ ઇન્ડિયન ટેમ્પલ આર્કિટેક્ચર’ની ગ્રંથ શ્રેણીના પ્રધાન સંપાદક અને લગભગ ૨૫,૦૦૦ જેટલા પ્રાચીન મંદિરો ઉપર સંશોધનકાર્ય કરનારા મધુસૂદન ઢાંકીએ ૨૦થી વધુ પુસ્તકો, ૩૨૫ જેટલા સંશોધનપત્ર અને ૪૦૦થી વધુ સંશોધન લેખ તૈયાર કર્યા છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપનાં મંદિરો ઉપર પણ તેમણે સંશોધન કર્યું છે.

ભૂસ્તરશાસ્ત્ર ઉપરાંત પુરાતત્ત્વવિદ્યા, દેવાલય સ્થાપત્ય, ભારતીય દર્શનશાસ્ત્ર, રસશાસ્ત્ર, જૈનદર્શન ઇતિહાસ, સંગીત, રત્નશાસ્ત્ર, ચિત્રકામ સહિત અનેકાનેક ક્ષેત્રોના જ્ઞાનને એકસૂત્રે બાંધનારા ઊર્ણનાભ જેવા ઢાંકી સાહેબે વિદેશમાં પણ ભારતનું નામ રોશન કર્યું છે.

કેરીની 400 જાતિ અંગે પણ સંશોધન કર્યું હતું જિતેન્દ્રભાઇએ જણાવ્યું કે, પૂનામાં ભૂસ્તરશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ તેમણે બેન્કમાં નોકરી મેળવી. પિતાનો વારસો બાગાયતનો. એ વારસા અને અભ્યાસથી કૃષિ સંશોધનક્ષેત્રે નોકરી કરી. કેરીની જાતોના રાષ્ટ્રીય પ્રદર્શનમાં ભાગ લઇને પુરસ્કાર પણ લઇ આવ્યા. ઘઉં, કપાસની નવી જાતથી માંડીને ૪૦૦ પ્રકારની કેરી ઉપર પણ તેમનું સંશોધન ઉપયોગી સાબિત થયું હતું. તેઓ મંદિર સ્થાપત્ય, જૈનદર્શનનાં જ્ઞાતાથી લઇને સંગીતજ્ઞ પણ હતા. તેમણે સંગીત વિશે મૌલિક સંશોધન કરીને પુસ્તક તૈયાર કર્યુ – ‘સપ્તક’. સૌરાષ્ટ્રના મોતીકામ-ભરતકામ અંગે અંગ્રેજીમાં પુસ્તક તૈયાર કર્યું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો