એપશહેર

પીએમે કર્યું ગાંધીનગર રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન, લીલી ઝંડી બતાવી બે ટ્રેનોને પ્રસ્થાન કરાવ્યું

પીએમે દરેક શાળાને વિદ્યાર્થીઓને સાયન્સ સિટીનો પ્રવાસ કરાવવા અપીલ કરી, કહ્યું તેના ફોટો જોઈ કોઈને વિશ્વાસ નહોતો આવતો કે આ સ્થળ ભારતમાં આવેલું છે

I am Gujarat 16 Jul 2021, 5:39 pm
ગાંધીનગર: પીએમ મોદીએ આજે નવનિર્મિત ગાંધીનગર રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવાની સાથે બે ટ્રેનોને પણ લીલી ઝંડી આપી હતી. આ ઉપરાંત, તેમણે સાયન્સ સિટીમાં બનાવાયેલા રોબોટિક ગેલેરી, એક્વેરિયમ તેમજ નેચર પાર્ક સહિતના પ્રોજેક્ટ્સને જનતાને અર્પણ કર્યા હતા. પીએમે પોતાના ભાષણની શરુઆત કરતા ગુજરાતીમાં 'બધા મજામાં..'થી કરી હતી. પીએમે ગાંધીનગરથી જ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ આ તમામ સ્થળોને નિહાળવા માટે ઉત્સુક છે.
I am Gujarat pm modi inaugurates gandhinagar railway station shows green flag to two trains
પીએમે કર્યું ગાંધીનગર રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન, લીલી ઝંડી બતાવી બે ટ્રેનોને પ્રસ્થાન કરાવ્યું


પીએમે જણાવ્યું હતું કે, સારા જાહેર સ્થળો ખૂબ જ જરુરી છે, જેના વિશે ભૂતકાળમાં કોઈ વિચાર નહોતો થયો. ભૂતકાળમાં શહેરી આયોજનને લક્ઝરી માનવામાં આવતું હતું, જેના કારણે લોકોને સારી જાહેર જગ્યાઓથી વંચિત રહેવું પડતું હતું. સાબરમતી નદીનો ખાસ ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે પહેલા સાબરમતી કેવી હતી તે કોઈ ભૂલી શકે તેમ નથી. પરંતુ હવે રિવરફ્રંટ, પાર્ક તેમજ સી-પ્લેનથી તેનું સ્વરુપ જ બદલાઈ ગયું છે. તેવું જ કાંકરિયા વિશે પણ કહી શકાય.

સાયન્સ સિટી વિશે પીએમે જણાવ્યું હતું કે રોબોટ્સ અને ડાયનોસોરના રમકડાં માગતા બાળકો હવે તેમને સાયન્સ સિટીમાં જોઈને રાજી થશે. તેની એક્વેટિક ગેલેરી એશિયાના સૌથી ટોચના એક્વેરિયમમાં સામેલ છે. સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી જોઈને વિદ્યાર્થીઓ રોબોટિક્સનો અભ્યાસ કરવા માટે પ્રેરાશે. પીએમે જણાવ્યું હતું કે જ્યારે તેમણે રોબોટિક્સ ગેલેરીના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કર્યા ત્યારે કોઈ માનવા તૈયાર નહોતું કે આ સ્થળ ભારતમાં આવેલું છે. તેમણે સ્ટૂડન્ટ્સને તેની મુલાકાત લેવા ખાસ અપીલ કરી હતી અને સ્કૂલોને પણ વિદ્યાર્થીઓને ત્યાં લઈ જવા જણાવ્યું હતું.

દેશભરમાં રેલ કનેક્ટિવિટી આજે મજબૂત બની હોવાનું જણાવતા પીએમે કહ્યું હતું કે ગાંધીનગર-વારાણસી વચ્ચે ટ્રેન શરુ થવાથી સોમનાથ અને વિશ્વનાથની ભૂમિ એકબીજા સાથે જોડાઈ છે. સરકાર રેલવેને માત્ર એક સેવા તરીકે નહીં પરંતુ સંપત્તિ તરીકે વિકસાવી રહ્યા છીએ. આવનરા દિવસોમાં ફ્રેઈટ કોરિડોર કાર્યરત બનશે અને તેનાથી માલગાડીઓની સ્પીડ પણ વધશે. દેશના દરેક મોટા શહેરોના રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવામાં આવશે. પીએમે કહ્યું હતું કે રેલવેએ વિસ્તરણની નીતિ બદલવી જોઈએ અને ગાંધીનગર તેનું મોટું ઉદાહરણ છે.

રેલવે સ્ટેશનોનો આર્થિક ગતિવિધિ માટે ઉપયોગ કેમ ન થઈ શકે? તેવો સવાલ કરતા પીએમે જણાવ્યું હતું કે ગાંધીનગર રેલવે સ્ટેશનને એક મોડેલ બનાવી તેને અન્ય શહેરોમાં લાગુ કરવા પણ સરકાર પ્રયાસ કરી રહી છે. દેશ પાસે આટલું મોટું રેલવે નેટવર્ક છે, આટલા સ્રોત છે અને સુદ્રઢ સેવા આપવાની તેની પાસે રહેલી તકો પણ અમર્યાદિત છે. પીએમે એમ પણ કહ્યું હતું કે ખૂબ જલ્દી શ્રીનગર પણ કન્યાકુમારી સાથે રેલવે માર્ગે જોડાઈ જશે. પીએમે પોતાના બાળપણને યાદ કરતા વડનગર સ્ટેશન સાથે પોતાની અનેક યાદો જોડાયેલી હોવાનું પણ કહ્યું હતું.

પોતાના ભાષણના અંતમાં પીએમે જણાવ્યું હતું કે કોરોનાએ સમગ્ર દેશને અસર કરી છે, અને આપણા ઘણા સાથીઓ તેના ભોગ બન્યા છે. આપણે તેનાથી સાવધાન અને સાવચેત રહેવાની જરુર છે. ગુજરાતમાં ત્રણ કરોડથી વધુ લોકોને રસી આપી દેવાઈ હોવાની વાત પર પણ પીએમે ખુશી વ્યક્ત કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો