એપશહેર

PM મોદીના માતા હીરાબાની તબિયત લથડીઃ યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ

PM Mother in Hospital: હીરાબાને મંગળવારે રાતે યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હીરાબાની ઉંમર 100 વર્ષ છે અને તેમને હાલમાં કઈ તકલીફના કારણે એડમિટ કરવામાં આવ્યા છે તે જાણી શકાયું નથી. કેટલાક ધારાસભ્યો પણ હોસ્પિટલે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે માતાને મળવા અમદાવાદ આવે તેવી શક્યતા દર્શાવવામાં આવે છે.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 28 Dec 2022, 2:53 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi's mother) માતા હીરાબા (Hiraba)ની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેમને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હીરાબાની ઉંમર 100 વર્ષ છે અને તેમને હાલમાં કઈ તકલીફના કારણે એડમિટ કરવામાં આવ્યા છે તે જાણી શકાયું નથી. અમદાવાદના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન પણ યુ એન મહેતા હોસ્પિટલે પહોંચ્યા હતા. વડાપ્રધાન પણ આજે સાંજ સુધીમાં અમદાવાદ આવે તેવી શક્યતા છે.
I am Gujarat modi with mother hiraba
હીરાબાની મુલાકાત લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી


સૂત્રોએ જણાવ્યા પ્રમાણે હીરાબાને મંગળવારે રાતે યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 18 જૂને હીરાબાનો 100મો જન્મદિવસ હતો. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવ્યા હતા અને ગાંધીનગરમાં હીરાબાને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.

આ ઉંમરે પણ હીરાબા રોજબરોજની પ્રવૃત્તિમાં સક્રિય રહે છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે મતદાન પણ કરીને પોતાની ફરજ બજાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત ગુજરાત આવે ત્યારે હીરાબાને મળવાનો સમય પણ કાઢતા હોય છે. તેમણે માતા સાથે બેસીને ખીચડી અને બીજું સાદું ભોજન કર્યું હોય તેવી તસવીરો નિયમિત આવતી રહે છે.

પીએમના આગમન અગાઉ 'નો ડ્રોન ફલાય ઝોન'
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે અમદાવાદ આવે તેની શક્યતાને પગલે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક ધોરણે શહેરમાં બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી 'નો ડ્રોન ફલાય ઝોન' અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. યુએન મહેતા ખાતે પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

માર્ચ 2022માં નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે 11 માર્ચે તેઓ માતાને મળ્યા હતા અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. હીરાબાની તબિયત અને બીજી તકલીફો વિશે હોસ્પિટલ તરફથી હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી કે બુલેટિન બહાર પાડવામાં આવ્યું નથી. સૂત્રોએ જણાવ્યું કે હીરાબાને બ્લડપ્રેશરની સામાન્ય તકલીફ હોવાના કારણે દાખલ કરવામાં આવ્યા છે.

ભારે સંઘર્ષ કરીને સંતાનોને ઉછેર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘડતરમાં તેમના માતા હીરાબાનો મોટો ફાળો છે. પીએમ મોદી પણ ઘણી વખત તેમની માતાના સંઘર્ષની વાતો કરે છે. નરેન્દ્ર મોદીના પિતાના અવસાન પછી હીરાબાએ અન્ય લોકોના ઘરોમાં કામ કર્યું હતું, વાસણ ધોયા હતા, પાણી ભર્યું હતું અને આવો સંઘર્ષ કરીને તમામ બાળકોને મોટા કર્યા હતા. વડાપ્રધાને કેટલીક મુલાકાતોમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

ગઈકાલે પણ નરેન્દ્ર મોદીનો પરિવાર ચર્ચામાં રહ્યો હતો જેમાં તેમના ભાઈ પ્રહલાદ મોદીને મૈસુર પાસે અકસ્માત નડ્યો હતો. તેમાં તેમના પરિવારજનોને પણ ઈજા થઈ છે અને હાલમાં સારવાર હેઠળ છે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story