એપશહેર

અ'વાદ: અગરિયાની 6 હજાર રૂપિયાની સળગી ગયેલી નોટો બદલી આપવા RBIએ બોલાવી બેઠક

બાબુભાઈની ઝૂંપડીમાં આગ લાગતા મીઠું પકવવા માટે લોન પર લીધેલા 30,000 રૂપિયાની સહિત બધો માલસામાન સળગી ગયો હતો.

Authored byAshish Chauhan | Edited byશિવાની જોષી | TNN 23 Jan 2021, 11:26 am
આશિષ ચૌહાણ, અમદાવાદ: ગુરુવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના અધિકારીઓએ મીઠું પકવતા (અગરિયા) 65 વર્ષીય બાબુ રેદાણીના હાથમાં રૂપિયા 6,450ની કિંમતની કડકડતી નોટો મૂકી ત્યારે તેમની અઢી મહિનાની પીડા અને સખત પરિશ્રમનો સુખદ અંત આવ્યો. RBIની સ્પેશિયલ કમિટીએ મીટિંગ કરી હતી. બાદમાં બાબુભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણથી આવ્યા પછી તેમને રૂપિયા 2,000, 500, 100 અને 50ની ચલણી નોટો આપવામાં આવી હતી. આ નોટોનું મૂલ્યાંકન કરીને બદલી આપવામાં આવી હતી.
I am Gujarat rbi babu redani
તસવીર સૌજન્ય- TOI


બાબુભાઈએ રણમાં મીઠું પકવવા માટે 30,000 રૂપિયાની લોન લીધી હતી. 9 નવેમ્બર 2020ના રોજ રેદાણી પરિવારે લાકડાના ચૂલા પર માટલામાં ખીચડી બનાવવા મૂકી હતી. એ વખતે ભારે પવનના કારણે આગનો તણખો ઉડ્યો અને બાબુભાઈની ઝૂંપડી સળગી ગઈ હતી. કપડાં અને 30,000 રૂપિયા સહિતની રેદાણી પરિવારની બધી જ વસ્તુઓ બળી ગઈ હતી.

સદ્નનસીબે બાબુભાઈએ રૂપિયા ઘરના અલગ-અલગ ખૂણે સાચવીને મૂક્યા હતા. આગની વચ્ચે જીવ જોખમમાં મૂકીને તેમણે તે રૂપિયા શોધી કાઢ્યા હતા અને તેઓ 6,450 રૂપિયા બચાવવામાં સફળ રહ્યા હતા. માથે તોળાઈ રહેલા આર્થિક સંકટને પગલે તેઓ આ બળેલી નોટો લઈને સ્થાનિક બેંકમાં પહોંચ્યા હતા. જ્યાં તેમને કહેવાયું કે આ નોટો માત્ર RBI બદલી આપી શકે છે.

આમ-તેમ ઘણા ફોન કર્યા પછી બાબુભાઈ અમદાવાદ સ્થિત RBIમાં આવી પહોંચ્યા હતા પણ તેમને ધરમ ધક્કો પડ્યો હતો. ફાટેલી-જૂની ડાઘ-ધબ્બાવાળી નોટો નાગરિકો RBIની જે બારીએ બદલાવી શકે છે તે કોરોના મહામારીના કારણે મહિનાઓથી બંધ હતી. આ જાણ્યા પછી બાબુભાઈ અંદરથી હચમચી ગયા હતા.

દરમિયાન બાબુભાઈના સ્થાનિક મિત્રોએ પોતાની જૂજ આવકમાં એટલી મદદ કરી કે તેમના પરિવારની થાળીમાં ભોજન આવી શકે. બાબુભાઈની પીડા RTI એક્ટિવિસ્ટ પંક્તિ જોગના ધ્યાને લાવવામાં આવી હતી. પંક્તિ જોગના કહેવા મુજબ, તેમને જાણ થઈ કે આ નોટ અન્ય કોઈ બેંક નહીં માત્ર RBI જ બદલીને આપી શકે છે ત્યારે તેમણે સેન્ટ્રલ બેંકને પત્ર લખવાના શરૂ કર્યા હતા. પત્રમાં તેમણે વિનંતી કરી હતી કે, દયા ભાવના રાખીને મુશ્કેલીમાં સપડાયેલા આ અગરિયાની તેઓ મદદ કરે.

પંક્તિ જોગે કહ્યું, "શરૂઆતમાં અમને માસ્ટર સર્ક્યુલરનો સંદર્ભ આપવામાં આવ્યો પણ જ્યારે અમે આજીજી કરતાં જણાવ્યું કે, એક્સચેન્જ બારી મહિનાઓથી બંધ છે ત્યારે કમિટીની મીટિંગ યોજવામાં આવી હતી. ગુરુવારે કમિટીના સભ્યોએ બાબુભાઈની તરફેણમાં નિર્ણય કર્યો હતો. એ પત્રના કારણે RBIએ ફાટેલી નોટો બદલાવાની બારી ફરી ખોલવાનો નિર્ણય કર્યો જેથી બાબુભાઈ જેવી પરેશાની અન્ય લોકોને ના વેઠવી પડે."

મહત્વનું છે કે, 17 બળેલી નોટોમાંથી 12 સંપૂર્ણ કિંમત સાથે બદલી આપવામાં આવી. 500 અને 100ની ત્રણ નોટોની અડધી કિંમત ચૂકવવામાં આવી જ્યારે 500ની બે નોટોને રદ્દ કરાઈ હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો