એપશહેર

ગુજરાતમાં હવે સ્કૂલો 21 સપ્ટેમ્બરને બદલે હવે સીધી દિવાળી પછી જ ખૂલશે

કેન્દ્ર સરકારે ધોરણ 9થી 12ના વર્ગો શરુ કરવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ ગુજરાતમાં 21મીથી નહીં ખૂલે સ્કૂલો

I am Gujarat 14 Sep 2020, 5:20 pm
ગાંધીનગર: એક તરફ અનલોક 4માં કેન્દ્ર સરકારે 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી 12ના વર્ગો શરુ કરવાની મંજૂરી આપી દીધી છે, ત્યારે ગુજરાત સરકારે દિવાળી પહેલા સ્કૂલો શરુ નહીં થાય તેવો નિર્ણય લઈ લીધો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ડે. સીએમ નીતિન પટેલે જાહેરાત કરી હતી કે કેન્દ્રની ગાઈડલાઈન અનુસાર ગુજરાતમાં 21 સપ્ટેમ્બરથી શાળા શરુ કરવા અંગે હાલ કોઈ અંતિમ નિર્ણય નથી લેવાયો.
I am Gujarat school
રાજ્યમાં સામાન્ય રીતે 15 જૂનથી ખૂલી જતી હોય છે સ્કૂલો


જો 21મી સપ્ટેમ્બરથી ધો. 9થી 12 માટે વર્ગો શરુ પણ કરી દેવાયા હોત તો પણ થોડા જ સમયમાં નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવી જાય છે, અને તે દરમિયાન સ્કૂલોમાં લાંબુ વેકેશન પડતું હોય છે.

માત્ર 9થી 12ના વર્ગો શરુ કરવાના બદલે શક્ય છે કે દિવાળી બાદ કોરોનાની સ્થિતિ કેવી રહે છે તે જોઈને સરકાર હવે ત્યારપછી જ સ્કૂલો ફરી ખોલવા અંગે વિચારી શકે છે. ઉલ્લેખનીય છે કે, 21 તારીખથી સ્કૂલો આંશિક રીતે શરુ કરવા અંગેના કેન્દ્ર સરકારના નિર્ણયની વાલીઓ ટીકા કરી રહ્યા છે. ગુજરાતમાં પણ 21મીથી સ્કૂલો ખૂલવી જોઈએ કે નહીં તે અંગે મોટાભાગના વાલીઓ અસહમત છે. રાજ્યમાં કોરોનાના રોજેરોજ 1300થી વધુ નવા કેસ આવી રહ્યા છે, ત્યારે બાળકોને સ્કૂલે મોકલવાનું જોખમ લેવા માટે વાલીઓ તૈયાર નથી.

કોરોનાને કારણે બોર્ડ સિવાયના ધોરણોની આ વર્ષે ગુજરાતમાં વાર્ષિક પરીક્ષા પણ નથી લેવાઈ, અને તમામ સ્ટૂડન્ટ્સને આગલા ધોરણમાં મોકલી દેવાયા છે. સામાન્ય રીતે રાજ્યમાં સ્કૂલો 15 જૂનની આસપાસથી શરુ થઈ જતી હોય છે. જોકે, આ વર્ષે કોરોનાને કારણે સ્કૂલો શરુ નથી થઈ શકી. હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે, પરંતુ તેમાં પણ અનેક મર્યાદાઓ રહેલી છે. ખાસ કરીને જે સ્ટૂડન્ટ્સ પાસે સ્માર્ટફોન, લેપટોપ કે પછી કનેક્ટિવિટી નથી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Read Next Story