એપશહેર

નારણપુરાની સોસાયટીઓનો સેવાયજ્ઞ: રોટી બેંકમાં જમા કરાવે છે રોજની 4,000 રોટલી

નવરંગ સેન | Ahmedabad Mirror 23 Dec 2019, 11:41 am
નિકુંજ સોની, અમદાવાદ: તમારા ઘરમાં કદાચ ઘણીવાર વધેલી રોટલી ફેંકવામાં જતી હશે. જોકે, અમદાવાદના નારણપુરા વિસ્તારની એક ડઝનથી પણ વધુ સોસાયટીઓએ વધેલી રોટલીઓ એકઠી કરીને ભૂખ્યાજનોને ભોજન કરાવવાનો અનોખો સેવાયજ્ઞ શરુ કર્યો છે. આ સોસાયટીઓમાંથી રોજની 4,000થી પણ વધુ રોટલીઓ ભેગી થાય છે. જેનાથી 6,000 લોકોની ભૂખ સંતોષાય છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
આ વર્ષે નવરાત્રી દરમિયાન સોસાયટીઓએ આ સેવાયજ્ઞ શરુ કરવાનો નિર્ણય લીધો હતો. ગરબાના આયોજન દરમિયાન એક વડીલે સોસાયટીના લોકોને કહ્યું હતું કે જો તેઓ ઘરમાં થોડી વધુ રોટલીઓ બનાવી આપી શકે તો તેમનું ટ્રસ્ટ ભૂખ્યા લોકોને જમાડી શકે. સોસયટીવાળાઓને આ આઈડિયા ગમી ગયો અને તેણે રોજની 300 રોટલીઓ ટ્રસ્ટને આપવાનું શરુ કરી દીધું. નારણપુરાના શુભલક્ષ્મી ટાવરના ચેરમેન ભાવેશ પટેલના જણાવ્યા અનુસાર, તેમની સોસાયટીમાં 250 ઘરો આવેલા છે, અને મોટાભાગના આ ‘અન્નદાન’માં પોતાનું પ્રદાન કરે છે. આ જ સોસાયટીમાં રહેત સોનિયા મોદીના જણાવ્યા અનુસાર, જ્યારે તેમને આ અંગે ખબર પડી તો તેમણે પણ રોટીબેંકમાં પોતાનું પ્રદાન કરવાનું નક્કી કરી લીધું. આ પ્રયાસથી ઘરેબેઠા જ દાનધર્મ થતું હોવાની તેમની લાગણી છે. વળી, રોજ થોડી વધુ રોટલી બનાવવી અઘરું કામ પણ નથી.
સોસાયટીઓવાળા પાસેથી રોટલી એકઠી કરવા માટે કોમન એરિયામાં મોટા ટિફિન મૂકી દેવાય છે. 50 થી 200 મેમ્બર્સ ધરાવતી આ સોસાયટીઓ બપોરે 1 વગ્યા પહેલા આ ટિફિનમાં રોટલી, ભાખરી કે પછી રોટલા સ્વેચ્છાએ મૂકી જાય છે. દરેક સોસાયટી આ રોટીબેંકમાં રોજની 500થી વધુ રોટલીઓ પ્રદાન કરે છે.
આ આખોય વિચાર લીલાબા ટ્ર્સ્ટના સ્થાપક દિલિપ બારભાયાનો છે, જેઓ રોજ બપોરે 3 થી 5 ગરીબોને મફતમાં દાળ-રોટલી જમાડે છે. તેમનું ટ્રસ્ટ ગુજરાતી દાળ બનાવે છે, અને આ સોસાયટીઓમાંથી મળેલી રોટલીઓ લઈને કાલુપુર રેલવે સ્ટેશનથી માંડીને અન્ય જગ્યાઓ પર જઈ જે પણ ગરીબ કે ભૂખ્યું દેખાય તેને જમાડે છે. ટ્ર્સ્ટ જેઓ રોજ ખાતા હોય તેવા લોકોને સ્ટીલના વાસણ પણ આપે છે, જેથી તેઓ આ વાસણમાં જ જમી શકે.
નિવૃત્ત વેપારી દિલિપભાઈનું કહેવું છે કે, દાળ બનાવવી ખાસ મુશ્કેલ નથી પરંતુ 600 લોકો માટે રોટલી બનાવવી થોડું અઘરું કામ છે. આમ પણ લોકો ઘરમાં થોડીક રોટલી તો વધારાની બનાવતા જ હોય છે, તેવામાં જો આ રોટલી ફેંકવાને બદલે કોઈની ભૂખ ભાંગવામાં ઉપયોગમાં લેવાય તો કેવું તે વિચારથી તેમણે સોસાયટીઓવાળા સાથે આ અંગે વાત કરી, અને લોકોએ પણ તેમના વિચારને વધાવી લીધો. દિલિપભાઈનું ટ્રસ્ટ વૃદ્ધ તેમજ જાતે જમવાનું ન બનાવી શકતા 50 સિનિયર સિટિઝનને ટિફિન પણ પૂરું પાડે છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો