એપશહેર

ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ, કોરોનાની સ્થિતિ સુધર્યા બાદ જાહેર કરાશે નવી તારીખ

ગુજરાતમાં કોરોનાની વિકટ પરિસ્થિતિને જોતા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 18 એપ્રિલે યોજાનારી ગાંધીનગર મનપાની ચૂંટણી મુલતવી રાખી છે

I am Gujarat 10 Apr 2021, 6:25 pm
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવામાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની હતી. જોકે, રાજ્ય ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય લેતા આ ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખી છે. ગાંધીનગર મનપાની ચૂંટણી 18 એપ્રિલે યોજાવાની હતી.
I am Gujarat election


કોરોનાની વિકટ પરિસ્થિતિ જોતાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખીને ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવાની અપીલ કરી હતી. ચૂંટણી પંચે શનિવારે આ ચૂંટણી મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થયા બાદ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.

આ ચૂંટણીને લઈને અત્યાર સુધી જે પણ પ્રક્રિયા થઈ છે તે યથાવત રહેશે. ફક્ત મતદાન અને પ્રચારનો સમય જ જાહેર કરવામાં આવે. રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થયા બાદ ચૂંટણી પંચ નવી તારીખની જાહેરાત કરશે.

રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખીને વધુ લોકો ચેપગ્રસ્ત ન બને તેમજ કોરોનાને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી મુખ્યમંત્રી રૂપાણી અને વિરોધ પક્ષ દ્વારા ચૂંટણી મોકૂફ રાખવાની દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચને કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે આ સામાન્ય ચૂંટણીઓમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો, કાર્યકરો અને સમર્થકો પ્રચાર માટે મોટી સંખ્યામાં જોડાય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત ચૂંટણી કામગીરીમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ ફરજમાં હાજર રહેતા હોય છે.

તેથી આવા સંજાગોમાં કોરોનાનો ચેપ ઝડપથી ફેલાવાની શક્યતા રહેલી છે. રાજ્ય ચૂંટણી પંચ આ બધી બાબતોનો વિચાર કરીને ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ જનહિતમાં મોકૂફ રાખે તેવી અપીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો