એપશહેર

કોરોનાને પગલે ધોરણ-10માં આંતરિક મૂલ્યાંકન ગુણ 20થી વધારીને 30 કરવા રજૂઆત

ધોરણ-10માં આંતરિક મૂલ્યાંકન ગુણ આગામી બે વર્ષ સુધી 20થી વધારીને 30 કરવા માટે રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

I am Gujarat 11 Jan 2021, 8:57 am
અમદાવાદ: રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને ઈન્ટરનલ માર્ક્સ 20થી વધારીને 30 કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોના વાયરસના કહેરના પગલે આગામી બે વર્ષ સુધી ધોરણ-10ની પરીક્ષામાં ઈન્ટરનલ માર્ક્સ 20થી વધારીને 30 કરવામાં આવે. એટલું જ નહીં, યુનિવર્સિટીની પરીક્ષાઓમાં પણ આ જ પદ્ધતિથી ઈન્ટરનલ માર્ક્સ અપાતા હોય તો ત્યાં પણ તેનો અમલ કરવા રજૂઆત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અને અન્ય બોર્ડની જેમ ધોરણ-10ની બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં 20 ગુણ શાળા કક્ષાએ ઈન્ટરનલ માર્ક્સ રાખવામાં આવ્યા છે.
I am Gujarat 2
પ્રતિકાત્મક તસવીર


તમને જણાવી દઇએ કે, માર્ચ 2020માં કોરોનાના મહામારી દરમિયાન બોર્ડની પરીક્ષા લેવાઈ હતી. કોરોના કાળમાં લેવામાં આવેલી પરીક્ષાઓના પરિણામ પણ ખાસ સંતોષકારક નહોતા. પરિણામ ઘટવાને કારણે ગ્રાન્ટેડ શાળાઓની નિભાવ ગ્રાન્ટને પણ સીધી અસર થઈ હતી. ગત માર્ચથી બંધ કરાયેલી શાળાએ આજથી શરૂ થઈ ગઈ છે. બોર્ડ દ્વારા અગાઉથી ધોરણ 9-12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મે 2021માં યોજાનારી બોર્ડની પરીક્ષા આ અભ્યાસક્રમ મુજબ જ લેવામાં આવશે.

સીએમને પત્ર લખીને રજૂઆત કરાઈ
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, 2021-2022ના વર્ષમાં લેવાનારી બોર્ડની પરીક્ષામાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાકક્ષાએ 20 ગુણના બદલે 30 ગુણ આંતરિક મૂલ્યાંકન માટે ફાળવવામાં આવે તો રાજ્યના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષણ જગત માટે આશીર્વાદ સમાન હોઈ શકે છે. એટલું જ નહીં, રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં પણ સ્નાતક કક્ષાએ અને અનુસ્નાતક કક્ષાએ રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે 30 ગુણ આંતરિક મૂલ્યાંકન અને 70 ગુણની યુનિવર્સિટીની પરીક્ષા ગણવામાં આવે છે. જેથી બોર્ડ દ્વારા ધોરણ 9-12 માટે એ પદ્ધતિ જ અમલમાં મુકવામાં આવે તેવી પણ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે.

રાજ્યમાં આજથી શાળા-કોલેજો શરૂ
કોરોના મહામારી દરમિયાન 301 દિવસના વિરામ બાદ ગુજરાતમાં આજથી શાળા-કોલેજો શરૂ થઈ. જણાવી દઈએ કે, કોરોનાના પગલે રાજ્યમા માર્ચ મહિનાથી શાળા અને કોલેજો વિદ્યાર્થીઓ માટે બંધ કરી દેવાઈ હતી અને ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. જો કે, હવે કોરોના કાબૂાં આવ્યો હોવાના દાવા સાથે સરકારે આજથી ધોરણ-10-12ના વિદ્યાર્થીઓ સ્કૂલ તેમજ કોલેજના લાસ્ટ યરના વિદ્યાર્થીઓ માટે કોલેજ શરૂ કરાઈ છે. શાળાઓમાં સરકારની SOPનું પાલન કરવા સૂચના અપાઈ છે. જે અંતર્ગત ગેટ પર શિક્ષકો અને વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરવામાં આવી રહ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો