એપશહેર

સિવિલની બેદરકારીઃ ટેસ્ટ નેગેટિવ આવ્યાના બે સપ્તાહ બાદ પણ કોવિડ હોસ્પિટલમાં છે દર્દી

અમદાવાદના મનીષ અગ્રવાલના બે ટેસ્ટ નેગેટિવ આવ્યાના બે સપ્તાહ બાદ પણ તેમને કોવિડ હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યા છે

I am Gujarat 1 Oct 2020, 4:42 pm
વિપુલ રાજપૂત, અમદાવાદઃ કોરોના વાયરસના રોગચાળા દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલના ઘણા ગંભીર છબરડા અને બેદરકારી જોવા મળી છે. મનીષ અગ્રવાલ છેલ્લા બે સપ્તાહથી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં દાખલ છે. જોકે, તેમના પરિવારજનો માટે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે તેમનો ટેસ્ટ બે વખત નેગેટિવ આવ્યો હોવા છતાં તેમને હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યા છે. બીજી તરફ હોસ્પિટલ સત્તાવાળાઓએ દાવો કર્યો છે કે મનીષને હાઈ-ફ્લો ઓક્સિજન સપોર્ટની જરૂર છે અને તેથી તેમને બહાર શિફ્ટ કરવામાં આવ્યા નથી.
I am Gujarat two weeks after negative reports man still in civil covid hospital
સિવિલની બેદરકારીઃ ટેસ્ટ નેગેટિવ આવ્યાના બે સપ્તાહ બાદ પણ કોવિડ હોસ્પિટલમાં છે દર્દી


કેસની વિગતો પ્રમાણે 14 સપ્ટેમ્બરે નિકોલમાં રહેતા અને હિરાના કારીગર એવા મનીષની તબીયત બગડી હતી. ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં 15 સપ્ટેમ્બરે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ ઓપીડીમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની તપાસ કર્યા બાદ ડોક્ટરોએ તેમને 1,200 બેડની કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને તેમની સારવાર શરૂ કરી હતી. 15 અને 16 સપ્ટેમ્બરે તેમનો ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા હતા. પરિવારને આશા હતી કે તેમને રજા આપી દેવામાં આવશે, પરંતુ તેમ થયું ન હતું.
મણીનગરમાં રહેતા તેમના પિતરાઈ સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી મનીષની તબિયત સારી છે. તેમના બે રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા હતા, તેમ છતાં હોસ્પિટલ સત્તાવાળાઓએ તેમને કોવિડ હોસ્પિટલમાંથી જનરલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા નથી. બે-ત્રણ દિવસ પહેલા એક સિનિયર ડોક્ટરે જ્યારે મનીષનો કેસ જોયો ત્યારે સ્ટાફને ઠપકો પણ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો તેમને કોરોના થશે તો તેના માટે જવાબદાર કોણ હશે.

હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જેવી મોદીએ જણાવ્યું હતું કે, મનીષ અગ્રવાલને 15 સપ્ટેમ્બરે 1,200 બેડની કોવિડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેઓ અહીં આવ્યા ત્યારે ખાનગી હોસ્પિટલમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ પોઝિટિવ હતા તેથી અમે તેમને 1,200 બેડની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને તેમની સારવાર શરૂ કરી હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જોકે, સિવિલ હોસ્પિટલમાં તેમના બે રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમ છતાં અમે તેમના જ હિતમાં તેમને શિફ્ટ કર્યા નથી.

તેમણે કહ્યું હતું કે, મનીષને છેલ્લા ઘણા સમયથી BiPAP પર રાખવામાં આવ્યા છે અને હાલમાં તેમને હાઈ-ફ્લો ઓક્સિજનની જરૂર છે. આવા દર્દીઓને જનરલ વોર્ડમાં શિફ્ટ કરી શકાય તેમ નથી કેમ કે ત્યાં આવા હાઈ-ફ્લો ઓક્સિજન સપોર્ટની સુવિધા નથી. હાલમાં કેટલાક એવા દર્દીઓ છે જેમને કોરોનાના ચોક્કસ લક્ષણો નથી. તેથી અમે આવા શંકાસ્પદ દર્દીઓ માટે 60 બેડનો એક વોર્ડ તૈયાર કર્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો