એપશહેર

જુહાપુરાની કુખ્યાત સુલતાન ગેંગના 11 સાગરિતો સામે ગુજસીકોટ લગાવાયો

I am Gujarat 10 Oct 2020, 8:05 am
અમદાવાદઃ શહેરના જુહાપુરા વિસ્તારમાં જમીનના કબજાથી લઈને હત્યાનો પ્રયાસ, સરકારી જમીનો પચાવી પાડવા સહિતના ગુનાઓમાં સંડોવાયેલી કુખ્યાત સુલતાન ગેંગના 11 સાગરિતો સામે વેજલપુર પોલીસે ગુજસીટોક (ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગુનો દાખલ કરાયા બાદ પાંચ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા, જ્યારે ત્રણ આરોપીઓ પાસા હેઠળ જેલમાં હોવાથી તેમનો કબજો લેવા માટેની કામગીરી શરૂ કરાઈ હતી. આમ જુહાપુરામાં સંગઠીત ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરવાનું શરૂ કરતા આગામી દિવસોમાં આ વિસ્તારમાંથી ગુંડારાજ ખતમ થાય તેવી આશા બંધાઈ છે.
I am Gujarat police 1
સુલતાન ગેંગના પકડાયેલા સાગરીતો સાથે પોલીસની તસવીર


વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તાર, અસલાલી પોલીસ સ્ટેસન વિસ્તાર તથા સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ ગેંગ બનાવી એકબીજાની મદદગીરીથી ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોની મિલકતો બળજબરીથી પડાવી લેવી, સરકારી જમીનો પચાવી પાડવી, હત્યાનો પ્રયાસ, હપ્તાની ઉઘરાણી, લૂંટ, દારૂ અને જુગાર, પશુ અત્યાચાર, સરકારી વીજ ચોરી સહિતના ગુનાઓને અંજામ આમતી સંગઠીત ટોળકી વિરુદ્ધ દાખલ થયેલા ગુનાઓ તેમજ પુરાવાઓના આધારે વેજલપુર પોલીસ દ્વારા ગુજસીટોક એક્ટ હેઠળ સુલતાન ગેંગ સામે ગુનો દાખલ કરાયો હતો.

પોલીસ દ્વારા ફરિયાદમાં કુલ 11 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાંથી પાંચની મોડી રાત્રે અટકાયત કરવામાં આવી હતી. આ આરોપીઓમાં વસીમ ઉર્ફે બાપુ કુરેશી, મોહંમદનદીમ દહેલવી, મોહંમદ જાવેદ ઉર્ફે જાડીયો દહેલવી, સલીમખાન ઉર્ફે મોહસીન પઠાણ અને મોહંમદજુનેદ ઉર્ફે ટુકડી શેખનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના 6 આરોપીઓમાંથી ત્રણ ભુજ અને સુરત જેલમાં પાસા હેઠળ છે.

અમદાવાદમાં ગુજસીટોક હેઠળ બીજો ગુનો નોંધાયો
સુલતમાન ગેંગના સભ્યો સામે વેજલપુર પોલીસ દ્વારા ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં આ કાયદો અમલમાં આવ્યો હતો જે બાદ સૌ પ્રથમ કેસ કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગ સામે નોંધાયો હતો. ક્રાઈમબ્રાન્ચની ટીમે વિશાલ ગોસ્વામી ગેંગના ચાર સભ્યોને પકડીને તેમની સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ આ બીજીવાર છે જ્યારે જુહાપુરાની સુતલાન ગેંગ સામે આ કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ વિશે એમ ડિવિઝના ACP, વી.જી પટેલે જણાવ્યું હતું કે, ગુજસીટોક અંતર્ગત 11 આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો છે, જેમાંથી 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જ્યારે ત્રણ પાસા હેઠળ જેલમાં હોઈ તેમનો કબજો લેવાની કામગીરી ચાલી રહી છે. બાકી રહેલા આરોપીઓને પણ જલદી પકડી લેવામાં આવશે. તપાસમાં જો અન્ય આરોપીઓના નામ આવશે તો તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ પોલીસ દ્વારા નજીર વોરા સામે કાર્યવાહી કરી હતી, જે બાદ કોર્પોરેશને પણ તેના બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું હતું. ત્યારે હવે પોલીસ દ્વારા જુહાપુરાની સુલતાન ગેંગને ખતમ કરવાના હેતુથી તેની સામે ગુજસીકોટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો