એપશહેર

વિરાટનગર હત્યાકાંડઃ વિનોદ મરાઠીની શોધખોળ માટે પોલીસની બે સ્પેશિયલ ટીમોની તપાસ શરુ

Viratnagar Murder Case: મંગળવારે રાત્રે ઓઢવના વિરાટનગરમાં આવેલી દિવ્યપ્રભા સોસાયટીના બંધ મકાનમાંથી મળેલી ચાર લાશના કેસમાં આરોપી સુધી પહોંચી શકી નથી. પ્રાથમિક તપાસમાં આરોપી ઘરનો મોભી વિનોદ મરાઠી હોવાની શંકા છે, જેની ધરપકડ માટે બે સ્પેશિયલ ટીમ બનાવીને તપાસ કરાઈ રહી છે. આ ટીમ બે ખાસ જગ્યાઓ પર આરોપીની શોધખોળ કરવાની છે.

Authored byTejas Jingar | I am Gujarat 30 Mar 2022, 11:15 am

હાઈલાઈટ્સ:

  • વિરાટનગર હત્યાકાંડમાં વિનોદ મરાઠી પોલીસના હાથમાં આવ્યો નથી
  • મંગળવારે રાત્રે બંધ ઘરમાંથી બે બાળકો સહિત 4 લાશ મળી આવી હતી
  • આ હત્યાકાંડમાં શંકાની સોય વિનોદ મરાઠી પર આવીને અટકી છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Viratnagar Murder Case
વિરાટનગર હત્યાકાંડમાં આરોપી ફરાર
અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારનાના વિરાટનગરમાં બનેલા ધ્રૂજાવી દેનારા હત્યાકાંડમાં પોલીસ હજુ સુધી આરોપી સુધી પહોંચી શકી નથી. આ હત્યા કેસમાં ઘરનો મોભી વિનોદ મરાઠી જ ગુનેગાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ફરાર વિનોદને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવીને જરુરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ હત્યા પાછળનું કારણ પણ હજુ સુધી અકબંધ છે, જે હત્યારાની ધરપકડ બાદ ખુલે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓઢવ પોલીસે બંધ ઘરમાંથી ફરિયાદ બાદ તપાસ કરતા મહિલા તથા તેના બે બાળકો અને વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની તપાસની સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટ, એફએસએલ રિપોર્ટ અને ટેક્નિકલ તપાસમાં પણ મહત્વના પુરાવા મળવાની શક્યતા છે.
મળતી વિગતો પ્રમાણે પોલીસે વિનોદ મરાઠીની શોધખોળ માટે બે ટીમ બનાવી છે જેમાં એક ટીમ ઘટના બની છે ત્યાંના સ્થાનિક વિસ્તારમાં તપાસ કરશે. જ્યારે એક અન્ય ટીમ વિનોદના મૂળ ગામમાં તપાસ કરવા માટે જશે. આ સાથે આસપાસના સ્થળોના CCTV ફૂટેજ અને કૉલ ડીટેઈલ્સની પણ તપાસ કરવામાં આવશે. ઘટના ચાર દિવસ પહેલા બની હોવાની સંભાવના છે ત્યારે FSLની ટીમ દ્વારા થનારી તપાસમાં પણ કેટલાક મહત્વના ખુલાસા થઈ શકે છે અને તેના આધારે આરોપીની શોધખોળમાં મદદ મળી શકે છે.

ઓઢવ પોલીસને તપાસ દરમિયાન વિરાટનગરમાં આવેલી દિવ્યપ્રભા સોસાયટીના બંધ મકાનમાંથી વિનોદની પત્ની સોનલ મરાઠી (37), દીકરી પ્રગતિ મરાઠી (15), દીકરા ગણેશ (17) અને સોનલના બા સુભદ્રાબેન (70)ના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે ઘરનો મોફી વિનોદ મરાઠી ફરાર છે. આરોપીએ ચારને ધારદાર હથિયારથી ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હત્યા પહેલા આરોપીએ શું પગલું ભર્યું હતું તે અંગેની વિગતો પોસ્ટમોર્ટમ અને એફએસએલના રિપોર્ટ્સમાં સામે આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

વિનોદની પત્ની સોનલ મરાઠીની માતાએ પોતાની દીકરી તથા તેના બાળકો ફોન ના ઉપાડતા હોવાથી તેમના ગુમ થયાની ફરિયાદ પોલીસને કરી હતી, જેના આધારે પોલીસે તપાસ કરતા મંગળવારે રાત્રે બંધ ઘરમાંથી ચાર જણાના મૃતદેહ મળી આવ્યા હતા. વિનોદના સાસુએ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વિનોદ સામાન્ય બાબતોને લઈને સોનલ સાથે ઝઘડા કરતો હતો, લગભગ બે મહિના પહેલા વિનોદે સોનલ પર હુમલો કર્યો હતો જોકે, હોસ્પિટલમાં અકસ્માતે વાગી ગયું હોવાનું જણાવીને પોતાનો બચાવ કર્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો