એપશહેર

રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, કોંગ્રેસ અહેમદ પટેલની બેઠક ગુમાવશે!

અભય ભારદ્વાજ અને અહેમદ પટેલનું નિધન થવાના કારણે ખાલી પડેલી બે બેઠકો પર 01 માર્ચના રોજ મતદાન થશે

I am Gujarat 4 Feb 2021, 1:43 pm
ગાંધીનગર: રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના અવસાનને કારણે ખાલી પડેલી તેમની બેઠકો પર 01 માર્ચના રોજ ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચ દ્વારા આજે આ અંગે જણાવવામાં આવ્યું હતું કે 11 ફેબ્રુઆરીએ ચૂંટણીના નોટિફિકેશન્સ બહાર પાડવામાં આવશે, અને 18મી જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર ભરી શકાશે. આ બંને બેઠકો પર અલગ-અલગ મતદાન થવાનું હોવાથી કોંગ્રેસ અહેમદ પટેલની બેઠક ગુમાવશે તેવું નક્કી મનાઈ રહ્યું છે.
I am Gujarat voting for two rajya sabha seats of gujarat on 01 march
રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, કોંગ્રેસ અહેમદ પટેલની બેઠક ગુમાવશે!


અહેમદ પટેલ અને અભય ભારદ્વાજ બંનેના અવસાન કોરોનામાં થયા હતા. પટેલ વર્ષોથી ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાતા હતા, જ્યારે ભારદ્વાજ પહેલીવાર રાજ્યસભાના સાંસદ બન્યા હતા. અહેમદ પટેલની ટર્મ ઓગષ્ટ 2023ના રોજ પૂરી થઈ રહી હતી, જ્યારે ભારદ્વાજ તાજેતરમાં જ ચૂંટાયા હતા, અને તેમની ટર્મ 21 જૂન 2026ના રોજ પૂરી થવાની હતી.

વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસનું હાલનું સંખ્યાબળ જોતાં અહેમદ પટેલની બેઠક કોંગ્રેસ ગુમાવશે તે નક્કી છે. ઉલ્લેખનીય છે કે, 2017માં જ્યારે રાજ્યસભા ચૂંટણી થઈ હતી ત્યારે ભારે રસાકસીના અંતે અહેમદ પટેલ આ બેઠક જીતવામાં સફળ રહ્યા હતા. તે વખતે ચૂંટણી અગાઉ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોરદાર તોડફોડ કરી હતી, અને તેમની સાથે કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોને તૂટતા બચાવવા તેમને અહેમદ પટેલ કર્ણાટક સ્થિત રિસોર્ટમાં લઈ ગયા હતા, અને વોટિંગના દિવસે તમામ ધારાસભ્યોને ગાંધીનગર લવાયા હતા.

2020માં ગુજરાતમાં રાજ્યસભાની જે ચાર બેઠકો પર ચૂંટણી થઈ હતી તેમાં ભાજપે ત્રણ બેઠકો જીતવામાં સફળતા મેળવી હતી, જ્યારે કોંગ્રેસ તરફથી માત્ર શક્તિસિંહ ગોહિલ જ ચૂંટણી જીતી શક્યા હતા, અને ભરતસિંહ સોલંકીની હાર થઈ હતી. આ ચૂંટણી અગાઉ પણ કોંગ્રેસના ઢગલાબંધ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા, અને તેમાંથી કેટલાકને મંત્રીપદું અપાયું હતું, તો કેટલાકને ત્યારબાદ યોજાયેલી પેટાચૂંટણીની ટિકિટ આપવામાં આવી હતી.

Read Next Story