એપશહેર

સૂમસામ થઈ ગયું આખું અમદાવાદ, બે દિવસ લોકો ઘરમાં જ રહેશે

શુક્રવારે નવ વાગ્યા પહેલા જ લોકો જરુરી કામ પતાવીને ઘરભેગા થઈ ગયા, સોમવાર સવાર સુધી અમલમાં રહેશે કર્ફ્યુ

I am Gujarat 21 Nov 2020, 10:36 am
અમદાવાદ: ગઈકાલ રાતથી અમદાવાદમાં કર્ફ્યૂનો અમલ શરુ થઈ ગયો છે. જોકે, તે પહેલા જ લોકો પોતાના જરુરી કામ પતાવીને ઘરભેગા થઈ ગયાં હતાં, અને નવ વાગ્યા સુધીમાં તો શહેર આખુંય સૂમસામ થઈ ગયું હતું અને રસ્તા પર પોલીસ અને એકલદોકલ વાહનોને બાદ કરતાં ભાગ્યે જ કોઈ જોવા મળતું હતું. શહેરમાં આ જ સ્થિતિ સોમવારે સવારે છ વાગ્યા સુધી રહેવાની છે. શુક્રવારે આખો દિવસ અમદાવાદ શહેર પોલીસની વાનો વિવિધ વિસ્તારોમાં ફરી હતી, અને લાઉડ સ્પીકર દ્વારા લોકોને કર્ફ્યૂની જાણકારી આપીને ઘરની અંદર જ રહેવા માટે જણાવાયું હતું.
I am Gujarat weekend curfew in city starts from friday night
સૂમસામ થઈ ગયું આખું અમદાવાદ, બે દિવસ લોકો ઘરમાં જ રહેશે


એરપોર્ટ, રેલવે સ્ટેશન પર ખાસ સુવિધા

કર્ફ્યૂ દરમિયાન આખા શહેરમાં તૈનાત રહેશે પોલીસ.


કર્ફ્યૂના દિવસોમાં ટ્રેનો અને ફ્લાઈટ્સના સમયમાં કોઈ ફેરફાર નથી કરાયો. જોકે, રિક્ષા કે ટેક્સી મેળવવામાં લોકોને તકલીફ થાય તેવી શક્યતા હોવાથી તેના માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. જે લોકો શનિ-રવિના દિવસોમાં એરપોર્ટ કે રેલવે સ્ટેશન પર ઉતરવાના છે તેમના માટે AMTS-BRTSની સ્પેશિયલ બસો તૈનાત કરવામાં આવશે. ફ્લાઈટ કે ટ્રેન આવવાના હોય ત્યારે આ બસો રેલવે કે એરપોર્ટ પરથી ઉપડી અમદાવાદના વિવિધ સ્થળો પર જવા રવાના થશે. આ સિવાય રેગ્યુલર રીતે ચાલતી એએમટીએસ અને બીઆરટીએસની સુવિધા બંધ રહેવાની છે.

પરીક્ષા, મેરેજ, મરણમાં બહાર નીકળી શકાશે

શહેરના સીટીએમ વિસ્તારનું ગઈકાલ રાતનું દ્રશ્ય


અચાનક લાદવામાં આવેલા બે દિવસના કર્ફ્યૂને કારણે અમદાવાદમાં રીતસરનો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સીએ સહિતના કેટલાક સ્ટૂડન્ટ્સની પરીક્ષા પણ આ બે દિવસમાં યોજાવાની છે. શહેરમાં 1600 જેટલા લગ્નપ્રસંગો પણ છે. જોકે, સરકારે તેમાં થોડી છૂટ આપી છે. સ્ટૂડન્ટ્સ આઈકાર્ડ, હોલ ટિકિટ કે પરીક્ષાની રિસિપ્ટ બતાવી સેન્ટર પર પહોંચી શકશે. લગ્નપ્રસંગમાં થોડાક મહેમાનોને છૂટ અપાઈ છે, પરંતુ તેમને કંકોત્રી સાથે રાખવાની રહેશે. મરણપ્રસંગમાં પણ 20 લોકો ભેગા થઈ શકશે.

દૂધની દુકાન અને મેડિકલ સ્ટોર ખૂલ્લા રહેશે

આજે અને કાલે શાકમાર્કેટ, મોલ્સ, કરિયાણા સહિતની બધી જ દુકાનો અને સ્ટોર્સ બંધ રહેવાના છે. જોકે, દૂધની દુકાન અને મેડિકલ સ્ટોર્સ ખૂલ્લા રહેશે. ગઈકાલે લોકોએ કર્ફ્યૂ પહેલા કરિયાણું અને શાકભાજી ખરીદવા માટે રીતસરની પડાપડી કરી હતી, જેના કારણે અમદાવાદના ઘણા વિસ્તારોમાં તો બટાકા-ડુંગળી સો રુપિયે કિલોના ભાવે વેચાયા હતા. ઘણી દૂધની દુકાનોમાં સવાર-સવારમાં જ સ્ટોક ખતમ થઈ ગયો હતો. કર્ફ્યૂ માત્ર બે દિવસનો હોવા છતાંય લોકો લોકડાઉન આવી જશે તેવા ડરે ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો