એપશહેર

સ્ટેજ પર આ ત્રણ વ્યક્તિઓને જોઈ અટકી ગયા પીએમ મોદી

નવરંગ સેન | I am Gujarat 26 Dec 2017, 1:33 pm
I am Gujarat when modi meets three ex cms of gujarat together
સ્ટેજ પર આ ત્રણ વ્યક્તિઓને જોઈ અટકી ગયા પીએમ મોદી


સ્ટેજ પર સર્જાયું જોવાલાયક દ્રશ્ય

તસવીર: યોગેશ ચાવડાગાંધીનગર: અનેક પડકારો વચ્ચે ગુજરાતમાં ભાજપે છઠ્ઠીવાર સરકાર બનાવી છે, અને સીએમ તરીકે વિજય રુપાણીએ બીજીવાર શપથ ગ્રહણ કર્યા છે, ત્યારે આજે આ શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે પીએમ નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના નવા સચિવાલય ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં મોદી પહોંચ્યા ત્યારે સ્ટેજ પરના દ્રશ્યો જોવા લાયક હતા.

ગુજરાતના ત્રણેય પૂર્વ સીએમ એક સાથે

પીએમ આજે સ્ટેજ પર પહોંચ્યા ત્યારે તેમણે વિવિધ ધાર્મિક સંપ્રદાયના આગેવાનો, રાજકીય આગેવાનો સાથે શુભેચ્છાની આપ-લે કરી હતી. જોકે, સૌની પાસેથી ફટાફટ પસાર થતાં પીએમ એક ત્રિપૂટીને જોઈને અટકી ગયા હતા, અને આ ત્રિપૂટી સાથે તેમણે થોડી ક્ષણો થંભી જઈને વાતો પણ કરી હતી. આ ત્રણ વ્યક્તિ બીજા કોઈ નહીં, પરંતુ ગુજરાતના ત્રણ પૂર્વ સીએમ હતા.

ત્રણેય સરકારમાં સક્રિય નથી

આજે આનંદીબેન સરકારમાં સક્રિય નથી, જોકે સંગઠનમાં તેમણે સક્રિયતા હજુય નથી છોડી. એક સમયે તેમને ફરી સીએમ બનાવાય તેવી પણ અટકળ હતી, પરંતુ બેને પોતે જ તે અટકળો ખોટી ગણાવી ચૂંટણી પણ ન લડવાની સ્પષ્ટતા કરી હતી. તેવી જ રીતે, કેશુભાઈ હવે નિષ્ક્રિય છે, તો શંકરસિંહે ચૂંટણી ટાણે જનવિકલ્પ દ્વારા સક્રિયતા બતાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના એકેય ઉમેદવાર જીતવાનું તો દૂર, ડિપોઝિટ પણ બચાવી શક્યા નથી.

વાઘેલા, કેશુભાઈ મોદીના વિરોધી રહી ચૂક્યા છે

ગુજરાતના ત્રણ પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ અને આનંદીબેન પટેલને પણ આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આનંદીબેન પટેલ ભાજપમાં જ છે, પરંતુ વાઘેલા અને કેશુબાપા એક સમયે મોદીના કટ્ટર વિરોધી રહી ચૂક્યા છે, બાપાએ ગત ચૂંટણીમાં અને વાઘેલાએ આ ચૂંટણીના થોડા દિવસો પહેલા ભાજપને ગાળો આપવામાં કશુંય બાકી નહોતું રાખ્યું.

કેશુબાપાના આશિર્વાદ લેવાનું નથી ચૂકતા મોદી

મહત્વનું છે કે, કેશુબાપાએ ભલે મોદીનો ગમે તેટલો વિરોધ કર્યો હોય, પરંતુ મોદી જ્યારે પણ સીએમ કે પીએમ બન્યા, કે પછી જન્મદિન કે અન્ય કોઈ પ્રસંગ હોય ત્યારે તેઓ કેશુબાપાના આશિર્વાદ લેવાનું ચૂક્યા નથી. 2014માં તેઓ પીએમ બન્યા ત્યારે પણ મહાત્મા મંદિરમાં જે કાર્યક્રમ યોજાયો ત્યારે તેમણે કેશુબાપાને પગથિયાં ચઢવામાં મદદ કરી હતી. જે કાર્યક્રમમાં મોદી હાજર હોય તેવા દરેક કાર્યક્રમમાં કેશુભાઈને સ્ટેજ પર સ્થાન ચોક્કસ અપાય છે.

મોદીએ શંકરસિંહના કાનમાં કંઈક કહેલું

તેવી જ રીતે, શંકરસિંહ વાઘેલાએ ભલે હજુ હમણા સુધી પીએમ મોદી સામે બોલવામાં કશુંય બાકી ન રાખ્યું હોય, પરંતુ પોતાના એક સમયના દોસ્ત એવા શંકરસિંહને મોદી ભૂલ્યા નથી. તેઓ પીએમ બન્યા ત્યારે પણ વિધાનસભામાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં તેમણે શંકરસિંહના કાનમાં કંઈક કહ્યું હતું અને પોતાના વિદાય ભાષણમાં પણ શંકરસિંહ સાથેના સંસ્મરણોનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો