એપશહેર

20 દિવસ બાદ પણ હજુય આખી રાત સૂઈ નથી શકતા ઉનાકાંડના પીડિતો

I am Gujarat 29 Jul 2016, 1:40 pm
અમદાવાદ: 11 જુલાઈના દિવસે તેમના પર થયેલો અત્યાચાર કેટલો ખતરનાક હતો તેનો જીવતોજાગતો પુરાવો આપતા શરીર પર પડેલા ઘા તો હવે ધીરે-ધીરે રુઝાઈ રહ્યા છે, પરંતુ તેના લીધે તેમના મગજમાં જે જોઈ ન શકાય તેવા ઘા પડ્યા છે તે હજુય તાજા જ છે. વાત છે ઉનાકાંડના ચાર કમનસીબ પીડિતોની, જેમને ગોરક્ષકના વેશમાં આવેલા ગુંડાઓએ આખા બજાર વચ્ચે અર્ધનગ્ન કરીને ઢોર માર માર્યો હતો. હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આ ચારેય દલિત પીડિતો તેમના પર જે વિત્યું તેના દિવસો પછી પણ ભયથી થરથર કાંપી રહ્યા છે. ડોક્ટરો પણ કહી રહ્યા છે કે આ ચારેય પીડિતોની હાલત ખતરાની બહાર છે તેવું કહેતા પહેલા હજુય થોડા દિવસ રાહ જોવી પડશે.
I am Gujarat where mind is filled with fear heads hang low
20 દિવસ બાદ પણ હજુય આખી રાત સૂઈ નથી શકતા ઉનાકાંડના પીડિતો


ગુરુવારે આ ચારેય પીડિતોની સારવાર કરનારા ડોક્ટરોની એક પેનલે જોયું હતું કે, તેઓ હજુય ગંભીર ડિપ્રેશનમાં છે અને તેમની માનસિક હાલતને કારણે તેઓ રાત્રે સૂઈ પણ નથી શકતા. ચારમાંના એક પીડિતની હાલત તો એટલી ગંભીર છે કે તેના માટે ખાસ કાઉન્સેલિંગ સેશન પણ રાખવામાં આવ્યું, જેમાં તેણે જણાવ્યું હતું કે કઈ રીતે ઉનાકાંડનો ભય આજે પણ સતાવી રહ્યો છે.

ઉનાકાંડ પછી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચાર દલિત યુવકોને તેઓ સ્વસ્થ છે તેમ કહીને પોલીસ પ્રોટેક્શન સાથે ઘરભેગા કરી દેવાયા હતા. પરંતુ, તેમની સ્થિતિ અચાનક જ બગડી હતી. ચાર પીડિતો વશરામ, તેનો ભાઈ રમેશ અને બેચર તેમજ અશોકને બુધવારે તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વશરામ અને રમેશને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક મેહુલ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર, ‘અમે તેમને એન્ટી-એન્ઝાઈટી ડ્રગ આપી તેમજ તેમના કાઉન્સેલિંગ સેશન લઈને તેમની માનસિક સ્થિતિ શાંત કરાઈ રહી છે. તેમને પહોંચેલા માનસિક આઘાતની દવા છે, પરંતુ તેની સારવારમાં સમય લાગશે. તેઓ હજુય ભયભીત હોવાથી તેમના મગજને શાંત કરવું જરુરી છે. અન્ય એક પીડિતને પણ કાઉન્સેલિંગ પણ કરાઈ રહ્યું છે.’ સિવિલના ટ્રોમા સેન્ટરના ઈન્ચાર્જ એમ.ડી. ગજ્જરના જણાવ્યા અનુસાર, ચારેય દર્દીઓને સોફ્ટ ટિશ્યૂ ઈન્જરી છે અને તે રિકવર થઈ રહી છે. જોકે, ગઈ કાલે ચાર પીડિતમાંથી એકનું મોત થયાની અફવા ફેલાતા સિવિલના સત્તાધીશો દોડતા થઈ ગયા હતા. ભાજપના એમએલએ આર.એમ. રાઠોડ પણ સ્થિતિનો તકાજો મેળવવા તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા.

પીડિતોના સંબંધી એવા વિપુલ રાઠોડે અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, ‘અમે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ તેમની સારવાર કરાવી શક્યા હોત, પરંતુ ડૉક્ટરોએ અમને જણાવ્યું હતું કે, કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ દબાણ કરતાં ચારેયને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.’

સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ એમ.એમ. પ્રભાકરના જણાવ્યા અનુસાર, ‘એક પીડિતને લોહીની ઉલ્ટી થવાની ફરિયાદ છે. તેમને માનસિક આઘાત લાગ્યો છે અને તેની સારવારની તેમને જરુર છે.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો