એપશહેર

બનાસકાંઠા: નિયમોના ધજાગરા ઉડાવી ડાયરો યોજાયો, PSI સહિત 3 પોલીસકર્મી સસ્પેન્ડ

કોરોનાના કહેર વચ્ચે બનાસકાંઠાના વડગામડામાં ડાયરાનું આયોજન કરી હજારો લોકોને ભેગા કરાયા. વિડીયો બહાર આવતા તંત્ર દોડતું થયું.

I am Gujarat 24 Dec 2020, 4:55 pm
અમદાવાદ: કોરોનાનો કહેર હજુ ઓછો થયો નથી અને હવે તો યુકેમાં એક સપ્તાહમાં કોરોના વાયરસના બે નવા સ્ટ્રેન મળતા હાહાકાર મચેલો છે અને વિશ્વના કેટલાક દેશો ફરીથી લોકડાઉન કરી રહ્યા છે, તેવી સ્થિતિમાં આપણા દેશમાં હજુ પણ લોકો પરિસ્થિતિ પ્રત્યે ગંભીર જણાતા નથી. ગુજરાતમાં જ કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન થવાના મામલા અવારનવાર નોંધાતા રહે છે. આવો જ એક કિસ્સો હવે બનાસકાંઠાના વડગામડામાં બન્યો છે. જ્યાં કોરોના ગાઈડલાઈનને રીતસર મજાક ઉડાવાઈ હોય તેમ ડાયરાનું આયોજન કરાયું હતું. જેને પગલે તંત્ર હરકતમાં આવ્યું અને ડાયરાના આયોજકની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે આયોજક સહિત 12 સામે ફરિયાદ નોંધી છે. આ મામલે બેદરકારી દાખવવા બદલ પીએસઆઈ સહિત ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા છે. ઉપરાંત આ મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગામના તલાટી અને સરપંચને ખુલાસો કરવા નોટિસ પણ ફટકારી છે.
I am Gujarat Dayro
કોરોના ગાઈડલાઈન્સને નેવે મૂકી યોજાયો ડાયરો. ઈન્સેટ તસવીર: ડાયરાનું આયોજન કરનાર ધનજી ચૌધરી.


રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠાના થરાદ તાલુકાના વડગામડામાં બુધવારની રાત્રે ડાયરો યોજાયો હતો. ગામના ધનજી ચૌધરી નામના આગેવાને સંતવાણી કાર્યક્રમ અંતર્ગત આ ડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં હજારોની સંખ્યામા્ં લોકો એકઠા થયા હતા. જાણીતા કલાકારોના આ ડાયરામાં લગભગ એકપણ વ્યક્તિએ માસ્ક પહેર્યું ન હતું અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું ન હતું. ડાયરામાં જે રીતની ભીડ ઉમટી હતી તે જોઈને એવું લાગતું હતું કે, જાણે કોરોના હવે રહ્યો જ નથી!

આ ડાયરાનો વિડીયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે ડાયરાના આયોજક સહિત 12 લોકો સામે ફરિયાદ નોંધી છે અને ડાયરાના આયોજકની ધરપકડ કરી છે. તો, ડાયરાનો આટલો મોટો કાર્યક્રમ થઈ ગયો અને પોલીસ ઊંઘતી રહેતા ફરજમાં બેદરકારી દાખવવા બદલ PSI એમ એમ કુરેશી અને બે પોલીસ કોન્સ્ટેબલ- અશોક સદાભાઈ અને વાહજીભાઈને સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે ગામના તલાટી અને સરપંચનો જિલ્લા વિકાસ અધિકારીએ આ મામલે ખુલાસો પૂછ્યો છે. તેમના જવાબ મળ્યા પછી એ બંને સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ ડાયરાનું આયોજન કરનારા ધનજી ચૌધરીએ દંડ ભરવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે, 'નેતાઓ જ્યારે રેલીઓ અને સભાઓ યોજીને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરે છે, ત્યારે તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. આથી આ નેતાઓ સામે કાર્યવાહી થાય તે પછી જ દંડ ભરીશ.' બનાસકાંઠા જિલ્લા પોલીસવડા તરુણકુમાર દુગ્ગલે એક સ્થાનિક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, સરકારી ગાઈડલાઈનનો ભંગ કરી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવનારા આયોજક સહિત તમામ કલાકારો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ કાર્યક્રમના આયોજિક ધનજી ચૌધરી, કલાકારો, મંડપ અને સાઉન્ડ લગાવનારા સહિત કુલ 12 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે ફરજમાં બદરકારી દાખવવા બદલ સ્થાનિક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, અન્ય ધારાસભ્યો અને આગેવાનો તેમજ થરાદના એસીપી પૂજા યાદવ વગેરેના નામ મુખ્ય મહેમાન તરીકે છાપવામાં આવ્યા હતા .જોકે, તેમાંથી કોઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યું ન હતું. એસીપી પૂજા યાદવે મુખ્ય મહેમાન તરીકે પોતાનું નામ છાપવા બદલ કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો