એપશહેર

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી કોરોનાની ઝપેટમાં

રજની પટેલે ટ્વિટ કરીને કોરોના થયો હોવાની પુષ્ટિ કરી છે, તેઓએ સંપર્કમાં આવેલા તમામ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.

I am Gujarat 30 Oct 2020, 4:55 pm
અમદાવાદ: ગુજરાતમાં અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે ભાજપના વધુ એક નેતાને કોરોના થયો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજની પટેલ કોરોનાની ઝપેટમાં આવતા હોમ ક્વોરેન્ટાઈન થયા છે. રજની પટેલે ખુદ ટ્વિટ કરીને કોરોના થયો હોવાની માહિતી આપી છે અને સાથે જ સંપર્કમાં આવેલા લોકોને પણ સાવચેતી રાખવાની અપીલ કરી છે.
I am Gujarat 7
ભાજપના રજની પટેલને કોરોના: ફાઈલ તસવીર

રજની પટેલે ટ્વિટ કરીને જાણકારી આપી
રજની પટેલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 'નમસ્તે, હું ચાર દિવસ પહેલા કોવિડ-19થી સંક્રમિત થયો છું. મારી સારવાર ચાલું છે અને હોમ ક્વોરેન્ટાઈન થયો છું. ઇશ્વર કૃપાથી મારી તબિયત સારી છે. આ સમય દરમિયાન મારા સંપર્કમાં આવેલા સ્નેહીશ્રીઓને પણ જરૂરી તકેદારી રાખવા અનુરોધ છે.' જણાવી દઈએ કે, રજની પટેલ બેચરાજીના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને હાલ ભાજપ કિસાન મોર્ચાના નેશનલ જનરલ સેક્રેટરી છે.

આ પહેલા પણ ઘણા ધારાસભ્યો, નેતાઓ અને મંત્રીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, જેમાંથી કેટલાકે કોરોનાની મ્હાત પણ આપી છે. અત્યાર સુધી વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી, ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના સાંસદ તેમજ ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સહિતના નેતાઓને કોરોનાનું સંક્રમણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત ઘણા નેતાઓનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે, તો કેટલાક સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો