પાલનપુરઃ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની પાલનપુર પોલીસે અટકાયત કરી લીધી છે. હાર્દિક પટેલ પૂર્વ IPS સંજીવ ભટ્ટને મળવા માટે જઈ રહ્યો હતો. હાર્દિની સાથે રહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોની પણ પોલીસ અટકાયત કરી લીધી છે. મહત્વનું છે કે, સંજીવ ભટ્ટ હાલ કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે. હાર્દિકે જણાવ્યું છે કે અમે સંજીવ ભટ્ટને જેલમાં રાખડી બાંધવા માટે જઈ રહ્યા હતા. મહત્વનું છે કે હાર્દિકે 13 તારીખે એક ટ્વીટ કર્યું હતું કે, “પૂર્વ IPS સંજીવ ભટ્ટ જેલમાં બંધ છે. સરકાર સામે લડવાની આ સજા છે. આજે અમે અને સામાજિક કાર્યકરો તેમના ઘરે છીએ, કાલે 300થી વધારે મહિલાઓ સાથે પાલનપુર જેલમાં જઈશું. સંજીવ ભટ્ટને રાખડી બાંધીશું. દેશભરમાંથી 20,000થી વધારે રાખડી સંજીવ ભટ્ટ માટે તેમની બહેનોએ મોકલી છે.” ઉલ્લેખની છે કે, જામનગરની સેશન્સ કોર્ટે 1990ના જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા સંભળાવાવમાં આવી છે. જામજોધપુરમાં થયેલા રમખાણ દરમિયાન 132 લોકોના મોત થયા હતા, જેમાં પ્રભુદાસ વિઠ્ઠલાણી નામના શખસનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું.
હાર્દિક પટેલની સાથે પોલીસે પાલનપુરના મહેશ પટેલ અને પાટણના કિર્તિ પટેલ એમ બે ધારાસભ્યોની પણ અટકાયત કરી છે. પોલીસે હાર્દિકના 27 સમર્થકોની પણ અટકાયત કરી લીધી છે. હાર્દિક પટેલે, પોતાની અટકાયત અંગે પ્રશ્ન ઉભો કરીને ટ્વીટ કર્યું છે. હાર્દિકે લખ્યું છે કે, “પૂર્વ IPS સંજીવ ભટ્ટને પાલનપુર જેલમાં રાખડી બાંધવા માટે જઈ રહ્યા હતા અને અમારી અટકાયત કરી લેવામાં આવી, એક પણ મહિલાને જેલમાં સંજીવ ભટ્ટને મળવા માટે ન જવા દેવાઈ. પોલીસે અમને એ પણ ના જણાવી શકી કે અમારી અટકાયત શા માટે કરવામાં આવી છે. ભાજપના રાજમાં તાનાશાહીની હદ તો જુઓ હિન્દુ તહેવારોનું અપમાન કરવામાં આવી રહ્યું છે.”