એપશહેર

દોઢ જ વર્ષની ઉંમરમાં બાળકે દ્રષ્ટિ ગુમાવી, નવસારીની હોસ્પિટલ અને ડોક્ટરોએ આપવું પડશે 70 લાખ રુપિયા વળતર

ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા નવસારી જિલ્લાની સરકારી હોસ્પિટલને આદેશ આપ્યો છે કે તેમણે 2014માં તેમની હોસ્પિટલમાં જન્મ લેનારા એક બાળકના પરિવારને 70 લાખ રુપિયા વળતર ચૂકવવું પડશે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલની બેદરકારી અને ભૂલને કારણે બાળકે દોઢ વર્ષની ઉંમરે દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. અત્યારે તે બાળકની ઉંમર 8 વર્ષ છે.

Edited byZakiya Vaniya | TNN 23 Oct 2022, 8:16 am
અમદાવાદ- ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાણ નિવારણ કમિશન દ્વારા નવસારી જિલ્લાની એક સરકારી હોસ્પિટલ અને તેના ડોક્ટરોને આદેશ આપ્યો છે કે તેમણે એક મહિલા અને તેના આઠ વર્ષના દીકરાને 70 લાખ રુપિયા વળતર આપવું પડશે. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલ દ્વારા બાળકની માતાને યોગ્ય સલાહ સૂચન આપવામાં નહોતા આવ્યા જેના પરિણામે ROP(Retinopathy of prematurity)ને કારણે બાળકે દ્રષ્ટિ ગુમાવી છે.
I am Gujarat mg hospital
નવસારીની હોસ્પિટલના ડોક્ટરોએ આપવું પડશે વળતર.


અમદાવાદ: દિવાળીમાં વતન જવા ST અને ખાનગી બસોમાં ભારે ભીડ, વધારાની બસ દોડાવાઈ
કેસની વિગતવાર વાત કરવામાં આવે તો સુનિતા ચૌધરી મૂળ નવસારીના છે અને અત્યારે મહારાષ્ટ્રના નંદૂરબારમાં પોતાની સાસરીમાં રહે છે. નવસારીમાં આવેલી એમજી જનરલ હોસ્પિટલમાં જૂન, 2014માં તેમણે એક પ્રિમેચ્યોર બાળકને જન્મ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ડિલિવરીના 28 અઠવાડિયા પહેલા જ બાળકનો જન્મ થઈ ગયો હતો અને જન્મ સમયે તેનું વજન માત્ર 1200 ગ્રામ જ હતું. બાળકની લગભગ 42 દિવસ સુધી ICUમાં સારવાર ચાલી હતી. રજા આપવામાં આવી પછી સુનિતા દીકરાને લઈને હોસ્પિટલ આવ્યા હતા અને તેની આંખમાંથી પાણી નીકળતુ હોવાની ફરિયાદ કરી હતી. બાળકની સારવાર કરનારા ડોક્ટર આશા ચૌધરીએ આંખના ટીપા લકી આપ્યા હતા અને આશ્વાસન આપ્યુ હતું કે આ દવાની મદદથી સમસ્યાનું નિરાકરણ આવી જશે.

સુનિતા ત્યારપછી નંદુરબાર જતા રહ્યા પરંતુ દીકરાની આંખની સમસ્યાનો અંત નહોતો આવ્યો. મુંબઈ અને ચેન્નાઈના નિષ્ણાંત આંખના ડોક્ટરોનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમણે જણાવ્યું કે સુનિતાનો દીકરો ROPના પાંચમા તબક્કા પર છે અને રેટિનલ ડીટેચમેન્ટને કારણે ટૂંક સમયમાં તે દ્રષ્ટિ ગુમાવી દેશે. સુનિતાને આ ડોક્ટરો દ્વારા જાણવા મળ્યું કે જે બાળકોનો સમય પહેલા જન્મ થઈ જાય છે તેમનામાં ROPનું જોખમ હોય છે, માટે જન્મના થોડા અઠવાડિયા પછી તેની તપાસ કરાવવી જરૂરી છે. જો વહેલી તકે જ ROPની ઓળખ થઈ જાય તો તેની સારવાર શક્ય છે. પણ સુનિતાના દીકરાના કેસમાં ઘણું મોડુ થઈ ગયુ હતું. તે જ્યારે માત્ર 18 મહિનાનો હતો ત્યારે તેણે દ્રષ્ટિ ગુમાવી દીધી.

માતા-પિતાના ઝઘડામાં લેવાયો પુત્રનો ભોગ, પિતાએ રાઈફલથી ગોળી મારી હત્યા કરી
સુનિતાએ નવસારીની સરકારી હોસ્પિટસ, ઈન-ચાર્જ મેડિકલ ઓફિસર અને ડોક્ટર આશા ચૌધરી સામે 95 લાખ રુપિયાનો દાવો માંડ્યો. સુનિતાએ દલીલ કરી કે તે સામાન્ય ગૃહિણી છે અને તેને આ પ્રકારે ROPની તપાસ વગેરે પ્રકારની કોઈ જાણકારી નહોતી. દર્દીને તેની જાણ કરવી એ ડોક્ટરોની જવાબદારી હતી. હોસ્પિટલ તરફથી એવી દલીલ કરવામાં આવી કે આ એક સરકારી હોસ્પિટલ છે જેમાં વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે. માટે કન્સ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત વળતરની કોઈ ફરિયાદ અહીં થઈ શકે નહીં. કમિશને હોસ્પિટલ અને ડોક્ટરોની દલીલ ફગાવી હતી.

કમિશનના એક સભ્ય જે.જી.મેકવાને નોંધ્યું કે, જ્યારે બાળકની 42 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે ROP ટેસ્ટ કરવામાં નહોતો આવ્યો. જો પ્રિમેચ્યોર જન્મ થયો છે કે આ ટેસ્ટ કરાવવાની સલાહ આપવાની જવાબદારી ડોક્ટરોની છે. જો બાળકનું વજન 1500 ગ્રામ કરતા ઓછું હોય તો ખાસ કરીને આ ટેસ્ટ કરવામાં આવે છે. આ કેસમાં હોસ્પિટલ તંત્ર અને ડોક્ટરોની લાપરવાહીને કારણે એક બાળકે દ્રષ્ટિ ગુમાવી છે.

કમિશન દ્વારા બાળકના પરિવારની નાણાંકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ બાળકની સારવાર અને શિક્ષણને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ અને ડોક્ટરોને આદેશ આપ્યો છે કે તેમણે પરિવારને 69.3 લાખ રુપિયા વળતર તરીકે આપવા પડશે. આ સિવાય ફરિયાદીને મેડિકલ કેસ પેપર ન આપવા બદલ 75,000 રુપિયા તેમજ આ કેસ પાછળ જે ખર્ચો થયો છે તે બદલ 10,000 રુપિયા ચૂકવવા પડશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો