એપશહેર

હળવદમાંથી ભેળસેળયુક્ત વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 1.13 કરોડનો 59 હજાર કિલો જથ્થો જપ્ત

મોરબીના હળવદમાંથી ભેળસેળ યુક્ત વરિયાળી બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ બાતમીના આધારે હળવદ તાલુકામાં આવેલા અવધ ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં એક ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં તંત્રને હલકી ગુણવત્તાયુક્ત અને કલર યુક્ત અખાદ્ય વરિયાળી મળી આવી હતી. તંત્ર દ્વારા કુલ 1.11 કરોડનો 56 હજાર કિલોગ્રામ વરિયાળીનો જથ્થો અને 1.82 લાખનો 3 હજાર કિલો કલરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

Edited byમિહિર સોલંકી | I am Gujarat 18 May 2023, 5:00 pm


મોરબી:
ભેળસેળ યુક્ત પદાર્થનો વેપાર આજકાલ વધી રહ્યો છે. દૂધ, પનીર, ખાદ્યતેલ સહિતના ખાદ્યપદાર્થોમાં ભેળસેળના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે ગુજરાતના લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થ મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નિયમિત રીતે ચેકિંગ હાથ ધરવામાં આવતુ હોય છે અને ચેકિંગ દરમિયાન ખાદ્ય પદાર્થમાં ભેળસેળ દેખાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા વરિયાળીમાં થતુ ભેળસેળનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રને બાતમી મળી હતી કે, મોરબી જિલ્લાના હળવદ તાલુકમાં આવેલા અવધ ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં હિતેષભાઈ મુકેશભાઈ અગ્રવાલ નામનો વેપારી વરિયાળીમાં કલર ભેળવીને ભેલસેળ યુક્ત વરિયાળીનું વેચાણ કરે છે. બાતમીના આધારે મોરબીની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ તથા મોરબીની લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વરિયાળીમાં અખાદ્ય પદાર્થનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. દરોડામાં તપાસ દરમિયાન સ્થળ પરથી જાણવા મળ્યુ હતુ કે, ફેક્ટરીમાંથી હલકી ગુણવત્તાની આખી વરિયાળી પર કલર ચડાવીને ભેળસેળવાળી વરિયાળીનું ઉત્પાદન કરીને વેચાણ કરવામાં આવતુ હતું. તપાસ દરમિયાન સ્થળ પરથી જ વરિયાળીમાં ભેળસેળ કરવા માટે લાવેલા અખાદ્ય કલર પણ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે, વરિયાળીનું વેચાણ કરતી પેઢી પાસે ફૂડ પરવાનો ન હતો અને ગેરકાયદેસર રીતે વરિયાળીનો ધંધો કરવામાં આવતો હતો. આ વેપારી દિલ્હી તથા અન્ય રાજ્યોમાં વરિયાળીનું વેચાણ કરતી હતી.

વરિયાળીને ફૂડ લેબમાં મોકલી અપાઈ

તપાસ દરમિયાન તપાસ ટીમ દ્વારા સ્થળ પરથી વરિયાળીનાં 3 અને કલરના 3 નમૂના લેવામાં આવ્યો હતો. જ્યારે વરિયાળીનો અંદાજિત 1.11 કરોડની કિંમતનો 56 હજાર કિલોગ્રામ જથ્થો અને 1.82 લાખની કિંમતનો 3 હજાર કિલોગ્રામ કલરનો જથ્થો કુલ મળીને 1.13 કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને ભેળસેળ યુક્ત વરિયાળી બનાવનાર હિતેષભાઈ અગ્રવાલની પોલીસે અટકાયત કરી હતી.જપ્ત કરવામાં આવેલા જથ્થાને ટેસ્ટિંગ ફૂડ લેબોરેટરી મોકલી આપવામાં આવ્યા હતા.
લેખક વિશે
મિહિર સોલંકી
મિહિર સોલંકી છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઈન ડેવલોપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે અને દિવ્યભાસ્કર, મંતવ્ય ન્યૂઝ, ગુજરાત ફર્સ્ટ અને વીટીવી ન્યૂઝ સાથે તેમણે અગાઉ કામ કર્યું છે.... વધુ વાંચો

Read Next Story