એપશહેર

રાજકોટ: ખેડૂતે વેચી 472 કિલો ડુંગળી, પૈસા તો ના મળ્યા, સામા રૂ. 131 ચૂકવવા પડ્યા

રાજકોટના ધુતારપુર ગામના ખેડૂત જમનભાઈએ પહેલી માર્ચના રોજ રાજકોટ યાર્ડમાં કુલ 472 કિલો ડુંગળી લઈને વેચવા આવ્યા હતા અને એક મણનો ભાવ રૂ. 21 લેખે પૈસા ચૂકવાયા. આમ, ડુંગળી વેચવાના તેમને રૂ. 495 મળ્યા હતા. જોકે સામે ટ્રકનું ભાડું રૂ. 590 અને ઉતરાઈ ખર્ચ રૂ. 36 મળીને ખરાજાત રૂ. 626 થઈ જતાં તેમને સામેથી રૂ. 131 ચૂકવવા પડ્યા હતા.

Edited byનિલય ભાવસાર | I am Gujarat 2 Mar 2023, 9:39 pm
રાજકોટ: રાજ્યમાં ડુંગળી પાણીના ભાવે વેચાતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. બુધવારે ધુતારપુર ગામના ખેડૂત રાજકોટ યાર્ડમાં ડુંગળી વેચવા માટે આવ્યા હતા. તેમને વળતર તો ના મળ્યું પરંતુ સામે તેમને રૂ. 131 ચૂકવવા પડ્યા હતા. ધુતારપુર ગામના ખેડૂત તારીખ પહેલી માર્ચના રોજ રાજકોટ યાર્ડમાં કુલ 472 કિલોગ્રામ ડુંગળી લઈને આવ્યા હતા. એક મણ (20 કિલો)નો ભાવ તેમને રૂ. 21 મળ્યો હતો. તેમને પોતાની ડુંગળી વેચવાના પૈસા રૂ. 495 મળ્યા હતા. જ્યારે ખરાજાત રૂ. 626 થઇ હતી. આમ આ ખેડૂતને રૂ. 131 સામે ચૂકવવા પડ્યા હતા.
I am Gujarat A farmer from Gujarat
રાજ્યમાં ડુંગળી પાણીના ભાવે વેચાતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો

મળતી માહિતી મુજબ તારીખ 1 માર્ચના રોજ ધુતારપુર ગામના જમનભાઈ 472 કિલો ડુંગળી લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા. જમનભાઈને 21 રૂપિયા પ્રતિ મણના હિસાબે 472 કિલો ડુંગળીના 495.60 રૂપિયા મળ્યા. જોકે ટ્રકનું ભાડું રૂ. 590 હતું અને ડુંગળી ઉતારવાનો ખર્ચ રૂ. 36.40 થયો હતો. આવી સ્થિતિમાં કુલ ખર્ચ રૂ. 626 થયો એટલે ડુંગળી વેચ્યા પછી પણ ખેડૂતે યાર્ડને રૂ. 131 ચૂકવવા પડ્યા.
ખેડૂતને ડુંગળી વેચવા માટે સામેથી પૈસા ચૂકવવાના થતાં તેમની આંખમાંથી પાણી આવી ગયા હતા. ખેડૂતોના જણાવ્યાનુસાર તેમને જે પૈસા ચૂકવવા પડ્યા એ તો માત્ર ઘરેથી યાર્ડ સુધીનો ખર્ચ જ લાગ્યો છે. આ સિવાય વાવેતરનો ખર્ચ, મજૂરી ખર્ચ એ તો આમાં કોઈ સમાવેશ જ નથી. અનેક ખેડૂતો પોતાનો પાક ઉકરડામાં ફેંકી દે છે.

સૌરાષ્ટ્રમાં ડુંગળીના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોને ડુંગળીના પાક પાછળ ખર્ચવામાં આવેલા પૈસા મળી રહ્યા નથી. ડુંગળીના ભાવ ઘટવાથી ખેડૂતો નિરાશ થયા છે. ઇચ્છિત ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. નીચા ભાવે ડુંગળી વેચવાને બદલે, ખેડૂતો તેને રસ્તા પર ફેંકી દેવા, ઢોરોને ખવડાવવા અને તેના પર મશીન ચલાવવાનું યોગ્ય માની રહ્યા છે. રાજ્ય સરકારની વાત કરીએ તો સરકારે ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા ડુંગળી ઉત્પાદક ખેડૂતોને 100 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું હતું.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો