એપશહેર

સ્કૂલો શરૂ થયા બાદ જામનગરમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ

જામનગર જિલ્લાના જોડિયા હુન્નર શાળામાં હોસ્ટિલમાં પ્રવેશ કાર્યવાહી દરમિયાન કરાયેલા ટેસ્ટિંગમાં ધોરણ 12ની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું.

I am Gujarat 13 Jan 2021, 8:08 pm
અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાનો ખતરો હજુ ટળ્યો ન હોવાને પગલે સ્કૂલો શરૂ કરવાના નિર્ણયનો ઘણા વાલીઓએ વિરોધ કર્યો હતો. જોકે, તેમના વિરોધને અવગણીને સ્કૂલો શરૂ કરી દેવાઈ છે. ત્યારે જેનો ભય સેવાઈ રહ્યો હતો તે જ બન્યું છે. જામનગરમાં ધોરણ 12ની એક વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અન સ્કૂલના સ્ટાફમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
I am Gujarat Jamnagar school
પ્રતિકાત્મક તસવીર


જાણવા મળ્યા મુજબ, જામનગર જિલ્લાના જોડિયા હુન્નર શાળામાં અભ્યાસ કરતી ધોરણ 12ની વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 11મી જાન્યુઆરીથી સ્કૂલ શરૂ થવાની હોવાના પગલે આ વિદ્યાર્થિની ઘરેથી હોસ્ટેલમાં પાછી આવી હતી. હોસ્ટેલમાં પ્રવેશ કાર્યવાહી દરમિયાન અન્ય વિદ્યાર્થીઓની જેમ તેનો પણ કોરોના ટેસ્ટ કરાવાયો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સ્કૂલ શરૂ થયા બાદ ધોરણ 12ની વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્કૂલના વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શિક્ષકો સહિતના સ્ટાફ ચિંતામાં મૂકાઈ ગયા છે. દરમિયાનમાં જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા હુન્નર શાળાનું શિક્ષણ કાર્ય એક અઠવાડિયા માટે મોકૂફ રાખવાનો આદેશ આપી દેવાયો છે. જામનગરના ડીઈઓના જણાવ્યા મુજબ, હોસ્ટેલમાં પ્રવેશની કામગીરી સમયે વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ કરાયો હતો, જે પોઝિટિવ આવ્યો છે. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થિની સ્કૂલે ગઈ નથી, પરંતુ હોસ્ટેલ અને સ્કૂલનું કેમ્પસ એક જ હોવાથી શિક્ષણ કાર્ય એક સપ્તાહ માટે બંધ રાખવામાં આવ્યું છે અને હોસ્ટેલને પણ બંધ રાખવા આદેશ અપાયો છે.

ગુજરાતમાં સ્કૂલો શરૂ થયા બે દિવસમાં જ એક વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વાલીઓમાં ચિંતામાં મૂકાઈ ગયા છે. બીજી સ્કૂલોમાં પણ જો આવું જ બનશે તો માંડ કાબુમાં આવતો દેખાઈ રહેલો કોરોના ફરી વકરવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્કૂલો દ્વારા કોરોનાની બધી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે, પણ જો કોઈ વિદ્યાર્થી બાદમાં કોરોના પોઝિટિવ જણાય તો ત્યાં સુધીમાં કેટલાક વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ ચૂક્યા હોય. એવી સ્થિતિમાં સ્કૂલો ખોલવાનો નિર્ણય ઘણો ઘાતક સાબિત થઈ શકે છે. આમ, એક તરફ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે અને બીજી તરફ કોરોના સંક્રમણનું જોખમ છે, ત્યારે રાજ્ય સરકાર આ મામલે કેવું વલણ અપનાવે છે તેના પર બધાની નજર છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો