એપશહેર

ગીર સોમનાથ: ભાઈએ જ ભાઈની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લીધો

3 મહિના પહેલા થયેલા ઝઘડામાં ભાઈએ ભાઈને જ પતાવી દીધો, લાગી આવતા પોતે પણ ટૂંકાવ્યું જીવન, આખું ગામ હિબકે ચઢ્યું

Agencies 13 Oct 2021, 12:00 pm
ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્‍લાના કોડીનાર તાલુકાના માલશ્રમ ગામે ભાઈએ જ ભાઈની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. બનાવની જાણ થતાં પોલીસ તેમજ ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને હત્યા અને આપઘાત અંગે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
I am Gujarat 3


પિતરાઈ ભાઈએ જ કરી ભાઈની હત્યા
મીડિયા રિપોર્ટ મુજબ ખેતરમાંથી પાણી કાઢવા માટે પાઇપ મુકવા બાબતે ત્રણેક માસ અગાઉ બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જો કે, આ બાબતે મનદુ:ખ થતાં પિતરાઈ ભાઈએ ભાઈને કુહાડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. એક સાથે બે ભાઈઓના મોત થતાં આખું માલશ્રમ ગામ હિબકે ચઢ્યું હતું. બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને આસપાસના લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા.

પાણીની પાઈપ બાબતે થયો હતો ઝઘડો
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે કોડીનાર તાલુકાના માલશ્રમ ગામમાં રહેતા મહેશગીરી ગૌસ્વામી તથા હરેશગીરી ગૌસ્વામી બંન્‍ને પિતરાઈ ભાઈ હતા. ત્રણેક મહિના પહેલા હરેશગીરી પોતાના ખેતરના સેઢે ખેતરમાંથી પાણી કાઢવા માટે પાઇપ મુકાવી રહ્યો હતો ત્‍યારે તેના સેઢા પાડોશી એવા પિતરાઈ ભાઇ મહેશગીરીએ બોલાચાલી કરી હતી. જે વાતનું મનદુ:ખ રાખી મંગળવારે હરેશગીરી પોતાની વાડીએથી દુઘ લઇને ઘર તરફ જઇ રહ્યો હતો, ત્‍યારે મહેશગીરીએ હરેશગીરી પર જીવલેણ હુમલો કરતા ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મૃતક મહેશગીરી સામે હત્યાની ફરિયાદગ્રામજનોએ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ કરતા હરેશગીરીની સાથે મહેશગીરીની પણ લાશ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હત્યા મામલે હરેશગીરીની માતાએ મૃતક મહેશગીરીની સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

Read Next Story