એપશહેર

અમરેલીઃ બે સિંહણે ગાયનો કર્યો શિકાર, આખલાએ શિંગડા મારીને ભગાડી મૂકી

Mitesh Purohit | TNN 18 Jul 2020, 9:38 am

રાજકોટઃ સિંહ સામાન્ય રીતે જંગલનો રાજા એટલા માટે કહેવાય છે કે તેની તાકાત સામે કોઈપણ પ્રાણી ટકી શકતું નથી. જોકે ક્યારેક આ વનરાજને પણ ઉભી પૂંછડીએ ભાગવું પડે છે. આવી જ એક ઘટના અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રીમાં બની છે. શુક્રવારે વહેલી સવારે બનેલી આ ઘટનામાં બે સિંહણ નાગેશ્રી ગામમાં એક ગાયનો શિકાર કરીને તેની જયાફત ઉડાવતી હતી. જોકે તેવામાં એક આખલો ત્યાં આવી પહોંચતા તેણે બંને સિંહણ પર પોતાના શક્તિશાળી શિંગડા સાથે હુમલો કરી દીધો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આખલાનો હુમલો એટલો તીવ્ર હતો કે બંને સિંહણ પોતાનો શિકાર છોડીને ભાગી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મુજબ આ ઘટના નાગેશ્રી ગામમાં બની છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે નાગેશ્રીના નેસડી વિસ્તારમાં બે સિંહણ બેઠી બેઠી ગાયના મારણની જયાફત ઉડાવી રહી હોય છે ત્યારે આખલો આવી ચડે છે અને પોતાના શિંગળાને આગળ કરીને સિંહણ તરફ ધસે છે.

શેત્રુંજી ડિવિઝનના ફોરેસ્ટ અધિકારીએ કહ્યું કે ‘આ ઘટના ઇન્ટરનેટ પર વાયરલ થયેલા આફ્રિકન સવાનાના વીડિયો જેવી છે જેમાં બાયસન એટલે કે એક પ્રકારની જંગલી ભેંસના ઝુંડે સિંહના આખા ટોળાને ખદેડી દીધું હતું.’ નાગેશ્રીની આસપાસ જંગલ વિસ્તારમાં 6 સિંહોનું એક કુટુંબ વસે છે જે પૈકી બે સિંહણ ગામમાં શિકાર માટે પ્રવેશી હતી.

Read Next Story