એપશહેર

જામનગર પહોંચેલા રૂપાણીએ જમીન પર બેસી દર્દીઓના સગા સાથે વાતચીત કરી

મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જામનગરમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરી, દર્દીઓના સગા સાથે વાતચીત કરી

I am Gujarat 17 Apr 2021, 5:09 pm
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે પરિસ્થિતિ વિકટ બની રહી છે. તેવામાં હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોનાની પરિસ્થિતિ તથા વિવિધ જિલ્લાઓની આરોગ્ય સ્થિતિની સમીક્ષા કરવા માટે મુલાકાતની શરૂઆત કરી છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વિવિધ જિલ્લાઓમાં જઈને જાત માહિતી મેળવશે અને કોવિડ-19ની પરિસ્થિતિની સમીક્ષા કરશે.
I am Gujarat rupani2


વિજય રૂપાણી અને નીતિન પટેલે શનિવારે જામનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિની માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રીએ કોરોના સામેના જંગમાં સતત અડીખમ ઊભા રહેલા કોરોના વોરિયર્સની પ્રશંસા કરી હતી. તેમણે કોવિડના દર્દીઓને સારવાર આપતી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યાં ફરજ બજાવી રહેલા તબીબો તથા પેરામેડિકલ સ્ટાફની પ્રશંસા કરીને તેમની કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રી હોસ્પિટલની બહાર રહેલા દર્દીઓના સગાસંબધીઓ અને સ્વજનોને મળ્યા હતા. તેઓ તેમની સાથે બેઠા હતા અને રૂબરૂ વાતચીત કરી હતી. તેમણે સારવાર અંગે પૂછપરછ કરી હતી અને તેમના પરિજનો ઝડપથી સાજા થઈ જાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, સરકાર કોરોનાના દર્દીઓને તમામ પ્રકારની સારવાર આપવા માટે સજ્જ છે અને લોકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન મંત્રી આરસી ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમ માડમ તથા મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના અગ્રસચિવ કે કૈલાસનાથન તથા આરોગ્ય સચિવ ડો.જયંતી રવિ પણ હાજર રહ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો