Gujarat Cm Vijay Rupanis Constituency Faces Water Problem News In Gujarati
રાજકોટમાં CM રૂપાણીના મતવિસ્તારમાં જ પાણીની ભારે તંગી
TNN25 Oct 2017, 8:32 am
પાણીનો મુદ્દો ઊઠ્યોઃ
નિમેષ ખાખરિયા, રાજકોટઃ રાજકોટમાં ચૂંટણી ટાણે પાણી એ મોટો મુદ્દો બની ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના જ મતવિસ્તારમાં સારા વરસાદ છતાંય સેંકડો ઘરોને પાણી નથી મળતુ. પશ્ચિમ રાજકોટની વિધાનસભા સીટના વિસ્તારને આવરી લેતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના વોર્ડ નંબર 1,8,9 અને 10માં પાણી ન મળવાની 800થી વધુ ફરિયાદ થઈ છે. આ વર્ષે લાંબાા ચાલેલા ઉનાળા અને ગરમ આબોહવાને કારણે પાણીની માંગ વધી હતી. RMCની છેલ્લી બોર્ડ મીટીંગ દિવાળી પહેલા 18 ઓક્ટોબરના રોજ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં કોંગ્રેસે પાણીનો મુદ્દો ઉછાળતા માહોલ ગરમાઈ ગયો હતો.
ઓછા દબાણને કારણે ઊભી થઈ સમસ્યાઃ
રાજકોટની 15 લાખની વસતીને મુખ્યત્વે આજી (1) ડેમમાંથી પાણી મળે છે. RMC રાજકોટને રોજના લગભગ 230 મિલિયન લિટર પાણી પૂરુ પાડે છે. તેમાંથી 150 મિલિયન લિટર પાણી નર્મદામાંથી આવે છે. 45 મિલિયન લિટર ભાદર ડેમમાંથી અને 35 મિલિયન લિટર ન્યારીમાંથી આવે છે. RMCની મીટીંગમાં રજૂ કરાયેલા ડેટા મુજબ છેલ્લા બે મહિનામાં પાણીની તંગીની 800 ફરિયાદ આવી છે. મોટાભાગના લોકોની ફરિયાદ એ છે કે પાણીના ઓછા દબાણના કારણે તેમને રોજ જરૂરિયાત કરતા 50 ટકા ઓછુ પાણી મળે છે. RMCના વોર્ડ નંબર 1,8,9 અને 10ની જે સોસાયટીઓને પાણીની આ સમસ્યા નડી રહી છે તે મુખ્યમંત્રિ વિજય રૂપાણીના મતવિસ્તારમાં આવે છે. આ વોર્ડમાં નવા માવા, કલાવાડ રોડ, રિંગ રોડ, રૈયા ધાર, એરપોર્ટ રોડ, અમિન માર્ટ, યુનિવર્સિટી રોડ અને રૈયા રોડનો સમાવેશ થાય છે.
મળી 800થી વધુ ફરિયાદઃ
RMCના એડિશનલ સિટી એન્જિનિયરે જનરલ મીટીંગમાં આપેલા ડેટા મુજબ કોર્પોરેશનને લો પ્રેશરની 824 ફરિયાદ મળી છે. તેમાંથી 400 તો માત્ર પશ્ચિમ ઝોનની છે. RMCની મીટીંગમાં આ મુદ્દો ઉઠાવનાર વોર્ડ નંબર 10ના કાઉન્સિલર મનસુખ કલારિયાએ જણાવ્યું, “મને રોજ ફરિયાદ મળે છે. લોકોની ફરિયાદ છે કે RMC જે 20થી 25 મિનિટ પાણી આપે છે તેમાંથી તે માત્ર ત્રણથી ચાર બાલદી જ પાણી ભરી શકે છે.” દર ઉનાળામાં રાજકોટમાં પાણીની તંગી સર્જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે રાજ્ય સરકારે સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કર્યું છે. કલારિયા જણાવે છે, “પાણીના પુરવઠામાં કોઈ સમસ્યા નથી પણ તેની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ યોગ્ય નથી. લીકેજ અને ગેરકાયદેસર કનેક્શનને કારણે સમસ્યા સર્જાય છે.”
50 ટકા જ પાણી મળે છેઃ
વૃંદાવન રોડના પંચાયત નગરના રહેવાસી લાભુબેન ભૂત જણાવે છે, “મેં મારા વિસ્તારમાં RMC અને કાઉન્સિલર્સને ફરિયાદ કરી છે. મારી ફરિયાદ પછી મને યોગ્ય રીતે પાણી મળવા માંડ્યુ પણ અઠવાડિયા પછી સ્થિતિ ઠેરની ઠેર થઈ ગઈ. અમને લો પ્રેશરને કારણે કોર્પોરેશન પાસેથી મળવુ જોઈએ એના 50 ટકા જ પાણી મળે છે. અમારે વોટર ટેન્કર બોલાવીને અમારી પાણીની જરૂરિયાત પૂરી કરવી પડે છે.”
સમસ્યા ગંભીર નથીઃ
જો કે RMC કમિશનર બંછા નિધી પાની જણાવે છે કે આ સમસ્યા દેખાય તેટલી ગંભીર નથી. તે જણાવે છે, “દિવાળી પહેલા પાણીની વધુ જરૂરિયાત હતી. આ કારણે પાણીની માંગ વધી હતી. અત્યારે એવી કોઈ સમસ્યા નથી અને ઉનાળો પણ પૂરો થઈ ગયો છે. આથી પાણીની માંગ ઘટશે. આ ફરિયાદોનો નિવેડો લાવવા અમારી સિસ્ટમ સક્ષમ છે.”
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.